ડાયાબિટીસ હોય તો કેરી ખાવામાં આટલું ધ્યાન રાખો

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ડાયાબિટીસ હોય તો કેરી ખાવામાં આટલું ધ્યાન રાખો 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

(ગતાંકથી ચાલુ)

૪) એન્ટિઓક્સિડન્ટ: કેરીમાં પોલીફિનોલ અને મેંગીફેરીન જેવા એન્ટિઓક્સિડન્ટ તત્વો પુષ્કળ પ્રમાણમાં મોજુદ છે. જે શરીરના ઘણા કાર્યો માટે ઉપયોગી છે અને ઘણા બધા રોગો સામે રક્ષણ પણ આપે છે. 

૫) રોગપ્રતિકારક શક્તિમાં વધારો: વિટામીન  A, C અને ફોલિકએસિડની સારી માત્રાના કારણે કેરી વાયરસ, ઇન્ફેક્શન અને બીજા કેટલાક રોગો સામે રોગપ્રતિકારક શક્તિ પણ પૂરી પાડે છે.

૬) હૃદય રોગ માટે ઉપયોગી: કેરીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો તેમજ મેગ્નેશિયમ અને પોટેશિયમ, લોહીમાં રહેલી ચરબી અને લોહીના પરિભ્રમણ માટે ઉપયોગી છે અને તેથી હૃદય રોગ સામે પણ રક્ષણ આપે છે.

૭) પાચન શક્તિમાં સુધારો: કેરીમાં ફાઇબર્સની માત્રા સારા પ્રમાણમાં હોવાના કારણે અને કેટલાક પાચકરસો પણ હોવાના કારણે પાચન માટે પણ કેરી એક ઉપયોગી ફળ છે. 

૮) આંખોની તંદુરસ્તી: વિટામિન છ અને લ્યુટીન તેમજ જીયાજેનથીન જેવા એન્ટિઓક્સિડન્ટ તત્વોને કારણે કેરી આંખના રોગો સામે કેટલાક અંશે રક્ષણ આપે છે.

ડાયાબિટીસના દર્દીઓ એક દિવસમાં કેટલી કેરી ખાઈ શકે છે?

કેરીના ૪  ટુકડામાં ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. ભોજન દીઠ ૨-૩થી વધુ કેરીના ટુકડા ન લેવા જોઈએ. સામાન્ય રીતે જો ડાયાબિટીસ કાબુમાં હોય તો ૧૦૦ થી ૨૦૦ ગ્રામ કેરી રોજ ખાઈ શકાય. કેરીનો રસ લેવા કરતાં કાપીને અથવા ચૂસીને કેરી ખાવી વધુ યોગ્ય છે. રસ ખાવો જ હોય તો ઉપરથી ખાંડ ન નાખવી અને રેસાવાળો રસ ખાવો. શક્ય હોય તો એક રોટલી ઓછી ખાઓ અને/અથવા ભાત ન લો. કેરી એકલી ખાવાને બદલે બીજા બે ત્રણ ફળો સાથે મિક્સ કરીને લઈ શકાય.

 બીજી અગત્યની વસ્તુ કે કેરીના રસ કરતા હંમેશા કેરીને છાલ સાથે ખાવાનો આગ્રહ રાખો. કેસર કે હાફૂસ એ વધારે મીઠી હોય છે અને એનું ફળ પણ ઘણું મોટું હોય છે તો આવી કેરી જ્યારે ખાવ ત્યારે ચાર-પાંચ ચીરીઓથી વધારે ન લેવી જોઈએ. દેશી કેરી કે જે ખટમીઠી હોય તેમ જ એનું ફળ નાનું હોય છે તે નાસ્તા તરીકે આખી લઈ શકાય. કેરીની સાથે મુઠ્ઠીભર નટ્સ, સિડસ કે ચણા લેવા વધારે હિતાવહ છે કે જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે અને આપણને સંતોષ થાય. કેરીના મિલ્કશેક, આઈસ્ક્રીમ કે શ્રીખંડ લેવાને બદલે કેરીનું રાયતું કે પછી કાકડી, ટામેટા, કોથમીર અને ડુંગળી નાખી અને કેરીનું સલાડ બનાવો.

જો કોઈ દર્દીનું બ્લડ સુગર વધારે રહેતું હોય તો એ દર્દીએ જ્યાં સુધી ડાયાબિટીસ કાબુમાં ન આવે ત્યાં સુધી કેરી લેવી જોઈએ નહીં.

 કેરીમાં પોતાની જ મીઠાશ હોય છે તો ઉપરથી ખાંડ કે સાકર નાખવાનું ટાળો અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA)ના પ્રમાણે ફળ એ કાર્બોદિત પદાર્થ છે એટલે તે મર્યાદિત માત્રામાં જ લઈ શકાય. આજકાલ જે ડાયાબિટીસના દર્દીઓ કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ (CGMS)  ઉપર હોય તેમનું સુગર તપાસ કરતાં એવું જાણવા મળે છે કે કેરીના સેવન પછી પણ ઘણા દર્દીઓનું સુગર વધતું નથી પરંતુ દરેક દર્દીમાં આવું જ થાય એ જરૂરી નથી. તેથી કેરી હંમેશા તમારા આહાર નિષ્ણાત અને ડોક્ટરોની સલાહ પ્રમાણે તમારું બ્લડ સુગર લેવલ ચેક કરીને પછી જ લેવી એ હિતાવહ છે.


Google NewsGoogle News