ચૂંટણી પહેલા INDIA ગઠબંધનમાં ભંગાણ! UPથી બંગાળ સુધી નેતાઓની અંદરો-અંદર નારાજગી

સપા નેતાઓ અને કોંગ્રેસ વચ્ચે તકરાર

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
ચૂંટણી પહેલા INDIA ગઠબંધનમાં ભંગાણ! UPથી બંગાળ સુધી નેતાઓની અંદરો-અંદર નારાજગી 1 - image


Lok sabha election 2024 : લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી મહાગઠબંધન INDIAની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. થોડા દિવસ પહેલા નીતીશકુમાર દ્વારા ગઠબંધન પર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જે નિવેદનમાં તેમની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. આ દરમિયાન બંગાળથી TMC નેતાની પણ ગઠબંધનને લઈ નારાજગી સામે આવી છે. લોકસભા 2024 પહેલા ઉત્તર પ્રદેશથી લઈ પ. બંગાળ સુધી વિપક્ષી એકતામાં મતભેદ દેખાવાના શરુ થઇ ગયા છે. પહેલા ડાબેરીઓએ બંગાળમાં ટીએમસી સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશના નવા કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના આગમન પછી, સમાજવાદી પાર્ટી (SP) સાથે કોંગ્રેસનું અંતર સતત વધી રહ્યું છે. વધુ એક વિવાદ તો ત્યારે સર્જ્યો જયારે સપાને ઝટકો આપતા લખીમપુર ખેરીથી ત્રણ વખતના સાંસદ અને અગ્રણી OBC નેતા રવિ પ્રકાશ વર્માએ પાર્ટી છોડી દીધી. તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

સપા સાથે MPના અગ્રણી OBC નેતાએ ફાડ્યો છેડો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે સપાની તાજેતરની તકરાર પછી આ એક મહત્વપૂર્ણ સમયગાળો છે. અગ્રણી OBC નેતા રવિ પ્રકાશ વર્માએ અને તેમની પુત્રી પૂર્વી વર્માએ સપા સાથે છેડો ફાડ્યો છે. બંને દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,  તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. તેમણે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટી જમીન પર લોકોથી અલગ થઈ ગઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે, પાર્ટી સ્થાપક સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. આવતીકાલે બંને કોંગેસમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મોટો દાવો વધુ સપા નેતાઓ પાર્ટીમાં જોડાશે

કોંગ્રેસ સાથેના તેમના પરિવારના જૂના સંબંધોનો ઉલ્લેખ કરતા પૂર્વીએ તેમના પગલાને ઘર વાપસી ગણાવી હતી. મળતી માહિતી મુજબ, તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેઅને AICC મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળી ચૂક્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે, વધુ સપા નેતાઓ તેમના સંપર્કમાં છે, જેઓ ટૂંક સમયમાં પાર્ટીમાં જોડાઈ શકે છે.

નીતીશ પણ INDIA ગઠબંધનથી નારાજ 

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તાજેતરમાં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન INDIA ગઠબંધન પ્રત્યે કોંગ્રેસની નીતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ અત્યારે માત્ર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચિંતિત છે. તે લોકસભા વિશે પણ વિચારતી નથી.


Google NewsGoogle News