કોણે આપ્યું આ દેશને 'ભારત' નામ! .
- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
- ઋષભદેવનો એક પુત્ર ભરત અત્યંત લોકપ્રિય અને સદ્ગુણી હોવાથી 'અજનાભવર્ષ' તરીકે ઓળખાતા આ દેશનું નામ 'ભારતવર્ષ' પડયું
ભૂ તકાળમાં ખેલાયેલાં યુદ્ધોનો ઇતિહાસ મળે છે અને વર્તમાનમાં ઇતિહાસમાં આલેખાયેલી એ ઘટનાઓ વિશે થતાં યુદ્ધો જોવા મળે છે ! આધુનિક ઇતિહાસવિદોએ અંતે સ્વીકાર્યું કે ઇતિહાસમાં સતત ખોજ કરતા મળતાં નવા તથ્યો અને અમુક વિચાર કે વાદનાં ચશ્મા પહેરીને લખાયેલાં ઇતિહાસમાં પરિવર્તનની જરૂર છે. આને કારણે આજે 'હિસ્ટ્રી ઈઝ ડિબેટ' (ઇતિહાસ એ ચર્ચા છે) એ સૂત્ર સર્વસ્વીકૃત બન્યું છે અને એવી જ એક ડિબેટ ભારતનાં નામકરણ અંગેની છે.
ભગવાન ઋષભદેવનાં પુત્ર ભરત, દશરથનાં પુત્ર ભરત, રાજા દુષ્યંતના પુત્ર ભરત કે નાટયશાસ્ત્રના રચયિતા ભરત - આ ચારમાંથી કોના નામથી ભારતનું નામકરણ થયું છે, એની જોરશોરથી ચર્ચા ચાલે છે, એનું તારણ ભવિષ્યમાં જરૂર જોઈશું, પરંતુ ભારતને કેવાં કેવાં નામોથી પૂર્વે ઓળખવામાં આવ્યો છે, તેની રસપ્રદ ખોજ કરીએ.
સ્વયંભૂ મનુએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો અને એમના પુત્ર પ્રિયવતે રાત્રે પણ પ્રકાશ જાળવવાની ઈચ્છાથી જ્યોતિર્મય રથ દ્વારા સાત વાર વસુધાતલની પરિક્રમા કરી અને એ પછી એની અંદર સાત મહાદ્વીપ થયા. આ સાત મહાદ્વીપમાં એક દ્વીપ તે જંબુદ્વીપ અને એ જંબુદ્વીપનો અધિપતિ આગ્નીધ્રના સો પુત્રોમાંથી એક પુત્ર તે નાભિ. આ નાભિના એક માત્ર પુત્ર તે ઋષભદેવ, જે જૈન ધર્મના આદિ તીર્થંકર મનાય છે અને જેમની ગણના હિંદુ ધર્મના ચોવીસ અવતારોમાંથી એક તરીકે થાય છે. ઋષભદેવનો એક પુત્ર ભરત અત્યંત લોકપ્રિય અને સદ્ગુણી હોવાથી 'અજનાભવર્ષ' તરીકે ઓળખાતા આ દેશનું નામ 'ભારતવર્ષ' પડયું.
પુષ્કળ જાંબુનાં વૃક્ષો હોવાથી એ દેશ જંબુદ્વીપ તરીકે ઓળખાતો. આ દ્વીપનું પ્રાચીન ગ્રંથોમાં વિસ્તૃત વર્ણન મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે બૌદ્ધ, જૈન અને પુરાણ સાહિત્યમાં જંબુદ્વીપનો ઉલ્લેખ મળે છે. એમાં પણ જૈન પરંપરામાં જંબુદ્વીપની અવધારણા અત્યંત વ્યાપક છે. એનાં પ્રાચીન કથાનકોમાં પ્રારંભ જ એ વાતથી થાય છે કે જંબુદ્વીપની અમુક નગરીમાં બનેલી આ ઘટના છે. આ જંબુદ્વીપમાં છ પર્વત અને છ જનપથ સંમેલિત છે અને તીર્થંકરો અને ચક્રવર્તી અહીં જન્મ લે છે. 'શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞાત્પિસૂત્ર વક્ષસ્કાર-૪', 'ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૧૫, સૂત્ર ૩૯-૪૦' અને 'જંબુદ્વીપ પ્રજ્ઞાપ્તિસૂત્ર'માં આનું વિવરણ મળે છે.
આ જંબુદ્વીપ પૂર્ણ ચંદ્ર જેવા આકારનો ગોળ છે અને એક લાખ યોજન લાંબો-પહોળો છે. એની વચ્ચે મધ્યમાં મેરુ પર્વત આવેલો છે.
જંબુદ્વીપમાં ગંગા, સિંધુ મુખ્ય નેવું નદીઓ પોતાના પરિવાર સાથે મળીને કુલ ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ આગળ જતાં લવણસમુદ્રમાં મળે છે. અહીં ૨૬૯ પર્વતો છે, દ્વીપની આસપાસ ગોળાકાર વિશાળ કોટ છે. જ્યારે હિંદુ ધર્મનાં પુરાણોના કહેવા પ્રમાણે પૃથ્વી સપ્તદ્વીપા છે અને એના કેન્દ્રમાં જંબુદ્વિપ સ્થિત છે અને આ જંબુદ્વીપમાં ઘણાં વર્ષ છે, જેમાંના એક વર્ષનું નામ 'ભારતવર્ષ' છે. હિમાલયનાં ઉત્તરક્ષેત્રથી મધ્યએશિયા સુધીનો જંબુદ્વીપનો વિસ્તાર હોવાનું પ્રતીત થાય છે અને સમ્રાટ અશોકના શિલાલેખમાં જંબુદ્વીપમાં મનુષ્યો સાથે દેવતાઓ મળે છે, એની વાત કહેવાય છે. 'વાયુપુરાણ'નાં ૩૩થી ૩૫માં અધ્યાયમાં જંબુદ્વીપની ભૌગોલિક સ્થિતિનું વિસ્તૃત વર્ણન મળે છે. જંબુદ્વીપના નવ ખંડોમાં, વર્ષોમાં ભારત વર્ષની શ્રેષ્ઠતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સર્વપ્રથમ વેદ ઋગ્વેદમાં અને એ પછીના વૈદિક સાહિત્યમાં એક બીજું નામ 'સપ્તસિંધુ' પ્રાપ્ત થાય છે. પારસીઓનાં ધર્મપુસ્તક 'જેન્દ અવેસ્તા'માં પણ આ દેશને અનુલક્ષીને 'હપ્તહિંદુ' નામ મળે છે. અહીં 'સ'ને બદલે 'હ' પ્રયોજાતો હતો, પરંતુ સપ્તસિંધુ એ સંપૂર્ણ ભારત નથી, બલ્કે ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગનું નામ છે. કેટલાંક ગ્રંથોમાં ભારત વર્ષને આર્યદેશ તરીકે સંબોધવામાં આવ્યો છે અને મનુસ્મૃતિમાં એ આર્યાવર્તની સીમાનો ઉલ્લેખ મળે છે. પૂર્વ સમુદ્રથી માંડીને પશ્ચિમના સમુદ્ર સુધી, હિમાલય અને વિંધ્યાચળનાં મધ્યભાગને વિદ્વાનો આર્યાવર્ત
કહે છે. આથી એમ સિદ્ધ થાય છે કે વિંધ્યાચળ પછી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલો પ્રદેશ આર્યાવર્ત નહોતો, બલ્કે ભારત હતો.
મજાની વાત એ છે કે ભારતની સીમાનો ઉલ્લેખ છેક 'માર્કંડેય પુરાણ'માં મળે છે, જેમાં ભારતની પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર છે અને ઉત્તરમાં હિમાલય છે એટલે જાણે ધનુષ્યની દોરીની આકૃતિ ધારણ કરતો હોય એમ ભારત લાગે છે. એ પછીનાં પુરાણોમાં પણ આ જ ઉલ્લેખ મળે છે. ભારતને માટે 'ઇન્ડિકા' શબ્દનો પ્રયોગ પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર, ભારતપ્રવાસી, રાજ્યશાસ્ત્રના નિષ્ણાત મેગેસ્થેનિસે કર્યો છે. એણે 'ઈન્ડિકા' નામનું એક પુસ્તક લખ્યું હતું ! એ પુસ્તક આજે અલભ્ય છે, પણ એ પછીના લેખકોએ મળેલા સાહિત્યિક ખંડોના આધારે એ પુસ્તકનું આંશિક પુન: નિર્માણ કર્યું છે. પશ્ચિમી જગતનો ભારત વિશે લિખિત વર્ણન કરનાર મેગેસ્થેનિસ પહેલો વ્યક્તિ છે. એ ઘણા લાંબા સમય સુધી ભારતના પાટિલપુત્રમાં રહ્યો હતો અને અહીં રહીને તેણે સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભારત આવતા પહેલાં એ બખ્ત, બાખ્ત્રી (બેક્ટ્રિયા), ગાંધાર, તક્ષશિલામાં રોકાયો હતો અને ત્યાં હિંદ, હિંદવાન અને હિંદુ જેવા શબ્દો પ્રચલિત હતા. એમ પણ મનાય છે કે ગ્રીક સ્વરતંત્રને અનુરૂપ એટલે કે એના ઉચ્ચારોની ઢબને કારણે એણે એને 'ઇન્ડસ' કે 'ઇન્ડિકા' નામ આપ્યું હશે.
જ્યારે પારસી અને અરબી પરંપરામાં હિંદુ અને હિંદુનો પ્રયોગ ભારતવર્ષને માટે થતા એ 'હિંદુસ્તાન' કહેવાયો. ભારતમાં હિંદુ શબ્દનો પ્રયોગ અરબી લેખકોએ કર્યો અને એ સમગ્ર ભારતવાસીઓને માટે કર્યો. કંબોડિયામાં વસતા લોકો પણ 'હિંદુ' કહેવામાં આવતા હતા. જ્યારે 'ઇન્ડિયા' નામ સૌપ્રથમ ગ્રીક લેખક હિરોડોટ્સમાં મળે છે.
સહેજ વિશેષ આગળ જઈએ તો ચીની પરંપરામાં પણ સિંધુ પ્રદેશવાસીઓ માટે 'શેન-તુ' શબ્દ વપરાય છે. ભારતના પ્રવાસે આવેલા ચીનના હ્યુ-એન-સાંગે એનો પ્રયોગ તિયેન-યૂ અથવા 'યિન-તૂ' તરીકે કર્યો છે. યિન-તૂનો અર્થ છે ચંદ્ર અને એમ કહેવાય છે કે યિન-તૂ શબ્દ 'ઈંદુ' એટલે ચંદ્રનો દ્યોતક બની ગયો છે.
વિષ્ણુપુરાણ અનુસાર પ્રિયવ્રતનાં પૌત્ર અને જંબુદ્વીપના સમ્રાટ આગ્નીધ્રના પુત્ર નાભિના સમયમાં આ દેશનું નામ હિમવર્ષ અથવા હેમતવર્ષ હતું. નાભિના પૌત્ર અને ઋષભદેવના પ્રતાપી પુત્ર ભરતનાં નામ પરથી 'ભારત' નામકરણ થયું. ભાગવતપુરાણમાં આ દેશનું નામ 'અજનાભ' દર્શાવવામાં આવ્યું છે પણ ચક્રવર્તી ભરતના સમયથી એને 'ભારત' કહેવામાં આવે છે, એવો ઉલ્લેખ 'વાયુપુરાણ' અને 'માર્કન્ડેય પુરાણ'માં પણ મળે છે.
'વાયુપુરાણ'માં એક અન્ય પરંપરાનો ઉલ્લેખ મળે છે, જેમાં દુષ્યંતના પુત્ર ભરતને આને શ્રેય આપવામાં આવે છે. કેટલાંક માને છે કે આ વિચાર એ પાછળનાં સમયમાં આવેલો વિચાર છે. આ ભરતે એક મહાન યજ્ઞા પણ કર્યો હતો અને મહાભારતના આદિ પર્વમાં શકુંતલા અને દુષ્યંતનાં પ્રસંગમાં પ્રતાપી ચક્રવર્તી સમ્રાટ ભરતનો ઉલ્લેખ મળે છે અને આવા યજ્ઞાને કારણે એના નામ પરથી ભારતકુળ પ્રખ્યાત થયું.
એક ત્રીજી ધારણા એવી મળે છે કે મનુએ પ્રજાનું ભરણપોષણ કર્યું એટલે એમને ભારત કહેવામાં આવ્યા અને જે પ્રદેશમાં માનવસંતતિનો ફેલાવો થયો એ ક્ષેત્રને ભરત કહેવામાં આવ્યું. આમ જુઓ તો ભારત નામનો મૂળ સંબંધ વૈદિક 'ભરતજન' સાથે પણ જોઈ શકાય. 'ઋગ્વેદ'માં દેવશ્રવા અને દેવવાત દ્વારા અગ્નિને મંથન કરીને ઉત્પન્ન કરવાનો ઉલ્લેખ મળે છે અને એમાં ક્રમશ: વધ્રયશ્વ, દિવોદાસ અને સુદાસ જેવા મહાન રાજાઓ થયાં. આ ભરત-જન સરસ્વતી નદીની ઘાટીમાં નિવાસ કરતા હતા. એક સમયે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓ એમના પુરોહિત હતા. મેકડોનાલ્ડ અને કિથના કહેવા પ્રમાણે ભરત રાજાઓનાં નામ પર અગ્નિ (યજ્ઞા વિશેષ)ને ભારત કહેવામાં આવ્યું. એમની દેવીનું નામ ભારતી હતું અને આ રીતે ભારત શબ્દનો અર્થ એ ભરતવંશની સંતતિ છે એમ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે.
રામાયણમાં દશરથના પુત્ર ભરતનું નામ મળે છે, પરંતુ બંધુપ્રેમી ભરત ક્યારેય રાજગાદી પર બેઠા નહોતા. એમણે આયોધ્યાનાં સિંહાસન પર રામની પાદુકા રાખી હતી અને રામ પ્રત્યેની અપાર ભક્તિ સાથે કાર્ય કર્યું હતું. આથી એમના નામ પર આ દેશનું નામ પડયું હોય તેવી શક્યતા નથી. એ જ રીતે કેટલાંક લોકો નાટયશાસ્ત્રનાં પ્રણેતા ભરત પરથી આ દેશનું નામ ભારત પડયું હોય એમ કહે છે, જોકે નાટયશાસ્ત્રનાં પ્રણેતા ભરતને રાજકાર્ય સાથે કોઈ સંબંધ નહોતો.
આથી ભારતમાં વસતા આપણે સહુ ભારતવાસીઓએ ચિંતન કરવું જોઈએ કે 'ભારત' દેશનું નામ કોના પ્રભાવક વ્યક્તિત્વ પરથી પડયું ! એ વિશે આપણે જરૂર વાત કરીશું.
મનઝરૂખો
તમારી પાસે 'કશુંક વિશિષ્ટ' છે અને એ વિશિષ્ટને તમારે તમારી આસપાસનાં જગતમાં વહેંચવાનું છે, પણ બને છે એવું કે તમે ખુદ તમારી જિંદગીથી એટલા બધા ઘેરાયેલા છો કે તમને કલ્પના પણ આવતી નથી કે તમારી પાસે બીજાને આપવા માટે કશુંક વિશિષ્ટ છે !
કોઈક તો માને છે કે સુખ અને દુ:ખ, આનંદ અને વિષાદ, અમીરી અને ગરીબી, તંદુરસ્તી અને બીમારી - એની વચ્ચે મઝધારે હાલકડોલક થતી આ જિંદગીની ચિત્રવિચિત્ર નૌકાયાત્રા છે. વળી જ્યાં 'એકલો જાને રે'ની માફક જિંદગીના પંથે ચાલવાનું હોય, ત્યારે મારે જ દોડવાનું, અથડાવાનું અને પછાડવાનું હોય છે, એવે સમયે કોઈ બીજી વ્યક્તિનો હાથ પકડવાનો, મદદ કરવાનો કે કોઈને કશુંક આપવા વિશેનો વિચાર કઈ રીતે કરી શું ? બીજાની ભલાઈ કરવી એ મારે માટે આકાશકુસુમવત્ વાત છે, કારણ કે મારી રોજિંદા જીવનની ઘટમાળમાંથી માંડ માથું ઊંચું કરી શકતો નથી, ત્યાં બીજાને ઉપયોગી કે સહયોગી થવાની તો શક્યતા જ ક્યાંથી હોય ?
પણ ના, તમારી પાસે કશુંક વિશિષ્ટ છે. જેનાથી તમે આસપાસના જગતમાં ખુશહાલી વહેંચી શકો છો, પણ એનો બાહ્ય જગતમાં વસતા તમને ખ્યાલ નથી. તમારે તમારી ભીતરમાં રહેલા એ ગુપ્ત ખજાનાની ખોજ કરવી પડશે. એ ગુપ્ત ખજાનામાં સ્નેહ, સાથ, સહયોગ, સંબંધનાં કેવા સુંદર રત્નો પડયા છે અને એ જોશો, ત્યારે તમને અહેસાસ થશે કે તમારી જિંદગીમાં પણ બીજાને આપવા માટે 'કશુંક વિશિષ્ટ' છે ખરું.