આયુર્વેદ મુજબ બાળ-આહાર .
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
આજના અંકમાં જન્મથી લઇને ૨ વર્ષ સુધીનાં બાળકોને કેવો આહાર આપવો અને તે અંગે આયુર્વેદ શું માને છે ? તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.
નાના બાળકોને અપાતા આહારનાં બે મુખ્ય સ્વરૂપ છે. (૧) પાણી સ્વરૂપ અને (૨) ઘન સ્વરૂપ.
પ્રવાહી સ્વરૂપમાં દૂધ પ્રથમ આવે છે. તે પછી આવે છે ફળોનો રસ. શરૂઆતમાં બાળકને ભલે માત્ર દૂધ અપાય, પરંતુ ત્રીજા માસથી બાળકને દૂધના બે સમય વચ્ચે એક વાર મોસંબી, સંતરા, દ્રાક્ષ કે ટામેટાનો રસ કાઢી આપવો શરૂ કરી દેવો જોઇએ.
ચોથા માસથી બાળકને વિટામીન 'ડી', કોડલિવર ઓઇલ, કુમળા સૂર્ય-તાપનું સેવન કે ચૂનાતત્ત્વની ટીકડી આપી શકાય છે.
છઠ્ઠા માસથી બાળકને દૂધ અને ફળોના રસ ઉપરાંત રાબ, ઘેંસ જેવો અર્ધઘન-અર્ધ-દ્રવ્ય જેવો ખોરાક આપી શકાય છે.
બાળક માત્ર દૂધ પી તંદુરસ્ત અને સંતુષ્ટ રહેતું હોય તો પણ જ્યારે તે ત્રણ માસનું થાય કે તેને ફળોનાં રસ આપવા શરૂ કરવા. સામાન્ય રીતે મીઠાં કે જરાક ખટમીઠાં ફળો તે માટે લેવા જોઇએ. બાળકોને સંતરા, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાકા ટામેટા, લીંબુ, અનાનસ, સફરજન જેવા ફળોના રસમાં ગ્લુકોઝ અથવા મધ ઉમેરી આપી શકાય. રસ પાવાની શરૂઆત કરતા પહેલા ઉકાળી ઠંડા કરેલા પાણીમાં મધ તથા ફળનો રસ ઉમેરી, આ મિશ્રણ થોડું-થોડું પાવું. ધીરે-ધીરે તેમાં પાણીનું પ્રમાણ ઘટાડી સીધા રસ પર આવી જવું.
ફળોનો રસ આપવા સાથે બાળકને વચ્ચે-વચ્ચે દિવસમાં સીઝન મુજબ પાણી પણ પાવું. દિવસમાં ૨-૩ વાર દૂધ, એક-બે વાર રસ, અને ૨-૩ વાર પાણી જરૂરત મુજબ વારાફરતી પાવાં.
બાળકને સાદું પાણી પીવા આપવા કરતાં ઉકાળેલું પાણી ખાસ પાવું. ઉનાળામાં ખાસ બપોરનાં સમયે ઉકાળીને ઠારેલું (ફ્રીઝમાં ઠારેલું નહીં) પાણી પાવું. બાળક કદાચ સાદું પાણી ન પીવે તો તેમાં મધ કે થોડો ગ્લુકોઝ પાઉડર નાખી પાણી પાઈ શકાય જ્યારે પણ બાળકને પેશાબ પીળો થાય, ત્યારે તેને ખાસ વધુ પાણી પાવું કે લીલા કે પાકા નારિયેળનું પાણી પણ આપી શકાય છે.
બાળકને દૂધ અને રસ સાથે ન આપવો. બે વખતના ધાવણ કે દૂધની વચ્ચેના સમયે તેને ફળનો રસ આપવો. બાળકને સુવડાવવાનું હોય ત્યારે એકવાર રસ આપવો. અને બીજીવાર તે બપોરે સૂઈ ઉઠે ત્યારે રસ આપવો.
સૂપ :- બાળક ચાર માસનું થાય એટલે તેને દૂધ તથા ફળોનાં રસ ઉપરાંત શાકભાજીના સૂપ બનાવી આપવા શરૂ કરવા. સાધારણ રીતે બાળકને સૂપ ભાવતો નથી. પણ તેના શરીરનાં સુયોગ્ય વિકાસ અને વૃધ્ધિ માટે તે જરૂરી છે. એટલે તે અંગે બેદરકારી કે ઉપેક્ષા ન રાખવી. સૂપ માટે પાલખ, ગાજર, પાકાં ટામેટાં, બીટ વગેરે પાણીમાં બાફી તેમાં જરાક મીઠું નાખ બનાવવો.
શરૂઆતમાં આ સૂપ પાતળો જ બનાવવો. બાળક મોટું થયે તેને ઘટ્ટ સૂપ આપી શકાય છે. સૂપમાં ઘી કે માખણ અથવા બીજો કશો જ મસાલો ન નાખવો. સૂપ ગળણીથી ગાળી પછી જ પાવો.
આહારનાં તૈયાર પેક ડબ્બા :- બેબીફૂડ આજ-કાલ બાળકો માટે ''ફેરેક્સ'' અને ''સેરેલેક'' નામના બાળ-આહારનાં પાઉડરનાં ડબ્બા મળે છે તે બાળકો માટે આદર્શ ખોરાક ગણાય છે. આવો પૂરક ખોરાક બાળકને દેવો હોય તો દૂધ સાથે જ તેની વય મુજબ યોગ્ય પ્રમાણમાં આપી શકાય. અથવા બાળકને એકવાર દૂધ દેવું અને પછી બીજીવાર તૈયાર મિશ્રણ આપી શકાય.
ફળો :- બાળક ચાર-પાંચ માસનું થાય તે પછી તેને દૂધ, સૂપ, ફળોનાં રસ ઉપરાંત કેટલાંક ફળોનાં છૂંદા કરી ખાવા આપવા. આ ફળોમાં કેળાનો છૂંદો, પપૈયાનો છૂંદો, ચીકુનો છુંદો કે બાફેલા સફરજનનો છૂંદો અથવા તો પાકા અંજીર ફળનો છૂંદો પણ યોગ્ય માત્રામાં આપી શકાય છે.
માતાએ પોતાનાં બાળકને સમયસર અને તેની વય મુજબ યોગ્ય માપસર જ ખોરાક આપવાની ટેવ પાડવી જોઇએ, કારણ કે તેનાથી બાળકની તંદુરસ્તી જળવાય છે, અને બાળક શરૂઆતથી જ ખોરાકનું નિયમન કરતાં શીખે છે.
ઘણીવાર બાળક રડતાંની સાથે તેની માતા ''તે ભૂખ્યું થયું હશે'' એમ માનીને તેને દૂધ કે ખાવાનું આપી દઇ, તેને છાનું રાખે છે. પણ બાળક રડે તેટલી વાર તેને ખાવા દેવાની આદત યોગ્ય નથી. વળી બાળક એ રીતે વારંવાર ખાય તો તેની હોજરી અને પેટ બગડી જતાં અનેક રોગો થાય છે.
બાળક ૩ માસનું થતાં તેના આહારમાં દૂધ પછી શાકભાજીના સૂપ દાખલ કરવાથી તેમાં રહેલ લોહતત્ત્વ બાળકનાં લોહીને સુધારે છે અને તેમાં રહેલ ચૂનો તથા ફોસફરસ બાળકનાં દાંત અને હાડકાંને મજબૂત કરે છે. શાકભાજીમાં રહેલા વિટામિન્સ બાળકનાં દાંત અને હાડકાંને મજબૂત કરે છે. શાકભાજીમાં રહેલા વિટામિન્સ બાળકનાં શરીરનો વિકાસ કરી તેના પેટને સાફ રાખે છે. તે સિવાય તે બીજાં અનેક દર્દો સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
ત્રણ માસના બાળકને શરૂઆતમાં બાફેલાં શાકનો સૂપ અને પછી જાડો રસ આપવો. શરૂઆતમાં ૧ ચમચા જેલો સૂપ કે શાકનો રસ દેવો. મહિનાની આખરે ૩ ચમચા જેટલું પ્રમાણ બાળકને આપી શકાય. બને ત્યાં સુધી બાળકને બપોરનાં ભોજનરૂપે જ શાક કે ફળના રસ કે સૂપ આપો. બાળક માટે દૂધ, ફળનો રસ તથા સૂપનું મેનુ નક્કી રાખવું અને બને ત્યાં સુધી તેમાં વારંવાર ફેરફાર ન કરવા.
બટાટાનાં છૂંદામાં ભાજી મેળવીને કે વટાણા અને ગાજરને સાથે બાફીને બનાવેલ સૂપ પાવાથી બાળકનો વિકાસ સારો થાય છે.