બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં અંબિકા નદીના કિનારે આવેલું બંદર જાહેર જનતા માટે પ્રતિબંધ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં અંબિકા નદીના કિનારે આવેલું બંદર જાહેર જનતા માટે પ્રતિબંધ 1 - image


Bilimora News : બીલીમોરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા બીલીમોરાની અંબિકા નદીના કિનારે આવેલું ગુજરાત મેરી ટાઇમ બોર્ડ ગાંધીનગર હસ્તકના વર્ષો જૂના બંદરના ડકકાઓ અત્યંત બિસ્માર અને જોખમી બનતા આ બંદર પર જાહેર જનતા માટે અવર-જવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યાં મુજબ બીલીમોરા નગરપાલિકા હદમાં સમાવિષ્ઠ બીલીમોરાની અંબિકા નદીના કિનારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગર હસ્તકનું બંદર આવેલ છે. આ બંદરના ડકકાઓ આશરે 75 વર્ષ જૂના થયેલ હોય હાલ ખૂબ જ જર્જરિત થઇ ગયેલા છે. ત્યારબાદ આ જેટીનો ઉપયોગ બંધ થયેલ છે. બંદરના ડકકાનો ઉપયોગ બીલીમોરા શહેર તેમજ આસપાસના લોકો હરવા ફરવાના સ્થળ તરીકે કરે છે. ગણેશ વિસર્જન અને તાજીયા વિસર્જન પણ આ સ્થળેથી જ થાય છે. ધાર્મિક તહેવારોમાં જર્જરિત જેટી પર આશરે અંદાજે 50 થી 70 હજાર જેટલા લોકો ગણેશ વિસર્જન દરમિયાન અહી ઊભા રહે છે. જે લોકોના જીવને અતિ જોખમરૂપ છે. અને ભવિષ્યમાં જાનહાનિ થઇ શકે એમ છે. આ બંદર ખૂબ જ જર્જરિત થયેલ હોય મોટો અકસ્માત થવાની સંભાવના રહેલી છે. ચોમાસામાં વધુ વરસાદના લીધે નદીના વહેણના કારણે ડકકાઓ વધુ જર્જરિત થાય કે ગમે તે સમયે તૂટી પડે તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી. જેટી ઉપર ટેકનીકલ સર્ટિ મુજબ અવર-જવર થાય તે મુજબની વ્યવસ્થા સુનિશ્રિત કરવા તેમજ પોલીસ અધિક્ષક નવસારી દ્વારા તાત્કાલિક અસરથી આગામી તા,17-09-2024 ના ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરી 24 કલાક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

જે અન્વયે લોકહિતને ધ્યાને લઇ નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં અંબિકા નદીના કિનારે ગુજરાત મેટીટાઇમ બોર્ડ ગાંધીનગર હસ્તકનું બંદર પ્રશાસન સિવાય અન્ય જાહેર જનતા માટે પ્રવેશ અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News