દેવર્ષિ નારદની ભવ્યતાનું કેવું દુર્ભાગી ખંડન!

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
દેવર્ષિ નારદની ભવ્યતાનું કેવું દુર્ભાગી ખંડન! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

કે ટલીક પ્રજા પોતાના દેશના સમર્થ પુરુષોની ભવ્ય પ્રતિમા ખડી કરીને પ્રેરણા પામે છે, તો કેટલીક પ્રજાને પોતાની ભવ્ય પ્રતિમાઓને ખંડિત કરવાનો વાયરસ લાગુ પડયો હોય છે. એ ભૂતકાળના સમર્થ પુરુષોની ભવ્યતાનો સમાદર કરવાને બદલે કોઈ નાનકડો દોષ કલ્પીને એ મૂર્તિઓને સતત ખંડિત કરવા માટે પ્રયાસ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પર એમના સમયે આક્ષેપોની કેવી ઝડી વરસી હતી ! મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમાને શત્ શત્ ખંડિત કરવામાં આપણે ક્યાં પાછા વળીને જોયું છે ? જે પ્રજા પોતાના પ્રતાપી વ્યક્તિત્વની પૂજા કરતી નથી, એ પ્રજા સમય જતાં પોતે નિર્બળતામાં નકારાત્મકતામાં જીવે છે.

આપણી કથાઓ, ધાર્મિક ચલચિત્રો અને ધારાવાહિકોએ કોઈ ભવ્ય પાત્રની પ્રતિમા સદંતર ખંડિત કરી નાખી હોય, તો તે નારદના પાત્રની છે. નારદ દેવર્ષિ હતા જ્યારે એમને આપણે ત્યાં સાવ નગણ્ય જ નહીં, બલ્કે નગુણા બતાવવામાં આવ્યા. ક્યાંક જુદી જુદી વ્યક્તિઓને ભંભેરીને એમને પરસ્પર લડાવી મારતા હોય તેવું નારદનું ચિત્ર દોરવામાં આવ્યુ અને તેઓ કલહપ્રિય ગણાયા. કોઈકે ડબલ ઢોલકી વગાડનાર કહ્યા. આથી જ લોકવ્યવહારમાં કલહ જગાડનારી વ્યક્તિને માટે 'નારદવેડા' શબ્દ પ્રચલિત બની ગયો છે. ક્યાંક એ વિદૂષક જેવી ભૂમિકા ભજવતા જોવા મળે છ. એમના પ્રકાંડ પાંડિત્ય અને વિરાટ વ્યક્તિત્વને થયેલો આ ઘોર અન્યાય છે.

હકીકતમાં તો નારદજીનો ઉપહાસ કરનારા શ્રીહરિના અંશાવતારની અવમાનના કરે છે. સૃષ્ટિકાર્યમાં સહાય કરવા માટે બ્રહ્માજીએ પોતાના મનમાંથી જે પુત્ર પ્રગટ કર્યો, તે નારદ. ભગવાનની અધિકાંશ લીલાઓમાં એમના અનન્ય સહયોગી તરીકે નારદ જોવા મળે છે. તે ભગવાનના પાર્ષદ હોવાની સાથોસાથ દેવતાઓનાં પ્રવક્તા છે. આજના સમયમાં આપણે જાણીએ છીએ કે પ્રવક્તાઓનો કેટલો મોટો મહિમા છે, ત્યારે દેવલોકનાં આ પ્રવક્તા એ હકીકતમાં તો દેવર્ષિ છે.

આ નારદ દસ પ્રજાપતિઓમાંના એક હતા, વિષ્ણુના પરમભક્ત હતા, દેવો અને મનુષ્યો વચ્ચે સંદેશવાહક હતા, તો સાથોસાથ વિશ્વહિતની ચિંતા માટે સમર્થ ઋષિ હતા. પૌરાણિક સાહિત્યમાં નારદ ત્રિલોકમાં નિત્ય પ્રવાસી બને છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠ પર અને હૈયામાં ભગવદ્ નામનું રટણ - આ નારદનું લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ ઘટના ભુલાઈ ગઈ કે રત્નાકર ભીલનું એમણે વાલ્મિકીમાં પરિવર્તન કર્યું હતું. જે વાલ્મિકી પાસેથી આપણને 'વાલ્મિકી રામાયણ' પ્રાપ્ત થયું.

તેઓ વિશ્વનાં પ્રતિપાલક વિષ્ણુના પ્રિતિપાત્ર તો હતા જ, સ્વયં વિષ્ણુ એમની અંગત વાતો એમને કહેતા હતા અને એ પ્રશ્નોમાં એમની સલાહ પણ લેતા હતા. હવે તમે વિચારો કે આપણે આવા ઋષિપાત્રની કેવી અવદશા કરી. મહાભારતનાં આદિ પર્વમાં એવો ઉલ્લેખ છે કે ત્રીસ લાખ શ્લોકોવાળું મહાભારત એમણે દેવોને સંભાળ્યું હતું. તો વળી એક દાર્શનિક તરીકે એમણે તત્વજ્ઞાાનનો ઉપદેશ આપ્યો હતો અને દક્ષપુત્રોને સાંખ્ય તત્વજ્ઞાાનનો અને ધૌમ્યમુનિને સૂર્યનાં અષ્ટોત્તરશતનામનો એમણે ઉપદેશ આપ્યો હતો.

વનવાસ સેવતા પાંડવો કામ્યક વનમાં હતા, ત્યારે એમણે આ પાંડવોને આપત્તિ વેળાએ હૂંફ અને હિંમત આપ્યા હતા. ભીષ્મને પરશુરામ પર પ્રસ્થાપનાસ્ત્રનો પ્રયોગ કરતા અટકાવનાર પણ આ નારદ જ હતા. જ્યારે બાણશૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મના દર્શને અનેક ઋષિઓ આવ્યા હતા, તે સમયે નારદ પણ ત્યાં પધાર્યા હતા. એ જ રીતે 'મહાભારત'માં રાજસૂય યજ્ઞામાં યુધિષ્ઠિરનો અભિષેક પણ એમણે કર્યો હતો અને યુધિષ્ઠિરે યોજેલા અશ્વમેઘ યજ્ઞામાં પણ તેઓ ઉપસ્થિત હતા. શુકદેવ જેવા મહાન વૈરાગીને પણ એમણે જ્ઞાાન-વૈરાગ્યનો ઉપદેશ આપ્યો હતો. ભારતનાં મહાન ગ્રંથોમાં નારદની ભૂમિકા કોઈને કોઈ રીતે જોવા મળે છે.

વાલ્મિકીને રામકથા સંભળાવીને રામાયણના આલેખનની પૂર્વભૂમિકા નારદે રચી આપી હતી, એવો સ્પષ્ટ ઉલ્લેખ આ મહાકાવ્યનાં પ્રારંભમાં જ મળે છે. તો બીજી બાજુ નારદ કુશળ સાયકોલોજીસ્ટ હતા અને એટલે જ મહર્ષિ વ્યાસને એમણે મનની વ્યાધિમાંથી સમુચિત ચિકિત્સા કરીને મુક્ત કર્યા હતા અને તેમને 'ભાગવત' ગ્રંથ રચનાની પ્રેરણા આપી હતી, એ વાત સ્વયં મહર્ષિ વ્યાસે નોંધી છે.

નારદની પ્રતિભા તો જુઓ, એમનો જન્મ દેવયોનિમાં થયો, પણ ઋષિકાર્ય કરવાને કારણે એ દેવર્ષિ કહેવાયા. દેવલોકમાં વસવાટ કરવાને બદલે વનમાં આશ્રમ બાંધીને એમણે સહુને આત્મકલ્યાણનો બોધ આપ્યો. બાળભક્ત ધુ્રવને ભક્તિનો માર્ગ બતાવ્યો, તો દુષ્ટ કંસને ઉશ્કેરીને એનો વહેલો સંહાર કરાવ્યો. ભક્ત પ્રહલાદની માતા ક્યાધુ સગર્ભા હતી, ત્યારે નારદના આશ્રમમાં રહી હતી અને અહીં ગર્ભવાસી પ્રહલાદનાં ભક્તિ સંસ્કાર દ્રઢ થયા. ભક્તિનો ઉપદેશ એ નારદની ભવ્યતા છે અને નારદ ભક્તિસૂત્ર એ આપણો ભક્તિમાર્ગનો મૂલ્યવાન ગ્રંથ છે અને એ જ રીતે દક્ષ પ્રજાપતિનાં અગિયાર હજાર પુત્રોને નારદે નિવૃત્તિનો ઉપદેશ આપ્યો, તેથી ક્રોધે ભરાઈને દક્ષ પ્રજાપતિએ કહ્યું કે, 'નારદ ક્યાંય બે ઘડીથી વધારે સમય રોકાઈ શકશે નહીં' અને તેથી નારદ ત્રણેય લોકમાં પરિવ્રાજકની માફક ફર્યા છે.

દેવ અને દાનવ સહુ કોઈ એમને આદર આપતા હતા અને એમનો હેતુ જગત કલ્યાણનો હતો. 'નારદ-પાંચરાત્ર', 'નારદસંહિતા', 'નારદસ્મૃતિ', 'નારદપુરાણ', 'બૃહન્નારદીય-ઉપપુરાણ' વગેરે ગ્રંથોનું કર્તૃત્વ એમને નામે ચઢ્યાની એક અસમર્થિત પરંપરા પણ પ્રચલિત છે. વિદ્વાનોનું અનુમાન છે કે નારદ નામની એક વ્યક્તિ થઈ હશે અને પછી એ વ્યક્તિનો ધર્મમાં અથવા સિદ્ધાંતોને આધારે એક સંપ્રદાય સ્થપાયો હશે. એ સંપ્રદાયનાં લોકો નારદ કહેવાતા હશે, કારણ કે સૃષ્ટિનાં પ્રારંભથી લઈને છેક શ્રીકૃષ્ણના જીવન સુધી નારદ નામના દેવર્ષિનો ઉલ્લેખ મળે છે. આ નારદ ભક્તિમાર્ગનાં બાર આચાર્યોમાંના મુખ્ય ગણાય છે. આયુર્વેદ, જ્યોતિષ, નીતિ, સંગીત આદિ શાસ્ત્રોનાં પણ તે મોટા આચાર્ય છે. એમણે લખેલી સંહિતાઓ આજે પણ માર્ગદર્શક ગણાય છે. અહીં નારદસ્મૃતિનો ઉલ્લેખ કરું, કારણ કે એમાં ન્યાયશાસ્ત્રની ઘણી મહત્વની સામગ્રી પ્રાપ્ત થાય છે. એમાં લખ્યું છે કે ન્યાયાલય સર્વોપરિ છે, તેમજ એમાં દેવું પાછું કેવી રીતે મેળવવું, જમાનત કઈ રીતે આપવી અને જુદાં 

જુદાં કામો કરે તો કેવો અપરાધ ગણવો તેની વાત કરી છે.

નારદની ભવ્યતા એ છે કે એ વૈદિક અને હિંદુ ગ્રંથોમાં તો એમનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, પણ એથીયે વિશેષ આશ્ચર્યજનક બાબત એ છે કે જૈન સૈહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં પણ નારદનો ઉલ્લેખ મળે છે. આને માટે 'ઋષિભાષિત' નામના અર્ધમાગધી પ્રાકૃતનું અતિ પ્રાચીન રૂપ ધરાવતા જૈન ધર્મનાં મહત્વપૂર્ણ ગ્રંથમાં વૈદિક પરંપરામાં પ્રસિદ્ધ એવા દેવ નારદ, અંગિરથ ભારદ્વાજ, યાજ્ઞાવલ્ક્ય, બાહુક, વિદુર, વારિષેણ કૃષ્ણ જેવાં નામો મળે છે અને આ ઋષિઓના ઉપદેશ ઉપનિષદ, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. આ ગ્રંથની એ વિશેષતા છે કે એમાં જે ઋષિઓની નામાવલિ છે તેમાં પાંચેક ઋષિ સિવાય બીજા બધા પ્રાગૈતિહાસિક કાળમાં થયેલી વ્યક્તિઓ છે. આ બધાને કારણે આ ગ્રંથ માત્ર જૈન પરંપરાનો જ નહીં, પણ સમગ્ર ભારતીય પરંપરાનો એક અતિ મહત્વનો ગ્રંથ છે, જેમાં ધાર્મિક ઔદાર્યનું વિશાળ અને મનોરમ દર્શન થાય છે.

બહુ ઓછાને ખ્યાલ હશે કે આ ગ્રંથ ઉપરાંત 'સમવાયાંગ', 'જ્ઞાાતાધર્મકથા', 'આવશ્યક ચૂર્ણિ', 'ઋષિમંડલ' જેવાં જૈન ગ્રંથોમાં પણ નારદનો ઉલ્લેખ મળે છે અને આ ગ્રંથોમાં નારદનાં વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાંઓ જોવા મળે છે. જેમ કે 'ઔપપાતિક' ગ્રંથમાં નારદને ચાર વેદ અને અનેક વિદ્યાઓના જ્ઞાાતા દર્શાવ્યા છે.

જૈન પરંપરામાં પણ નારદનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી આલેખાયું છે અને બળદેવો અને વાસુદેવોની સાથોસાથ નવ નારદોની કલ્પના કરવામાં આવી છે. એટલું જ નહીં પણ નારદને માનનારા પરિવ્રાજકોનો એક સ્વતંત્ર પંથ હોવાની નોંધ પણ મળે છે. જ્યારે બૌદ્ધ પરંપરામાં પણ ઘણા નારદોનો ઉલ્લેખ મળે છે. ચોવીસ બૌદ્ધની જે અવધારણા કરવામાં આવી છે એમાં નવમા બૌદ્ધ નારદ છે. વળી ભગવાન બુદ્ધના સમકાલીન એવા નારદ નામના બ્રાહ્મણનો પણ ઉલ્લેખ મળે છે. આવા ભવ્ય અને સર્વવ્યાપી વ્યક્તિત્વની આપણે કેવી અવહેલના કરી છે ! જરા વિચારીએ !

મનઝરૂખો

ન્યૂયૉર્કના બ્રોંક્સના ૯૩૯ વુડિક્રિસ્ટ ઍવન્યુમાં આવેલી જ્યોર્જ વૉશિંગ્ટન હાઈસ્કુલમાં શરીરવિજ્ઞાાનના શિક્ષક બ્રાન્ડવાઈન વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ ગયા. એમણે દૂધની એક બોટલ ડેસ્કના સાવ છેડે રાખી હતી અને વિદ્યાર્થીઓ એ બોટલને જોઈને વિચારવા લાગ્યા કે આ દૂધની બોટલનો શરીરવિજ્ઞાાન સાથે શું સંબંધ હશે ? એવામાં એકાએક બ્રાન્ડવાઈન ઊઠયા, ડેસ્ક થોડું હાલ્યું અને બોટલ નીચે પડી ગઈ. એમાંનું બધું દૂધ ઢોળાઈ ગયું અને વિદ્યાર્થીઓએ ભારે શોરબકોર કર્યો, ત્યારે શિક્ષક બ્રાન્ડવાઈને કહ્યું કે,

'દૂધ હવે વહી ગયું છે. આમ રડવાથી હવે ફાયદો શું ? તમે ગમે તેટલો કકળાટ કરશો, તો પણ દૂધનું એક ટીપું તમને મળે તેમ નથી. જો થોડી સાવધાની રાખી હોત તો દુધની બોટલ પડી ન હોત, પણ હવે બીજું કંઈ થઈ શકે તેમ પણ નથી. આથી આ ઘટનાને ભૂલીને બીજા કામમાં ડૂબી જાવ, નહીં તો આ ઘટનાનો માત્ર અફસોસ કરતા જ રહેશો.'

અધ્યાપક બ્રાન્ડવાઈનની આ સલાહ સાંભળતાં જ વિદ્યાર્થી એલન સાઉન્ડર્સનું ચિત્ત ચમક્યું, કારણ કે ઘણા લાંબા સમયથી એના મન પર ચિંતાનું એક ભૂત સવાર થઈ ગયું હતું. પોતાની ભૂલને માટે એ સતત ક્ષુબ્ધ અને અશાંત રહેતો હતો. આખી રાત એ બનાવ વિશે વિચારતો અને આમતેમ પડખાં ઘસતો હતો. એની ભૂલ અને સુવા દેતી નહોતી. તેથી વિચારતો કે આવી સ્થિતિમાં હું પરીક્ષામાં કઈ રીતે સફળ થઈશ.

વળી એમ વિચારતો કે મેં પેલી ભૂલ કરી એને બદલે જુદી રીતે કામ કર્યું હોત તો ભૂલ થાત નહીં. ક્વચિત્ એમ પણ થતું કે એણે અમુક રીતે વાત કરી એને બદલે બીજી રીતે વાત કરી હોત, તો વધુ સારું થાત, પણ શિક્ષકે કહ્યું કે, ભૂલ થતી હોય તો સાવધાન રહેવું જરૂરી છે, પરંતુ જો ભૂલ થઈ જાય તો એના પસ્તાવામાં જ આખું જીવન કાઢી નાખવું તે ખોટું છે. એમ કરવાથી તો કશું નહીં વળે.

ક્ષણનો સાક્ષાત્કાર

કોઈ પણ રમતમાં ખેલાડીની મેદાન પરની રમત જેટલી નિર્ણાયક હોય છે, એટલી જ એના મનમાં ખેલાતી માનસિક કશ્મકશ પણ મહત્વની હોય છે. મેચ પૂર્વે ખેલાડી પોતાની એકાગ્રતા એકઠી કરીને મેદાનમાં ઉતરવા ચાહતો હોય છે. વર્ષોથી કેળવણી તાકાતનો નજારો પેશ કરવાની એનામાં ઉત્કટ તમન્ના હોય છે. જો ખેલાડી આવું જોશ ગુમાવી દે, તો એની રમત પર સીધો કમનસીબ પ્રભાવ પડતો હોય છે.

સુનિલ ગાવસ્કર હોય, કપિલદેવ હોય કે પછી સચિન તેંડૂલકર હોય આ બધાએ એમના ક્રિકેટ જીવનમાં ભારે નબળા દિવસો જોયાં છે. વારંવાર અણધારી નિષ્ફળતા મળતાં હૈયાની હામ તૂટી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આજે હાર્દિક પંડયા આવી મથામણ અનુભવી રહ્યો છે અને રોહિત શર્મા ફરી પોતાની બેટિંગની શાન હાંસલ કરવા માટે કોશિશ કરી રહ્યો છે. ખેલાડીને નિષ્ફળતા મળતા એના દોષો શોધવામાં આવે, એના પર ટીકાની પસ્તાળ પડે અને સમય જતાં ઉપેક્ષા પણ કરવામાં આવે. હકીકતમાં નિષ્ફળતાને સામે કાંઠે જ સફળતા વસતી હોય છે. વળી નિષ્ફળ જવાના કેટલાંય જુદા જુદાં ચિત્ર-વિચિત્ર કારણો હોય છે. આસપાસની પરિસ્થિતિ, વરસાદી પીચ, અકળાયેલાં પ્રેક્ષકો, સામા ખેલાડીની ભૂલ એ સઘળી બાબતો કારણભૂત બનતી હોય છે. એ સાચું કે સમર્થ ખેલાડી મેચમાં વિજય અપાવે છે, પરંતુ ઘણીવાર એની નિષ્ફળતા ટીમની કરોડરજ્જુ તોડી નાખે છે. મુંબઈની ટીમમાં બુમરાહ સફળ થાય, પણ બીજા ગોલંદાજો એ કક્ષાએ પહોંચી શકે નહીં અને તેને કારણે આઈ.પી.એલ.માં મુંબઈની ટીમ જમીનદોસ્ત થઈ ગઈ.

૧૯૯૯માં ચેન્નાઈમાં પાકિસ્તાનની મજબૂત ટીમ સામે પીઠના દુ:ખાવા સાથે સચિન તેંડૂલકરે ભવ્ય રમત બતાવી. ભારતને સત્તર રન કરવાના હતા, ભારત બાર રને હતું, ત્યારે સચિન આઉટ થયો અને એ સમયે પાકિસ્તાનના સુકાની વસીમ અક્રમને પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી. એનું કારણ એ હતું કે સચિન આઉટ થયો એની નિરાશાનો પ્રભાવ ડ્રેસિંગ રૂમમાં અને એ પછીનાં ખેલાડીઓ પર એટલો બધો પડયો કે ભારત એ ટાર્ગેટને પહોંચી શક્યું નહીં. આમ સમર્થ ખેલાડીની નિષ્ફળતાનો અન્ય ખેલાડીઓ પર પણ પ્રભાવ પડતો હોય છે. આ છે ક્રિકેટની અનહોની!


Google NewsGoogle News