વડોદરા અને સુરતમાં દરેક ખૂણે શ્રદ્ધાળુઓના ગણપતિના માંડવા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
વડોદરા અને સુરતમાં દરેક ખૂણે શ્રદ્ધાળુઓના ગણપતિના માંડવા 1 - image


- દુંદાળા દેવ જીવનના દરેક દુખ તેમજ અવરોધો ને હણનારા છે

- નવરાત્રીના નવ દિવસ કરતાં ગણપતિ બાપાની સવારીના ૧૦ દિવસને લોકો વધુ ઉત્સાહથી ઉજવે છે

- પ્રસંગપટ

- લાલ બાગ કા રાજા

માત્ર ભારતજ નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં આજથી ગણપતિ બાપ્પાનું જાહેરમાં સ્થાપન કરાશે. ઘરમાં પધરાવાતા ગણપતિ શ્રધ્ધાળુઓ દોઢ બે દિવસ માટે રાખે છે જ્યારે જાહેરમાં સ્થાપન કરાયેલા ગણપતિ દશ દિવસમાટે રખાશે. દુંદાળા દેવ તરીકે ઓળખાતા ભગવાન ગણપતિ વિધ્નહર્તા એટલેકે જીવનના દરેક દુખ તેમજ અવરોધો ને હણનારા  છે.

કોણ જાણે કેમ પણ કોરોના કાળ પછી લોકોમાં ભક્તિભાવનો જુવાળ જોવા મળે છે. શ્રાવણ માસથી શરૂ થયેલો ભક્તિનો રસ ગણપતિ મહોત્સવમાં હિલોળા લઇ રહ્યો છે. એક અંદાજ અનુસાર નવરાત્રીના નવ દિવસ કરતાં ગણપતિ બાપાની સવારીના ૧૦ દિવસને લોકો વધુ ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રીના દાંંડીયા રાસ વગેરે ચોક્કસ ઉંમરના લોકોને આકર્ષે છે પરંતુ ગણપતિ બાપ્પા નાના મોટા, ગરીબ-પૌસાદાર વગેરેને સાથે લઇને ચાલે છે.

એટલેજ જેટલા સ્થળે ગરબા યોજાય છે તેના કરતાં સો ગણી વધુ જગ્યાઓ પર ગણપતિનું સ્થાપન થાય છે. રાસ ગરબાના પગલે ક્લબ કલ્ચર ઉભું થયું છે અને ત્યાં પૈસા ચૂકવીને પ્રવેશ લેવો પડે છે જ્યારે ગણપતિ બાપ્પાના દર્શન દરેક માટે ખુલ્લા હોય છે.

જે ગણપતિ બાપ્પાના માંડવા મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઇમાં વધુ જોવા મળતા હતા તે સ્થાન હવે શિફ્ટ થઇને ગુજરાતના વડોદરા અને સુરતમાં સ્થિર થયું હોય એમ લાગે છે. વડોદરા અને સુરતમાં કોઇ ચાર રસ્તા એવા નથી કે જ્યાં ગણપતિ બાપાના બેથી ત્રણ માંડવા ના હોય. લગભગ દરેક નાના ગામમાં ગણપતિનું સ્થાપન કરાશે.

મુબઇના ગણપતિનું સ્થાપન એક અલગ ધાર્મિક દુનિયાના દર્શન કરાવે છે.  લાલબાગ કા રાજાના દર્શન કરવા લોકો અન્ય રાજ્યોમાંથી પણ આવે છે. સવારથીજ ત્યાં લાંબી લાઇનો લાગી જાય છે. બોલીવૂડની સેલિબ્રીટી, કોર્પોરેટ દુનિયાના કિંગ અને રાજકરાણ સાથે સંકળાયેલા  લોકો પણ રાજાના આશિર્વાદ લેવા દર્શન માટે લાઇનમાં ઉભા રહે છે.

અહીં દાનનો ધોધ વહે છે. બાપ્પાને આપેલું બમણું થઇને પાછું મળે છે તે માન્યતા એટલી પ્રચલિત છે કે લોકો પહેરેલા ધરેણાં પણ ઉતારતાં અચકાતાં નથી.

મુંબઇમાં હવેના દશ દિવસ ગણપતિ બાપ્પાને અર્પણ હોય છે. કરોડોના ખર્ચે તૈયાર કરલી પ્રતિમા અને તેના પર આવતા કરોડોના ચઢાવા અને દાન વગેરેના કારણે દરેક મંડપનો વીમો ઉતારવામાં આવે છે.  સૌથી પૈસાદાર મનાતા અને ૭૦ વર્ષથી ગણેશ મહોત્સવ યોજનાર જીએસબી ગણેશ મંડળનો વીમો ૪૦૦ કરોડ રૂપિયાનો છે, લાલબાગ કા રાજાનો વીમો ૩૩ કરોડ રૂપિયાનો છે. આ બંને પોલીસી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ઉતારી  છે. ૪૦૦ કરોડનો વીમો તા.૭ સપ્ટેમ્બરથી ૧૧ સુધીનો છે. આ સમય દરમ્યાન વધુ ભીડ જોવા મળે છે. જીએસબી મંડળ પાસેના ૬૬ કિલો સોનું અને ૩૨૫ કિલો ચાંદીનો પણ વિમામાં સમાવેશ થાય છે. તેમજ મંડપમાં કામ કરતા સ્ટાફ, રસોઇયા અને અન્ય સેવા કરતા લોકોના એક્સીડન્ટના કવરનો પણ સમાવેશ થાય છે.

મુબઇમાં થાય છે એવા લાલબાગ કા રાજા જેવા ગણેશ મંડપો મુબઇ સિવાય બહાર ભાગ્યેજ જોવા મળે છે. ૭૦-૭૦ વર્ષથી ગણેશ મહોત્સવ યોજનારા દર વર્ષે નવી ચેતના સાથે આયોજન કરવા તૈયાર થઇ જાય છે.

ગણેશ મંડપ માત્ર જાહેર સ્થળો પર નહીં પણ સોસાયટીઓ અને ફ્લેટોમાં પણ યોજાય છે. સહીયારા ખર્ચથી યોજાતો આ ઉત્સવ સ્થાપનથી વિસર્જન સુધી શ્રેણીબધ્ધ કાર્યક્રમો સાથે જોડાયેલો રહે છે. સોસાયટી અને ફ્લેટ વિસ્તારોમાં તો ધૂમાડા બંધ પ્રથા પણ શરૂ થઇ છે. જેમાં દશેય દિવસ સવાર સાંજ જમાવનું અને ગણપતિદાદાના ગુણ ગાવાનો સમાવેશ હોય છે. 

જાહેર સ્થાનો પરના ગણપતિ મંડપોમાં રાત્રે ભજન,ગરબા વગેરેના કાર્યક્રમો હોય છે. ગણપતિના મંડપના બજેટમા મંડપનો ખર્ચ, રોજે રોજનું સુશોભન, રોજનો પ્રસાદ, પૂજા કરવા આવતા મહારાજની દક્ષિણા, દર્શન કરવા આવતા દરેકને વિવિધ પ્રસાદી આપવી, વિસર્જનના દિવસનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. પ્રસાદ માટે મોદક અને મિઠાઇનો ખર્ચ જે પ્રસાદ કરે છે તે ઉઠોવે છે.

મુંબઇના ગણેશનું વિસર્જન વિશ્વમાં લાઇવ બતાવાય છે. લોકો અશ્રુભીની આંખે વિદાય આપે છે. આ દશ દિવસ એક અનોખા પ્રકારનો આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે.

Prasangpat

Google NewsGoogle News