સૌંદર્ય સમસ્યા .
- મારા વાળ ઘણા પાતળા છે. કોઈ ચમક પણ નથી. વાળ ખરવાની કોઈ પરેશાની નથી. શું વિટામિન લેવાથી કોઈ લાભ થશે?
અરોમાથેરપિથી પગની કાળજી કેવી રીતે લઈ શકાય છે?
એક મહિલા (જામનગર)
પગની કાળજી લેવા અરોમાથેરપિ પેડિક્યોર યોગ્ય રહે છે. તે પગને ડીપ મોઈશ્ચરાઈઝ કરે છે. ઘરમાં અરોમાથેરપિ પેડિક્યોર કરવા માટે બજારમાંથી પેરફિન વેક્સ ખરીદી લો. તેને પગ પર લગાવી શકો છો. તેને લગાવવા માટે ધીમી આંચે ગરમ કરો. પછી બ્રશની મદદથી પગ પર લગાવો અને ટુવાલથી કવર કરી દો. તે લોહીનું પરિભ્રમણ વધારે છે. તમે ઈચ્છો તો તેની જગ્યાએ ગ્લિસરીનમાં લીંબુ નાખીને લગાવો. એમ તો ફૂટવેર ક્રીમથી મસાજ કરવો પણ યોગ્ય છે. પગની સંભાળ લેવા માટે ક્યૂટિકલ્સ પણ યોગ્ય રીતે સાફ કરો. તે સિવાય જે લોકોને આ વસ્તુઓની પરેજી હોય તેમણે સરસવનું તેલ લગાવીને પણ પગની યોગ્ય સંભાળ લઈ શકાય છે.
મારી ઉંમર ૩૩ વર્ષ છે. મારા હોઠની ઉપર વાળ આવ્યા છે, જે ક્યારેક ક્યારેક મૂછ જેવા લાગે છે. હું શું કરું?
એક યુવતી (વાપી)
આ વણજોઈતા વાળને દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય થ્રેડિંગ હોય છે. તે સિવાય કેટલાક લોકો પ્લકરથી પકડીને વાળ કાઢવાનું કામ પણ કરે છે. આ દરેક રીતમાં ફરી વાળ આવી જાય છે. લેઝરથી વાળ દૂર કરવા એ સૌથી અસરકારક ઈલાજ છે. તે દરેક કોસ્મેટિક ક્લિનિકમાં મળે છે. તેની કોઈ સાઈડ ઈફેકટ નથી હોતી. તમે તમારો હોર્મોનલ ટેસ્ટ પણ કરાવી લો. તેનાથી પણ વાળના ગ્રોથનો અંદાજ લગાવી શકાય છે.
મારાં લગ્ન થવાનાં છે. મારી પરેશાની એ છે કે ચહેરા પર નાની નાની ફોલ્લી પડી ગઈ છે, જેમાંથી પરુ પણ આવી જાય છે. મારો રંગ પણ શ્યામ છે. કોઈ એવો ઉપાય બતાવો કે મારી પરેશાની દૂર થઈ જાય, જેથી લગ્નમાં સારી લાગી શકું?
એક યુવતી (વિસનગર)
તમે તમારી પરેશાનીને દૂર કરવા માટે યોગ્ય પૌષ્ટિક માત્રામાં ભોજન લો. તેની સાથે સાથે ચહેરાની સાફસફાઈની સંભાળ વ્યવસ્થિત રીતે કરો. ચહેરા પર ફોલ્લી હોવાનું કારણ ખાણીપીણીની ગરબડ હોય છે. પેટમાં કબજિયાત હોવાને કારણે ક્યારેક ક્યારેક ફોલ્લી થઈ જાય છે. ફોલ્લીના ડાઘને ઓછા કરવા માટે કોઈ સારા પાર્લરમાં જઈને ઓઝોન વાયુની સાથે પીલિંગ કરાવો. તેનાથી ડાઘા ઓછા થશે અને ચહેરાના રંગમાં પણ નિખાર આવશે.
૨૯ વર્ષની હું નોકરી કરતી સ્ત્રી છું. મારા વાળ ઘણા પાતળા છે. કોઈ ચમક પણ નથી. વાળ ખરવાની કોઈ પરેશાની નથી. શું વિટામિન લેવાથી કોઈ લાભ થશે?
એક યુવતી (વડોદરા)
તમારી સમસ્યા બહુ ગંભીર નથી. ઘણા બધા લોકોને આ પ્રકારની મૂંઝવણ હોય છે. વાળને રોજ નવશેકા બદામના તેલની માલિશ કરો. ખાવામાં પ્રોટીનની માત્રા વધારી દો. જો તમે માંસાહારી હો તો ભોજનમાં માછલીનો ઉપયોગ કરી શકો છો. ઘઉં યુક્ત આહારથી પણ ફાયદો થશે. વાળના મૂળને તે પોષણ આપે છે. તેનાથી વાળમાં ચમક આવે છે. ખાનપાન દ્વારા વાળની ઘણી બધી પરેશાનીઓ દૂર કરી શકાય છે.
- જયવિકા આશર