14 એપ્રીલે રામના જન્મદિનની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે
- શિકાગોમાં યુનાઈટેડ સીનીયર પરિવાર
તા. 25 માર્ચ 2019, સોમવાર
સીનીયરોના હિતાર્થે ડેસપ્લેઈન્સ વિસ્તારમાં યુનાઈટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્થા ઘણાં વર્ષોથી કાર્યવંત છે અને તે સંસ્થાના સંચાલકોએ આખા વર્ષ દરમ્યાન જે સ્વયંસેવક ભાઈ બહેનોએ નિસ્વાર્થભાવે જે સેવાઓ આપેલ છે તેઓની પ્રશંસા કરવાનો એક ભવ્ય કાર્યક્રમ માર્ચ માસની ૨૩મી તારીખને શનિવારે બપોરે એક વાગે યોજવામાં આવ્યો હતો અને તે વેળા ૫૫ જેટલા સ્વયંસેવક ભાઈ બહેનોએ હાજરી આપી હતી અને પ્રસંગને દિપાવ્યો હતો.
આ અંગે જાણવા મળે છે તે છેલ્લા અગીયાર વર્ષના સમયગાળા દરમ્યાન સીનીયરોના હિતાર્થે આ સીનીયર મંડળના સંચાલકો કાર્ય કરતા આવેલ છે અને ગયા વર્ષે જેમણે નિસ્વાર્થભાવે મંડળ તેમજ સીનીયરોના હિતાર્થે જે સેવાઓ આપેલ તે તમામ સ્વયંસેવક ભાઈ બહેનોની પ્રશંસા કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અને તે આધારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સેક્રેટરી રમેશભાઈ ચોક્સીએ સૌનું સ્વાગત કર્યું હતું અને આજના કાર્યક્રમની આછેરી રૂપરેખા આપી હતી ત્યારબાદ આ સંસ્થાના અગ્રણી અને પ્રમુખ રમણભાઈ પટેલે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે સીનીયરોના હિતાર્થે આપણુ મંડળ કાર્યરત છે અને આ સંસ્થાના મોટા ભાગના સભ્યો સહકારની ભાવનાથી કાર્ય કરે છે તે નિહાળી આપણે સૌ આનંદની લાગણીઓ અનુભવીએ એ સ્વાભાવીક બીના છે.
ગયા વર્ષે જે ભાઈઓ તથા બહેનોએ આ સંસ્થામાં નિસ્વાર્થભાવે સેવાઓ આપેલ તેઓની પ્રશંસા થવી જોઈએ અને તે અંગેના એક કાર્યક્રમનું મર્યાદિત રીતે આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જે સૌના માટે ઉચીત પ્રસંગ છે અને મને આ અંગે અંગત રીતે ઘણો આનંદ થાય છે.
તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યું હતું કે સૌ સ્વયંસેવક ભાઈ બહેનો સંસ્થા પ્રત્યે પોતાની ફરજ બજાવે છે તે આનંદદાયક છે અને તેને હું આવકારુ છું અને આવોને આવો સહકાર તેમના તરફથી ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી અપેક્ષા રાખું તો તે અસ્થાને ન ગણી શકાય એવું તેમણે પ્રવચનના અંતમાં જણાવ્યું હતું.