રસોઇને વધુ સ્વાદિષ્ટ બનાવતી કુકિંગ ટિપ્સ
રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે.
આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે.
* બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.
* પનીરને પાણીમાં રાખવાથી તાજુ રહે છે. ઉપરાંત પનીરને બ્લોનિટંગ પેપરમાં વીંટીને રાખવાથી પણ ફ્રેશ રહે છે.
* મેથીની કડવાશ દૂર કરવા તેને મીઠું ચોળીને થોડી વાર રાખી નીચોવી લેવી.
* ભરેલું શાક બનાવતી વખતે તેમાં સીંગદાણાનો ભુક્કો ભેળવવાથી સ્વાદ વધે છે.
* સુકી કચોરી અથવા તો ભાખરવડી વધી પડયા હોય તો તેમાંથી તેનો મસાલો કાઢી ભરેલા શાક માટે વાપરવાથી ઉપયોગમાં આવે છે તેમજ શાક સ્વાદિષ્ટ થાય છે.
* રસવાળા શાકમાં મરચું વધુ પડી ગયું હોય તો શાકમાં દેશી ઘી, બટર, મલાઇ, દહીં અથવા ક્રીમ ઉમેરવાથી શાકમાંની તીખાશ ઓછી થાય છે.
* પરોઠાને ટેસ્ટી અને ક્રિસ્પી બનાવા માટે લોટમાં બાફેલુ બટાકુ અથવા તો બટાકાને ખમણીને નાખવું.
* રાયતામાં જીરાનો ભુક્કો નાખવાની બદલે તેમાં ઝીરાનો વઘાર કરીને નાખવાથી રાયતાની સોડમ અને સ્વાદ બન્ને વધે છે.
* કડક-સખત પનીરને મુલાયમ કરવા માટે હુંફાળા પાણીમાં ચપટી મીઠું નાખી દસ મિનિટ પનીર પલાળી રાખવું.
* રાતના કઠોળ પલાળતા ભૂલી ગયા હોય તો, સવારે ગરમ પાણીમાં સોડા ભેળવી બે-અઢી કલાક પલાળી રાખી તેમાં બે સોપારી મુકી બાફવા.
* પંજાબી શાકની ગ્રેવી બનાવતી વખતે તેમાં મલાઇ અથવા કાજુની પેસ્ટ ઉમેરવાથી ગ્રેવીનો સ્વાદ વધે છે તેમજ ગ્રેવી ઘટ્ટ થાય છે.
* પુરીને ક્રિસ્પી બનાવા માટે લોટમાં થોડો રવો ભેળવવો.
* મૂઠિયા બનાવા માટે ઘઉનો જાડો લોટ ન હોય તો સામાન્ય લોટમાં ઘઉંના લોટ કરતાં થોડો ઓછો ચણાનો લોટ અને તેનાથી પણ ઓછો રવો ઉમેરવાથી મૂઠિયા પોચા થાય છે.
* વટાણાના ઘૂઘરા બનાવાના વાટેલા વટાણાના માવામાં કાચા-કોરા થોડા પૌંઆ ઉમેરવાથી મસાલો મુઠી વળે તેવો થાય છે.
* બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચફ્રાઇઝ બનાવા માટે બટાકાની પાતળી લાંબી કાતરી કરી તેને કાચી-પાકી તળી લઇને તેના પર આરારાટો ભભરાવી થાળી કે ટ્રેમાં મુકી દેવી. ચાર-પાંચ કલાક આ રીતે રાખી દેવી અને પીરસતી વખતે જ તેને ગરમ-ગરમ તેલમાં તળવી.
* ખમણ ઢોકળા સાથેની ચટણી બનાવા માટે ખમણ ઢોકળાના ચાર-પાંચ ટુકડા, મરચું, કોથમીર અને સ્વાદાનુસાર મીઠું,સાકર લીંબુ ઉમેરી વાટી નાખવું. કોથમીરનું પ્રમાણ વધુ પડતુ ંરાખવું નહીં. પસંદ હોય તો થોડો ફુદીનો પણ નાખી શકાય.
* કોથમીરની ચટણી લીલીછમ બનાવા માટે તેમાં થોડી પાલક અને વાટતી વખતે બરફના ટુકડા અને મનપસંદ મસાલો નાખવો.
* આદુ-લસણની પેસ્ટને લાંબા સમય સુધી તાજી રાખવા માટે પેસ્ટમાં થોડું તેલ અને મીઠું ભેળવી ફ્રિઝરમાં રાખવું.
* રગડા પેટીસની પેટીસ, વટાણાની પેટીસ કે પછી ફરાળી પેટીસને ક્રિસ્પી બનાવા માટે તેને વાળીને ચાર-પાંચ કલાક ફ્રિઝમાં રાખી દઇને નોનસ્ટિક તવા પર શેકવી અથવા તો તળી લેવી. શેકતી અને તળતી વખતે જ તેને બહાર કાઢવી પહેલાથી કાઢી રાખવાથી તેમાંથી પાણી છુટશે અને ઢીલી પડી જશે.
* બાફેલા બટાકાના નાના-નાના ટુકડા કરીને તેને વઘારીને બટાટાવડા બનાવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. બાફેલા બટાકાના છુંદામાં વધાર કરવાની બદલે બટેકાને જ વઘારી દેવા. સ્વાદાનુસાર, લસણ,મરચું, રાઇ, અડદની દાળ,આદુ-મરચાની પેસ્ટ, ખમણેલો આદુ,લીમડાના પાનને તોડીને નાખવા જેથી મોઢામાં આવે નહીં. આ સઘળાનો વઘાર કરી બટાકાના ટુકડા નાખી હલાવી તેમાં મીઠું,લીંબુ અને કોથમીર નાખી મિક્સ કરવું.
- મીનાક્ષી તિવારી