જાણો બાળકોના મન-મગજ પર કોઇકના છવાઇ જવાના સારાં-નરસાં પાસાં
- શું તમારું સંતાન કોઇના પીઅર પ્રેશર હેઠળ છે?
- બાળક-તરૂણ પર ચોક્કસ પ્રકારનું જ પીઅર પ્રેશર જો તે નકારાત્મક હોય તો તે ઉગતી જુવાનીમાં જ ખોટા રવાડે ચડી જાય છે. તેથી જ્યારે તમારું સંતાન કોઇકની નકલ કરે ત્યારે તરત જ તેની નોંધ લો.અને જરૂર પડયે આવશ્યક પગલાં પણ લો. ચાહે તે ઘરની વ્યક્તિ હોય કે પછી બહારની.
સાત વર્ષની સ્નેહા તેની મમ્મી સ્મૃતિ સાથે બેસીને ટચૂકડા પડદે આવતાં ડાન્સ રીઆલિટી શોઝ હોંશે હોંશે જોતી, ખાસ કરીને બાળકો માટેના શોઝમાં તેને ઝાઝો રસ પડતો. મહત્વની વાત એ છે કે આ શોઝમાં ડાન્સ કરતાં સ્પર્ધકો કરતાં તેને તેની નિર્ણાયકોને જોવામાં વધુ રસ પડતો. શોઝની મહિલા નિર્ણાયકોના ડ્રેસિંગ અને મેકઅપને તે બહુ ધ્યાનપૂર્વક નિહાળતી.તેમાંય તેને શિલ્પા શેટ્ટી અત્યંત પ્રિય હતી.ધીમે ધીમે શિલ્પા શેટ્ટી તેના દિલોદિમાગ પર એટલી હદે છવાઇ ગઇ કે સ્નેહાને તેની જેમ જ મેકઅપ,હેરસ્ટાઇલ અને ડ્રેસિંગ કરવાનું ઘેલું લાગ્યું.સામાન્ય સંજોગોમાં તો તેને આવું કાંઇ કરવાની તક ન મળતી.પરંતુ તેની શાળામાં ફેન્સી ડ્રેસ કમ્પીટિશન હતી ત્યારે તેણે આ મોકો ઝડપી લીધો.તે અદ્દલ શિલ્પા શેટ્ટીને જેમ જ તૈયાર થઇને શાળામાં ગઇ.આ વેશભૂષામાં તેની ખૂબ પ્રશંસા પણ થઇ અને તે અવ્વલ નંબરે આવી.બસ,ત્યાર પછી ે તેને એમ લાગવા લાગ્યું કે તે જુનિયાર શિલ્પા શેટ્ટી બની ગઇ છે.હવે સ્નેહાએ શિલ્પા વિશે ગૂગલ સર્ચ કરવા માંડયું.તેને જ્યારે જાણ થઇ કે શિલ્પા નિયમિત રીતે યોગ,ધ્યાન,વર્કઆઉટ કરે છે અને માત્ર પૌષ્ટિક આહાર લે છે ત્યારે સ્નેહાએ પણ તેના જેવી જ જીવનશૈલી અપનાવી.તેનું જરાસરખું વજન વધતું તો તે ચિંતામાં પડી જતી.તેના પર પડેલો આ અદાકારાનો પ્રભાવ સ્નેહાની મમ્મી માટે ચિંતાનો વિષય બની ગયો હતો. છેવટે સ્મૃતિએે આ બાબતે મનોચિકિત્સકનો સંપર્ક કર્યો.
મનોચિકિત્સકે સ્મૃતિને કહ્યું હતું કે બાળકો તેમ જ તરૂણો પર કોઇકનો આત્યંતિક પ્રભાવ પડવો અને એ પ્રભાવ હેઠળ તેમનું સંબંધિત વ્યકિત જેવું વર્તન કરવું, તેમની નકલ કરવી તેને પીઅર પ્રેશર કહેવામાં આવે છે. જે તે બાળક કે તરૂણ જે વ્યક્તિના પ્રભાવ હેઠળ હોય તેની જેમ બોલેચાલે,તેના જેવું વર્તન કરે, તેના જેવાં જ બનવાના શમણાં જૂએ. પરંતુ આ પીઅર પ્રેશર પોઝિટિવ હોય ત્યાં સુધી ચિંતા કરવાનું કોઇ કારણ નથી. હા, તે નેગેટિવ હોય તો બાળક કે કિશોરના વિકાસને રૃંધનારું બની રહે એ વાત ચોક્કસ. તેમણે સ્નેહાની જ વાત કરતાં કહ્યું હતું કે તે શિલ્પા શેટ્ટીની જેમ યોગ, ધ્યાન, વર્કઆઉટ કરે છે, તેની આહારશૈલીને અનુસરે છે તે બહુ સારી વાત છે. આને આપણે પોઝિટિવ પીઅર પ્રેશરમાં ગણી શકીએ. પરંતુ વધતી વયમાં તેનુું વજન વધે ત્યારે તે ચિંતામાં પડી જાય કે પછી હમણાંથી જ શિલ્પા શેટ્ટી જેવાં નખરાં કરે તેને નેગેટિવ પીઅર પ્રેશર લેખાય. સ્નેહાના કેસમાં તેના ઉપર એક જ વ્યક્તિનું પોઝિટિવ અને નેગેટિવ, એમ બંને પ્રકારનું પીઅર પ્રેશર છે.બાકી સામાન્ય સંજોગોમાં જે તે બાળક-તરૂણ પર ચોક્કસ પ્રકારનું જ પીઅર પ્રેશર હોય છે.જો તે સકારાત્મક હોય તો તેના માટે ફાયદાકારક બની રહે છે. પરંતુ જો તે નકારાત્મક હોય તો તે ઉગતી જુવાનીમાં જ ખોટા રવાડે ચડી જાય છે. તેથી જ્યારે તમારું સંતાન કોઇકની નકલ કરે ત્યારે તરત જ તેની નોંધ લો.અને જરૂર પડયે આવશ્યક પગલાં પણ લો. ચાહે તે ઘરની વ્યક્તિ હોય કે પછી બહારની.
મનોચિકિત્સક ે સ્મૃતિને પીઅર પ્રેશરના જે પ્રકાર કહ્યાં તેની નોંધ પ્રત્યેક માતાપિતાએ લેવી જોઇએ. તેમણ ે સ્મૃૃતિને કહ્યું હતું ક ે પીઅર પ્રેશર ચાર પ્રકારના હોય છે. ૧)પોઝિટિવ, ૨)નેગેટિવ, ૩)એક્ટિવ, ૪)પેસિવ. તેમણે આ ચારેય પ્રકારના પીઅર પ્રેશર વિશે વધું સમજ આપતાં કહ્યું હતું....,
* પોઝિટિવ પીઅર પ્રેશર :
આ કેસમાં બાળકો કે કિશોરો અન્યોની સારી બાબતોને અનુસરે છે. જેમ કે તેમના મિત્રો, ભાઇ-બહેનો કે અડોશપડોશમાં કોઇ બહુ સારા ગુણાંક સાથે પાસ થાય તો તેમને પણ તેમના કરતાં વધુ સારા માર્ક્સથી પાસ થવાની ચાનક ચડે. અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા લાગે.તેવી જ રીતે ઘરના સભ્યોને અન્યો સાથે શાલીનતાથી વાત કરતાં જોઇને તેઓ પણ બધા સાથે એટલી જ શાલીનતાથી વાત કરે.આ પ્રકારનું પીઅર પ્રેશર બાળક-તરૂણના ભાવિ તેમ જ સમાજ માટે પણ ફાયદાકાર બની રહે છે.
* નેગેટિવ પીઅર પ્રેશર :
બાળક-તરૂણ અન્ય કોઇની ખોટી આદતોની નકલ કરે ત્યારે તે પોતાના માટે જ નહીં, સમગ્રા પરિવાર માટે મુશ્કેલીઓ નોંતરી બેસે છે.જેમ કે આલ્કોહોલ લેવું, ધૂમ્રપાન કરવું, છેતરપિંડી કરવી, ખોટું બોલવું ઇત્યાદિ.
* એક્ટિવ પીઅર પ્રેશર :
આવા કેસમાં બાળકો-કિશોરો પર યેનકેન પ્રકારેણ ચોક્કસ પ્રવૃત્તિમાં રાચવા દબાણ કરવામાં આવે છે. જેમ કે દારૂ પીવા કે પછી ધૂમ્રપાન કરવા.આ પ્રકારના દબાણમાં તેજ ગતિથી વાહન હંકારવા જેવી પ્રવૃત્તિ અત્યંત જોખમી બની રહે છે.
* પેસિવ પીઅર પ્રેશર :
આ પ્રકારમાં બાળક-તરૂણ પર કોઇક મિત્રનો ભારે પ્રભાવ હોય છે. અને આ પ્રભાવના દબાણ હેઠળ તે તેના જેવો થવાનો દંભ કરે છે. જ્યારે હકીકતમાં તે તેના જેવો બનતો નથી.
મનોચિકિત્સકે સ્મૃતિને કહ્યુ હતુ ંક ે સ્નેહા શિલ્પા શેટ્ટીના પોઝિટિવ અને નેગેટિવ,બંને પ્રકારની પીઅર પ્રેશરમાં છે. તેથી તેને હમણાં એ સમજાવવાની જરૂર છે કે વધતી જતી વયમાં વજન વધવું ચિંતાનું કારણ ન હોઇ શકે,બલ્કે વજન ન વધવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાયે. તેને શિલ્પાની આહારશૈલીમાંની લાભકારક બાબતાને ે અનુસરવી જોઇએ.બાકી તેનું જડબેસલાક પાલન કરવા માટે તે હજી ઘણી નાની છે.વળી દરેક વ્યકિતને ચોક્કસ પ્રકારનું આહાર નિયોજન લાગૂ ન પડે. તેથી તેણે ઘરમાં બનતી દરેક વસ્તુ ખાવીપીવી જોઇએ.તેવી જ રીતે તેના વસ્ત્રાભૂષણો કે શ્રૃંગારની નકલ કરવા માટે પણ તે હજી ઘણી નાની ગણાય.તેને હમણાં પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
મનોચિકિત્સકે ઉમેર્યું હતું કે પ્રત્યેક માતાપિતાએ પોતાના બાળકો તેમ જ ટીનએજ સંતાનો પર બારીક નજર રાખવી જોઇએ.જો તેમને સંતાનોનું વર્તન કોઇપણ રીતે બદલાયેલું જણાય તો તરત જ સતર્ક થઇને જરૂર પડયે આવશ્યક પગલાં લેવા જોઇએ. ચાહે તે પીઅર પ્રેશર બાબતે હોય કે અન્ય કોઇ બાબતે. જો તેમનું સંતાન પેસિવ પીઅર પ્રેશર હેઠળ કોઇની નકલ કરતું લાગે તો તેને તેની પોતાની મહત્તા સમજાવો. આમ કરવાથી તેનો આત્મવિશ્વાસ બુલંદ બનશે.તેમણે કિશોરાવસ્થામાં જોવા મળતાં પીઅર પ્રેશરના લક્ષણો વિશે કહ્યું હતું કે આવી સ્થિતિમાં નવા મિત્રો બનાવવા,પોતાના કરતાં અન્યો પર વધુ ધ્યાન આપવું,ક્યારેક બહુ ખુશ થઈ જવું તો ક્યારેક અકારણ ક્રોધે ભરાઇ જવું,અકારણ ઉદાસ થઇ જવું,મુશ્કેલી આવે ત્યારે ગભરાઇ જવું,અવસાદને કારણે ધૂમ્રપાન -આલ્કોહોલ કે-નશીલા પદાર્થોનું સેવન કરવું,સંતાનના વ્યવહારમાં સકારાત્મક કે પછી નકારાત્મક બદલાવ આવવો,શાળામાં જવા અખાડા કરવાં,નીંદર ન આવવી ઇત્યાદિ જોવા મળે છે.બહેતર છે કે વાત વણસે તેનાથી પહેલા સતર્ક થઇને આવશ્ય પગલાં લેવામાં આવે.
- વૈશાલી ઠક્કર