શિયાળામાં ડ્રાય સ્કીનની સમસ્યા .
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
શિ યાળાની મોસમ એટલે ફેશનની મોસમ. તમને જેવા વસ્ત્રો પહેરવાનું મન થાય એ પહેરી શકો. બે ત્રણ સ્તરમાં પણ ઢંકાઈ રહી તમે ઠંડી સામે ઝઝૂમી શકો. લોન્ગકોટ, હેર, ગોગલ્સ, હુડી, સ્વેટશર્ટ, થર્મલ, સ્કાર્ફ અને જેકેટ જેવા અનેક વસ્ત્રોથી શરીરને આવરિત કરો છો ત્યારે સૂર્યપ્રકાશમાંથી વિટામિન-ડી મેળવવાની તક ચાલી જાય છે અને સ્કીન સૂકાઈ જવાની ફરીયાદ પણ શરૂ થાય છે. જેમની સ્કીન ડ્રાય ટાઈપની હોય તેમની તો હાલત જ બગડી જાય છે.
રાત્રે સૂતા કે ઊંઘમાં તેઓ ચામડીને ખંજવાળતા રહે છે. ચામડીના રોગો સારા કરવા માટે વર્ષોથી લોકો ડેડ સી (Dead sea) ના ખારા પાણીમાં સ્નાન કરતા આવ્યા છે. ડેડ સી આમ તો દરીયો નથી પણ ખારા પાણીનું તળાવ છે. સામાન્ય દરિયાના મીઠા કરતાં તે ૧૦ ઘણું ખારૂ છે. ખારા પાણીના આ તળાવનો પૂર્વ ભાગ જોર્ડનમાં અને પશ્ચિમ કિનારો ઈઝરાઈલમાં આવેલો છે.
સૂકી તરડાયેલી ચામડી માટે ખારૂ પાણી શ્રેષ્ઠ છે. દરિયાઈ મીઠાવાળા પાણીમાં અનેકવાર સ્નાન કરવાથી કેટલીકવાર સોરાયસિસ પણ સારો થઈ જાય છે. શિયાળામાં તમારી ચામડી સૂકાઈ જતી હોય તો દરિયાઈ મીઠાના ગાંગડાની ગ્લીસરીનમાં પેસ્ટ બનાવો અને શાવર લઈ આ પેસ્ટ શરીર પર ઘસો. હાથ વડે અથવા લૂફાહ સ્પંજ વડે પેસ્ટ ઘસો અને પછી ધોઈ કાઢો. તમારી ત્વચા મુલાયમ થઈ જશે.
ચામડીના રોગ માટે તમે ડોકટરને મળવા જાવ ત્યારે શું પુછવાનું છે એ પણ નોંધી લેશો.
ભાદરવામાં આપણને અનેક લોકો માથુ ખંજવાળતા, હાથ-પગ, કમર કે જાંઘ ખંજવાળતા જોવા મળશે. આ ખંજવાળ મીઠી હોવાથી કોઈ પ્રતિબંધ રહેતો નથી. ખંજવાળ એ કોઈ જાનલેવા રોગ નથી. આહાર અને સ્વચ્છતાની યોગ્ય ગોઠવણ અને નિયમિત દવાના ઉપયોગથી ખંજવાળ મટી શકે છે.
નિષ્ણાતોએ સૂચવેલા કેટલાંક ઉપાયો ધ્યાનથી વાંચી લઈ નોંધી લેજો. જાંઘની ખંજવાળ માટે આદુને ગરમ પાણીમાં ઊકાળી પીવું. તેમાં ૨૬ જેટલા ફૂગનાશક (એન્ટીફન્ગલ) સંયોજનો છે.
બે અઠવાડિયા માટે ટી ટ્રી ઓઈલ દિવસમાં ત્રણ વાર લગાડો. હલકાં કોટન વસ્ત્રો પહેરો. ગુદ્દાદ્વારની ખંજવાળ માટે ટબમાં બાયકાર્બોનેટ ઓફ સોડા ગરમ પાણીમાં મેળથી ૧૫ મિનિટ બેસો. મોટા ટબને બદલે તમે ''સિટ્ઝ બાથ'' પણ વાપરી શકો. આ માટે ડોકટરની સલાહ અનિવાર્ય છે. ડૉકટર ક્રીમ પણ આપશે.
સ્કીન રેશ માટે પાણીમાં ઓટમીલ નાંખી સ્નાન કરવું. કેટલાંક ઘરગથ્થુ ઉપાયોથી પણ ખંજવાળમાં રાહત મેળવી શકાય છે. સૂકી ચામડી માટે એલુવેરા અને તલનું તેલ ઉપયોગમાં લો.
સ્નાન કરતી વખતે પાણીમાં સેન્ડલવુડ એસેન્શ્યલ ઓઈલના ૧૦-૧૨ ટીપાં નાંખો. લેવેન્ડર ઓઈલ વાપરો તો તેનાથી ડિપ્રેશનમાં પણ રાહત મળશે.
તમારે આહારમાં મીઠા ફળોને પ્રાધાન્ય આપવું. પપૈયા, કેળાં, તડબૂચ લો. ફળ અને શાકભાજી દિવસમાં ૮-૧૦ વખત ખાવા. નાળીએરનું કોપરૂ પણ ગોળ સાથે ખાવ. મીઠુ (સોલ્ટ) ઓછું કરો કે બંધ કરો. ઓમેગા કેપ્સ્યુલ લો.
નિષ્ણાત ડોકટર સાથે ચર્ચા કરી સ્કીન ઈચનું કારણ શોધી તે કારણ દૂર કરો. આ રોગમાં નિદાન ખૂબ જરૂરી છે કારણ કે એલર્જી, ડ્રાય સ્કીન કે ફૂન્ગસમાંથી તમને કોણ હેરાન કરે છે એ જાણવું જરૂરી છે.
ડૉકટરની સલાહ પ્રમાણે સ્કીન સારી થયા પછી પણ મલમ અમુક દિવસો સુધી ચાલુ રાખવાના રહે છે તે જાણી લેજો.