ઉપધાન તપની આરાધના કરીને પાછા પરત ફરેલા એવા સુધાબેન ઝવેરી તથા કિરણબેન પ્રવિણભાઈ શાહનું સન્માન
- શિકાગોમાં મહાવીર મહિલા મંડળની બહેનોએ પ્રથમ સામુહિક મિલન સમારંભ યોજ્યો
શિકાગો, તા. 25 માર્ચ 2019, સોમવાર
શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો નામની સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યવંત છે અને તે સંસ્થામાં ઘણાં વર્ષોથી મહાવીર મહિલા મંડળ નામનું એક મહિલાનું સંગઠન કાર્ય કરે છે અને તે સંસ્થાના સંચાલકોએ પોતાના સભ્યો માટે ચાલુ વર્ષે પ્રથમ સામુહિક મિલન સમારંભનું આયોજન ગયા રવિવારે ૧૭મી માર્ચના રોજ કેરોલસ્ટ્રીપ ટાઉનમાં આવેલ તાજમહાલ રેસ્ટોરન્ટમાં કર્યુ હતું જેમાં ૧૭૨ જેટલા ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી.
ચાલુ વર્ષે યોજવામાં આવેલ પ્રથમ સામુહિક મિલન સમારંભની શરૂઆત સાંજના પાંચ વાગ્યે થઈ હતી અને જેમ જેમ પરિવારના સભ્યો આ વેળા આવતા હતા તે સર્વેને કમિટીની બહેનો આવકાર આપતી હતી અને તેઓ સર્વેને પોતાનું સ્થાન લઈ લેવા જણાવતી હતી. ત્યાર બાદ એપેટાઈઝરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનો લાભ સર્વેએ આનંદ અને ઉલ્લાસથી લીધો હતો.
આ કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ મહાવીર મહિલા મંડળના પ્રમુખ રશ્મીબેન કિશોરભાઈ શાહે પ્રાસંગીક પ્રવચન કરી મંડળની બહેનો તથા તેમના પરિવારના સભ્યોને આવકાર આપી સર્વેને આ વર્ષના પ્રથમ મિલન સમારંભનો આછેરો ખ્યાલ આપ્યો હતો અને ત્યારબાદ રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો અંગે રમુજી રીતે તેની રજુઆત કરાતાં મોટા ભાગની બહેનોએ તેમાં ભાગ લીધો હતો.
આ વેળા ચાલુ વર્ષે ઉપધાન તપની આરાધના પૂર્ણ કરીને પાછા અત્રે ફરેલ એવી બે મહિલાઓ જેમાં (૧) સુધાબેન ઝવેરી કે જેમણે પોતાના બીજા ઉપધાન તપની આરાધના પૂર્ણ કરેલ છે તેમનું તથા (૨) કિરણબેન પ્રવિણભાઈ શાહ કે જેમણે પોતાનાં પ્રથમ ઉપધાન તપની આરાધના પૂર્ણ કરેલ છે એવા તપસ્વી બહેનોનું મહિલા મંડળના સભ્યો દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
મહિલા મંડળના જોઈન્ટ ટ્રેઝરર ગીતાબેન હસમુખભાઈ શાહે અમારી મુલાકાતમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે અમારા મંડળમાં ૧૫૮ જેટલી બહેનો સભ્ય તરીકે જોડાઈ હતી અને આખા વર્ષ દરમ્યાન અમોએ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હતી જેમાં સ્નાત્રપૂજાઓ, બોલીંગ, પીકનીક, મીનાસોટા ટાઉનની ટ્રીપ, ડલ્લાસ જૈન મંદિરના ચૈત્ર પરી પાર્ટીના પ્રવાસના, કાર્યક્રમોનું આયોજનનો સમાવેશ થાય છે અને તેની સાથે સાથે જૈન સોસાયટીના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મહિલા મંડળની બહેનો અગ્રીમ સ્થાને રહે છે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.