મૂંઝવણ .
- હું સ્તનના આકારમાં વિકાસ થાય તેવું ઈચ્છું છું શું સ્તનનો વિકાસ માટેનો કોઈ ઉપાય નથી કે જેથી કરીને ફરીથી સ્તનમાં વૃદ્ધિ થાય?
* હું ૧૬ વર્ષની તરુણી છું. હંું જ્યારે બાર વર્ષની હતી ત્યારે વિચારતી હતી કે અત્યારે સ્તનનો વિકાસ ન થાય તેથી દીવાલને ચોેંટીને ઊભી રહી જતી હતી અથવા તો તેને મસળતી રહેતી હતી, પરંતુ હવે સ્તનના આકારમાં વિકાસ થાય તેવું ઈચ્છું છું અને સુંદર દેખાવા માગું છું ત્યારે તેમાં વિકાસ થતો નથી. મને મારા કાર્ય પર ખૂબ પસ્તાવો થાય છે. શું સ્તનનો વિકાસ માટેનો કોઈ ઉપાય નથી કે જેથી કરીને ફરીથી સ્તનમાં વૃદ્ધિ થાય?
એક યુવતી (અમદાવાદ)
* કિશોરાવસ્થામાં શરીરના વિકાસ સાથે કેટલાક ફેરફારો થાય છે. એ માટે મનમાં જિજ્ઞાાસા, કુતુહલ ઊપજે છે અને તે વર્તનમાં પણ જોવા મળે છે. તમારો વ્યવહાર અને વર્તન કંઈક એ પ્રકારનું જ હતું. હવે તેના માટે કોઈ પશ્ચાતાપ કરવાની કે મનમાં મૂંઝવણ રાખવાની જરૂર નથી. સ્તનનો વિકાસ એ એક કુદરતી ક્રમ છે. તેની પર કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ અસર પડવાની નથી. સામાન્ય શારીરિક વિકાસની સાથે સાથે આવનાર સમયગાળામાં સ્તન પણ પોતાની રીતે જ વિકસિત થવા લાગશે.
* હું ૨૫ વર્ષની છું, તથા થોડા જ મહિનાઓમાં મારાં લગ્ન પણ થવાનાં છે. હું લગ્નના પ્રથમ વર્ષમાં સંતાન ઈચ્છતી નથી. જાણવા માગું છું કે તેના માટે મારે ગર્ભનિરોધક ગોળી ક્યારે લેવી પડે, કઈ બ્રાન્ડ સૌથી વધુ યોગ્ય ગણાય અને તે મારે ક્યારથી શરૂ કરવી પડે, લગ્ન પહેલાં કે પછી? ક્યારેક ગોળી લેવાનંિ ભૂલાઈ જાય તો શું કરવું જોઈએ? તે લેવાથી કોઈ આડઅસર તો નહીં થાય?
એક યુવતી (સુરત)
* ગર્ભનિરોધક ગોળી શરૂ કરતા પહેલાં તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો એ વધુ ઈચ્છનીય છે. આ અગાઉ ક્યારેય માથાનો દુખાવો થયો હોય, હૃદયરોગનો હુમલો આવ્યો હોય. પગની નસો ફૂલી ગઈ હોય, રક્તદબાણ (બી.પી.) વધી ગયું હોય, શ્વાસ ચડતો હોય, છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, સ્તનમાં કોઈ ગાંઠ હોય અથવા પગમાં સોજો હોય કે પછી કમળો થયો હોય ત્યારે ડોક્ટર પૂરતી શારીરિક તપાસ કર્યા પછી જ નક્કી કરે છે કે ગર્ભનિરોધક ગોળી લેવી તે તંદુરસ્તી માટે હિતાવહ છે કે નહીં.
બજારમાં આ ગોળીઓની ઘણીબધી બ્રાન્ડની મળી રહે છે. માસિક શરૂ થયાના પાંચમા દિવસથી તે શરૂ કરવામાં આવે છે અને પછી એકવીસ દિવસ સુધી તે દરરોજ લેવાની હોય છે. ત્યારબાદ સાત દિવસ સુધી રોજ લોહતત્ત્વયુક્ત ગોળીઓ લેવાની હોય છે. આ દરમિયાન માસિક આવવાનું શરૂ થઈ જાય છે અને પછીથી આ જ ક્રમમાં બીજું પેકેટ શરૂ કરી દેવાનું હોય છે. ગર્ભનિરોધક ગોળીઓ, લગ્નના દિવસ પહેલાંના માસિકના પાંચમાં દિવસથી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને તમે શરૂઆતથી જ સલામત રહી શકો. વચ્ચે ગોળી લેવાનું ભૂલી ન જવાય તેનું ધ્યાન રાખવું, પરંતુ તે લેવાનું ભૂલી જવાય તો યાદ આવે કે તરત જ ગોળી લઈ લેવી. ત્યાર પછી પહેલાંની જેમ જ ગોળીઓ લેતાં રહેવી. આ દરમિયાન ગોળી લેવામાં જો બાર કલાકથી વધુ સમય વીતી જાય તો ગોળીઓ લેતા રહેવાની, પરંતુ એક અઠવાડિયા સુધી ગર્ભ સુરક્ષા માટે અન્ય કોઈ ગર્ભનિરોધક સાધનોનો પણ ઉપયોગ કરવો.
ગર્ભનિરોધક ગોળીની આડઅસરરૂપે સ્તનમાં ભારેપણું તથા હળવો દુખાવો ઉત્પન્ન થઈ શકે છે, વજન વધી શકે છે, માઈગ્રેનના હુમલાઓ આવી શકે છે તથા ઋતુસ્ત્રાવ સિવાય શરૂઆતના થોડાક માસિકચક્રોમાં થોડું બ્લીડીંગ થાય એવું બની શકે, પરંતુ આ આડઅસરો અમુક સ્ત્રીઓમાં જ જોવા મળે છે. ગોળીઓ લાંબો સમય લગાતાર લેવાથી લોહીના દબાણ પર, લોહીમાંના કોલેસ્ટ્રોલ પર તથા બ્લડશુગર પર પ્રતિકૂળ અસર પડે છે.
કોઈ ખાસ કારણ ન હોય, ત્યાં સુધી નવપરિણીત દંપતી માટે, પ્રથમ બાળક ટાળવા માટે ગર્ભનિરોધક ગોેળીઓ સૌથી સારો ઉપાય છે. તેની વિશ્વસનીયતા લગભગ સો ટકા છે અને તે જાતીય સુખમાં પણ કોઈ રીતે અડચણ પેદા કરતી નથી.
- અનિતા