મહારાષ્ટ્રમાં મહિલા 'અંધશ્રદ્ધા'નો ભોગ બની, ઘરનો વાસ્તુ સુધારવાના નામે 5 નરાધમોએ વારંવાર હવસનો શિકાર બનાવી
દુષ્કર્મીઓએ કાળા જાદુ મારફતે ઘરમાં સુખ શાંતિ, પતિ માટે સરકારી નોકરી વગેરેનો વાયદો કરી જાળમાં ફસાવી
આ દરમિયાન પીડિતા દંપતી પાસેથી લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા
image : Pixabay |
અંધશ્રદ્ધામાં અનેક લોકો ફસાઈ જતા હોય છે. જોકે તાજેતરનો મામલો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાનો છે. જ્યાં એક મહિલા આવી જ રીતે તેના પતિના મિત્રોના જાળમાં ફસાઈ ગઈ હતી. મહારાષ્ટ્ર પોલીસે થાણે અને પાલઘર જિલ્લામાંથી કુલ 5 લોકોની ધરપકડ કરી હતી જેમના પર આ 35 વર્ષીય મહિલા પર તેના ઘરનો વાસ્તુ દોષ દૂર કરી આપવા અને શૈતાની તાકાતોને કાળા જાદૂની મદદથી દૂર કરી આપવાના નામે તેના પર વારંવાર દુષ્કર્મ કરવા અને તેની પાસેથી સોનું-ચાંદી અને પૈસા પડાવી લેવાનો આરોપ છે.
પાંચ દુષ્કર્મીઓ પકડાયા
જે પાંચ લોકોએ આ મહિલા પર વારંવાર દુષ્કર્મ કર્યું હતું તેઓ તેના પતિના મિત્ર જ હતા અને તેઓએ આ પીડિત દંપતીને શૈતાની તાકાતો અને ભૂત પ્રેતના સાયાથી બચાવવાનો વાયદો કર્યો હતો. તેઓએ મહિલાને તેના ઘરમાં શાંતિ સ્થાપિત કરી આપવાનો પણ જુઠ્ઠો વાયદો કરીને તેને ફોસલાવી જાળમાં ફસાવી લીધી હતી. પોલીસે આ મામલે રવિન્દ્ર ભાટે, દિલીપ ગાયકવાડ, ગૌરવ સાલ્વી, મહેન્દ્ર કુમાવત અને ગણેશ કદમ નામના દુષ્કર્મીઓની ધરપકડ કરી હતી. તેમની સામે કલમ 376, 376(2)(n), 420 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
ક્યારે ક્યારે હવસનો શિકાર બનાવી
આરોપીઓએ 2018થી વિવિધ વિધીઓના નામે પીડિતાને શિકાર બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ પંચામૃતના નામે આ મહિલાને નશીલી દવાઓ પીવડાવીને બેભાન કરી તેના પર વારાફરતી દુષ્કર્મ આચરી રહ્યા હતા. આરોપીઓએ પીડિતાના સોના-ચાંદીના ઘરેણાં અને લાખો રૂપિયા પણ પડાવી લીધા હતા. આ લોકો પીડિત દંપતીને તેમના ઘરમાં સમૃદ્ધિ આવશે, શાંતિ સ્થાપિત થશે અને સરકારી નોકરી પણ લાગી જશે તેવા જુઠ્ઠાં વાયદાઓ કરીને તેમને શિકાર બનાવી રહ્યા હતા. 2019માં પણ આ લોકોએ થાણેમાં અને લોનાવાલામાં મહિલાને હવસનો શિકાર બનાવી હતી અને તે સમયે પણ 2.10 લાખ રૂપિયા રોકડા અને સોનું પડાવી લીધું હતું.