‘તાલિબાનનો ઉપચાર માત્ર બજરંગબલીની ગદા’, ઈઝરાયલની કાર્યવાહી અંગે CM યોગીનું મોટું નિવેદન
રાજસ્થાનની મુલાકાતે પહોંચેલા ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
સભ્ય સમાજ માટે સૌથી મોટા કલંક અરાજકતા, ગુંડાગીરી અને આતંકવાદ : યોગી આદિત્યનાથ
જયપુર, તા.01 નવેમ્બર-2023, વાર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Elections-2023)ને લઈ પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે રાજસ્થાનની મુલાકાતે ગયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) હમાસ પર ઈઝરાયેલ (Israel-Hamas War)ના વળતા હુમલાની ભરપુર પ્રશંસા કરી છે. સાંસદ બાબા બાલક નાથની નોંધણી માટે તિજારા પહોંચેલા યોગી આદિત્યનાથે કોંગ્રેસ (Congress) પર તૃષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો, ઉપરાંત યુપીમાં બુલડોઝર એક્શનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તાલિબાની માનસિકતા પરાસ્ત થશે અને રાષ્ટ્રવાદનો વિજય થશે.
‘તાલિબાનનો ઉપચાર માત્ર બજરંગબલીની ગદા’
યોગી આદિત્યનાથે કોંગ્રેસના ઉમેદવાર પર નિશાન સાધી ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, મને કહેવાયું છે કે, તિજારા વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસે જે વ્યક્તિને મોકલ્યો છે, તે પોતાના વિશે મોટી મોટી સરખામણીઓ કરે છે. તાલિબાનનો ઉપચાર માત્ર બજરંગબલીની ગદા છે. તમે પણ જોઈ રહ્યા છો કે, ઈઝરાયેલ ગાઝામાં તાલિબાની માનસિકતાને કેવી રીતે કચડવાનું કામ કરી રહ્યો છે. ચોક્સાઈથી અને તે પણ નિશાન મારીમારીને...
સભ્ય સમાજ માટે સૌથી મોટા કલંક અરાજકતા-ગુંડાગીરી-આતંકવાદ
યોગી આદિત્યનાથે કહ્યું કે, સભ્ય સમાજ માટે સૌથી મોટા કલંક અરાજકતા, ગુંડાગીરી અને આતંકવાદ છે. જોકે વોટ બેંકનું રાજકારણ જ્યારે આતંકવાદ, ગુંડાગીરી અને અરાજકતા સાથે જોડાઈ જાય છે, તો એક ગરીબ સહિત તમામ લોકો તેની ઝપેટમાં આવી જાય છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે તિજારા બેઠક પર ભગવાધારી બાબા બાલક નાથની સામે મુસ્લિમ ઉમેદવાર ઈમરાન ખાનને ટિકિટ આપી છે.