નવરાત્રીમાં કાર્ડિઆક એરેસ્ટથી કેવી રીતે બચશો?
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
પ્રા ચીન સમયમાં વૃદ્ધોને જ હૃદયરોગની સમસ્યા થતી. હવે ૫૦ વર્ષની નીચેના પણ કાર્ડિઆક એરેસ્ટમાં ઝડપાય જાય છે. કાર્ડિઆક એરેસ્ટ એટલે હૃદયના ધબકારા બંધ થઈ જવા.
છેલ્લા બે વર્ષથી આપણે અનુભવ્યું છે કે ગરબા દરમ્યાન હાર્ટએટેક આવે છે. આને માટે આપણી બદલાતી લાઈફસ્ટાઈલ જવાબદાર છે.
ગરબા ગાનાર વ્યક્તિ એક ઝડપી સ્પોર્ટસ રમે છે. કલાકોના કલાકો ઘૂમતા રહે છે. બ્રેક લેતા નથી પાણી પીતા નથી. ડીજેની હૃદયના પડદા ફાડી નાંખે એવી સાઉન્ડ સિસ્ટમની નજીક ઝૂમતા રહે છે. એમની મસાલા ખાવાની આદત વર્ષોથી ચાલુ હોય છે. કેટલાક ડ્રગ એડિકટ પણ હોય છે.
ગરબાના રસિયાઓ સ્થળો બદલવાનો અને મિત્રોને અંદર લાવવાનો તેમજ પાસની વ્યવસ્થા કરવાનો જબરજસ્ત સ્ટ્રેસ અનુભવે છે. આ બધી જ બાબતો કાર્ડિઆક એરેસ્ટ તરફ દોરી જાય છે. આ એક સાયલન્ટ કિલર છે. ઘણીવાર શ્વાસ ચઢવાના કે જલ્દી થાકી જવાના ચિન્હો દેખાય તો પણ આપણે મેડિકલ ચેક અપ કરાવતા નથી.
જાણીતા કાર્ડિઓવાસ્ક્યુલર સર્જનના મતે તમારે તમારૂ બ્લડપ્રેશર અને નાડીના ધબકારા અવારનવાર ચેક કરાવવા જોઈએ. ઉપરાંત ઈકો ટેસ્ટ, ઈસીજી એ એક્સ-રે પણ ડોકટરને તમારા હૃદયની ઉપયોગી માહિતી આપે છે.
નિષ્ણાતોના મતે ગાઢ નિદ્રા અને ધીમી કસરતો કે ગરબા તમને આનંદ અને તંદુરસ્તી આપશે.
તબીબી નિષ્ણાતોના મતે ગરબા દરમ્યાન હાઈડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. વચ્ચે વચ્ચે બ્રેક લઈ ધીમે ધીમે પાણી પીતા રહો. ગરબાની કે રમતની હરીફાઈ પહેલાં તમારો બોડી ચેક અપ કરાવી લઈ તમારી ક્ષમતા જાણી લ્યો. ફેમિલીમાં હૃદયરોગનો ઈતિહાસ હોય તો ડોકટરને તેની જાણ કરો.
પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે તેમ તમારી બોડીનો ચેક અપ પણ સમયાંતરે કરાવતા રહો. લોહીનો એક નાનકડો ક્લોટ તમારા હૃદયને કે મગજને ક્યારે પણ કામ કરતાં થંભાવી દે છે. તમારે સ્પોર્ટસ રમવું છે, જીમમાં જવું છે ગરબા ગાવા છે તો શરીરને તેને માટે તૈયાર કરો.
એક હૃદયરોગ નિષ્ણાતના મતે બહારનો ખોરાક ત્યજો, મીઠુ (સોલ્ટ) ઓછું ખાવ અને મધ્યમસરના વ્યાયામ સાથે હાઈડ્રેટેડ (જલસભર) રહેશો તો બીનજરૂરી મુસીબતોથી બચી શકશો.
અમદાવાદ મેડિકલ એસોસીએશનની ગાઈડલાઈન વેબસાઈટ પરથી વાંચી તેનો અમલ કરો. જેમનું બ્લડપ્રેશર વધુ છે, જેમને ડાયાબીટીશ, હૃદયની તકલીફ છે તેમને હૃદયરોગનું જોખમ ટાળવા ગરબાથી દૂર રહેવું.
ગરબા ગાતા થકાવટ વધુ લાગે, શ્વાસ ચઢે કે ગભરાટ થાય તો નાળીયેર પાણી અથવા કેળા જેવો વધુ પોટેશ્યમ અને મેગ્નેશ્યમ ધરાવતો આહાર લેવો. ગરબામાંથી ખસી જવું. ઊજાગરા નવ દિવસ ચાલશે એટલે દિવસે પૂરતી ઊંઘ, આરામ લેવો. આ સઘળા સૂચનો કાર્ડિઆક સર્જયન તરફથી રજૂ થયા છે. તેનું ગંભીરતાથી પાલન કરવું અને નવરાત્રી માણવી.