સહિયર સમીક્ષા .
- મારા પતિની મુંબઇમાં બદલી થઇ હતી ત્યારે હું તેમની સાથે જોડાઇ શકી નહોતી. આ દરમિયાન મારા એક ખાસ મિત્ર સાથે મે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
હું ૩૦ વરસનો પરિણીત પુરુષ છું. મેં હસ્તમૈથુન કર્યું નથી. ઘણા પ્રયત્નો છતાં ય મને એમા સફળતા મળી નથી. સંભોગ દરમિયાન મને કોઇ વાંધો આવતો નથી. શું આ નોર્મલ છે કે મને કોઇ ઇલાજની જરૂર છે?
એક ભાઇ (ગુજરાત)
* હસ્તમૈથુન દરેક વ્યક્તિએ કરવું જ જોઇએ એવો કોઇ નિયમ નથી. ઘણી વ્યક્તિઓ હસ્તમૈથુન દરમિયાન વીર્ય બહાર કાઢી શકતી હોય છે પરંતુ મૈથુન દરમિયાન વીર્ય કાઢી શકતી નથી. આવા પુરુષોને ઇલાજની આવશ્યક્તા રહે છે. પરંતુ તમે સફળતા પૂર્વક મૈથુન કરી શકો છો આથી તમારે કોઇ ઇલાજની જરૂર નથી.
હું ૨૮ વરસની છું. મને એક પુરુષ સાથે પ્રેમ છે. તેનો ધર્મ અલગ છે. એની સાથેના સંબંધ દરમિયાન મેં બે વાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. હવે તે મને છોડી તેના ધર્મની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. હું તેની સાથે હતી ત્યારે તે મારા ચારિત્ર પર શંકા કરતો હતો. તે કહે છે કે હું ધર્મ પરિવર્તન કરું અને બે વરસ સુધી જોશે કે હું તેના ધર્મનું બરાબર પાલન કરું છું કે નહીં. આ પછી તે લગ્નનો નિર્ણય લેશે. હું તેને ઘણો પ્રેમ કરું છું તેના વગર રહી શકતી નથી. મારે શું કરવું તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)
* સૌ પ્રથમ તો તમારે એ પુરુષને તમારી જિંદગીમાંથી દૂર કરવો જોઇએ. અને તમારી જિંદગી તમારા હાથમાં લેવી જોઇએ. તમારો આ પ્રેમી તમારા પ્રેમને લાયક નથી તે સ્વાર્થી છે અને તમારા સ્વભાવનો ગેરલાભ લઇ રહ્યો છે. તમારી સાથે લગ્ન કરવાનો તેનો જરા પણ ઇરાદો નથી.
તમે તેને ઘણો પ્રેમ કરો છો એ તે જાણે છે અને તેનો લાભ લઇને તમારો ઉપયોગ તેની વાસના સંતોષવા માટે કરી રહ્યો છે. તેને ભૂલીને નવેસરથી તમારું જીવન શરૂ કરો. કોઇ સારી નોકરી શોધી કોઇ નવો જીવનસાથી શોધી પરણી જાવ.
હું ૩૦ વરસની અને બે સંતાનની માતા છું. અત્યાર સુધી અમારી સેક્સ લાઇફ સંતોષજનક હતી. પરંતુ હવે મારો યોનિમાર્ગ ઢીલો થઇ ગયો હોવાથી સેક્સમાં મઝા આવતી નહોવાની મારા પતિ ફરિયાદ કરે છે. આ સમસ્યા દૂર કરવાનો કોઇ ઉપાય છે ખરો?
એક મહિલા (નવસારી)
* તમારી આ સમસ્યા સામાન્ય છે. પ્રસુતિ પછી આ સમસ્યા દરેક નારીને સતાવે છે. કોઇ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. ઓપરેશન વડે યોનિમાર્ગ ટાઇટ થઇ શકે છે. આ ઉપરાંત તમારા ગાયનેકોલોજીસ્ટ તમને કેટલીક એક્સરસાઇઝ પણ દેખાડશે જેને કારણે યોનિમાર્ગના મસલ્સ ટાઇટ થશે.
હું ૩૩ વર્ષની મહિલા છું. મારું લગ્નજીવન સુખી છે. પરંતુ કેટલાક મહિનાઓ પૂર્વે મારા પતિની મુંબઇમાં બદલી થઇ હતી ત્યારે હું તેમની સાથે જોડાઇ શકી નહોતી. આ દરમિયાન અમારા એક ખાસ મિત્ર સાથે મને શારીરિક સંબંધ બંધાયો હતો. આ પુરુષ પણ પરિણીત છે અને તેનો સંસાર પણ સુખી છે. હવે હું મારા પતિ સાથે રહું છું. પરંતુ અમે એકબીજાને ભૂલી શકતા નથી. અમારા બંનેના જીવનસાથી પ્રેમાળ છે. તેનું દુ:ખ હું કેવી રીતે હળવું કરી શકું. મારા પતિ સાથે હું ખુશ છું. પરંતુ તે દુ:ખી છે. કારણ કે, હમણા તેને તેની પત્નીથી દૂર રહેવાની ફરજ પડી છે. મારા મનનો આ અપરાધ બોજ હું કેવી રીતે દૂર કરું?
એક મહિલા (મુંબઇ)
* મૂર્ખતાની પણ એક હદ હોય છે. આ હદ ઓળંગો નહીં. આમ કરી તમે તમારા તેમજ તમારા મિત્રના સંસારને આગ લગાડી રહ્યા છો. બે નિર્દોષની જિંદગી હોમવાનો તમને કોઇ અધિકાર નથી. અપરાધબોજની લાગણીના ઓથા હેઠળ બે સંસાર ભાંગવાથી દૂર રહો. આ મિત્ર પાછો તમારી પાસે આવે તો એને સમજાવીને એની પત્ની પાસે પાછો મોકલી આપો. એ પુરુષને તેની પત્ની સાથે રહેવામાં શું મજબૂરી છે એ તમે લખ્યું નથી. શક્ય હોય તો એ બંનેને એકઠા કરવાનો પ્રયાસ કરો.
હું ૧૭ વરસનો છું. મને મારા પોતાના ચારિત્ર પર જ શંકા છે. મને છોકરીઓ પ્રત્યે ઘણું આકર્ષણ થાય છે અને મારા મનમાં સેક્સના જ વિચારો આવે છે. હું અપરાધી છું એવા ડરને કારણે હું ડિપ્રેશ થઇ ગયો છું અને ઘણી વાર મને આત્મહત્યાનો વિચાર આવે છે.
એક યુવક (સુરત)
* તમે અપરાધી બોજથી પીડાવ છો અને એ પણ અર્થ વગરના. હવે તમે યુવાની તરફ કદમ માંડી રહ્યા છો જયાં આવા વિચારો સામાન્ય છે. આ એક બાયોલોજીકલ ફેરફાર છે એમા ચારિત્ર્યનો કોઇ સવાલ નથી. સેક્સ હાર્મોન્સ ઉત્પન્ન થતા આમ થાય છે આથી ચિંતા દૂર કરી મનમાંથી અપરાધી હોવાનો ડર કાઢી નાખો. તમારા મનને બીજા શોખ તરફ વાળો. પરંતુ અફેર અને જાતીય અનુભવો મેળવવાથી દૂર રહો. આમ કરીને હાથે કરીને પગ પર કુહાડો મારો નહીં. આવા માત્ર વિચારો કરવાથી કોઇ નુકસાન થતું નથી.
- નયના