અજમાવી જૂઓ .
- રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી.
- પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને મૂંઝારો થતો હોય તો ચાર જાંબુ ખાવાથી કેરી હજમ થશે.
- જાંબુ વધુ પ્રમાણમાં ખવાઇ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે.
- બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે.
- કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે.
- બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે.
- કારેલાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા.
- બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.
- અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે.
- લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે.
- ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.
- કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.
- સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી.
- આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે.
- મીનાક્ષી તિવારી