CM પદેથી બે દિવસ પછી રાજીનામું આપીશ : કેજરીવાલ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
CM પદેથી બે દિવસ પછી રાજીનામું આપીશ : કેજરીવાલ 1 - image


- તિહારમાંથી નીકળ્યા પછી કેજરીવાલના ઘટસ્ફોટથી દિલ્હીમાં રાજકીય ભૂકંપ : ફરી સત્તાની અરવિંદને આશા

- AK47 પછી હવે AK48

- અમને પ્રમાણિક્તાનું પ્રમાણપત્ર હવે જનતા જ આપશે, ત્યાર પછી હું સીએમ, મનીષ સિસોદિયા નાયબ સીએમની ખુરશી પર બેસીશું

- કેજરીવાલના ઉત્તરાધિકારી તરીકે સુનીતા કેજરીવાલ, આતિશી માર્લેના, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજના નામ ચર્ચામાં

- ફેબુ્રઆરી ૨૦૨૫ના બદલે નવેમ્બર ૨૦૨૪માં મહારાષ્ટ્ર-ઝારખંડ સાથે દિલ્હીમાં ચૂંટણી યોજવા ભાજપને પડકાર

નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડના કેસમાં જામીન પર છૂટયાના બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાનો દાવો કરીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. કેજરીવાલે રવિવારે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, મેં દેશનું બંધારણ બચાવવા માટે અત્યાર સુધી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું નહોતું. હવેે બે દિવસમાં રાજીનામું આપી દેશે. એટલું જ નહીં હું ત્યાં સુધી સીએમની ખુરશી પર નહીં બેસું જ્યાં સુધી જનતા તેનો ચૂકાદો સંભળાવી ના દે. આ જનતા જ મને ફરી મુખ્યમંત્રી બનાવશે. આ સાથે તેમણે દિલ્હીમાં વહેલી તકે વિધાનસભા ચૂંટણી યોજવાની પણ માગ કરી છે. આ પહેલાં દિલ્હીમાં શીલા દીક્ષિતને હટાવી આપે પહેલી વખત સરકાર બનાવી હતી ત્યારે કેજરીવાલે માત્ર ૪૭ દિવસમાં સીએમપદેથી રાજીનામું આપી દીધું હતું. એટલે કેજરીવાલ એકે૪૭ના નામે ઓળખાતા થયા હતા. જ્યારે હવે ૪૮ કલાક પછી રાજીનામું આપવાની જાહેરાત કરતા કેજરીવાલ સોશિયલ મીડિયામાં એકે૪૮ના નામે ચર્ચાઇ રહ્યા છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ નીતિના કૌભાંડમાં શુક્રવારે તિહાર જેલમાંથી છૂટયા હતા. કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોટે શરતી જામીન આપ્યા હતા. કેજરીવાલે રવિવારે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, બે દિવસમાં આપના ધારાસભ્યો સાથે એક બેઠક યોજીશ, જેમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશે.

પત્ની સુનિતા સાથે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારે પક્ષના મુખ્યાલય પહોંચ્યા હતા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હું અને મનીષ સિસોદિયા હવે જનતા અમને પ્રમાણિક કહેશે ત્યાર પછી જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનીશું. મનીષ સિસોદિયાને પણ ગયા મહિને કથિત દારૂ નીતિ કૌભાંડમાં જામીન મળી ગયા હતા.

અરવિંદ કેજરીવાલની આકસ્મિક જાહેરાતથી દિલ્હીમાં હવે ભાવી મુખ્યમંત્રી તરીકે સુનિતા કેજરીવાલ તથા દિલ્હી સરકારના મંત્રીઓ આતીશિ માર્લેના, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોતના નામ ચર્ચાવા લાગ્યા છે.

કેજરીવાલે જણાવ્યું કે,મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હતો એટલા માટે ભાજપે મને જેલમાં નહોતો ધકેલ્યો. આપને તોડવાનો તેમનો ઈરાદો હતો. તેઓ કેજરીવાલનો જુસ્સો તોડવા માગતા હતા. તેમણે ફોર્મ્યુલા બનાવી છે - ધારાસભ્યો તોડો, એમએલએ ખરીદો, ઈડી-સીબીઆઈને મોકલીને ડરાવી દો, પાર્ટી તોડી નાંખો અને પોતાની સરકાર બનાવી લો. તેમને લાગતું હતું કે કેજરીવાલને જેલમાં ધકેલીને, પાર્ટી તોડીને દિલ્હીમાં પોતાની સરકાર બનાવી લેશે, પરંતુ અમારી પાર્ટી તૂટી નહીં, અમારા કાર્યકરો ઝુક્યા નહીં. અમે 'અગ્નિપરીક્ષા' આપવા તૈયાર છીએ. ભાજપ સારી સ્કૂલો અને મફત વીજળી આપી શકે તેમ નથી, કારણ કે તેઓ ભ્રષ્ટ છે. પરંતુ અમે આ સુવિધાઓ આપી શકીએ છીએ, કારણ કે અમે પ્રમાણિક છીએ.

તેમણે ઉમેર્યું કે, હું રૂપિયાથી સત્તા અને સત્તાથી રૂપિયાના ખેલનો ભાગ બનવા નથી આવ્યો. મને મુખ્યમંત્રીની ખુરશીની કોઈ લાલચ નથી. હું બે દિવસમાં મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપીશ. કાયદાની અદાલતમાં મને ન્યાય મળ્યો છે. હવે જનતાની અદાલત મને ન્યાય આપશે. 

અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રની સાથે ચૂંટણી કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હું ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું જ્યાં સુધી જનતા તેનો નિર્ણય નહીં સંભળાવે. આજથી થોડાક મહિના પછી દિલ્હીની ચૂંટણી છે. તમને લાગતું હોય કે કેજરીવાલ પ્રમાણિક છે તો આગામી ચૂંટણીમાં મારા પક્ષને વોટ આપજો. તમારો એક એક વોટ મારી પ્રમાણિક્તાનું પ્રમાણપત્ર હશે. 

કેજરીવાલે કહ્યું કે, હું દેશના બધા જ બીન ભાજપ મુખ્યમંત્રીઓને હાથ જોડીને અપીલ કરું છું વડાપ્રધાન તમને નકલી કેસ કરીને જેલમાં નાંખે તો કોઈપણ સ્થિતિમાં રાજીનામું ના આપશો. આપણા માટે પદ નહીં દેશનું બંધારણ અને લોકતંત્ર જરૂરી છે.

 જંગી બહુમતથી જીતીને આવેલી સરકારને તમે જેલમાં નાંખીને કહો કે રાજીનામું આપી દો. ભાજપની આ નવી ફોર્મ્યુલા આમ આદમી પાર્ટીએ નિષ્ફળ કરી દીધી છે.

કેજરીવાલ ૧૫ દિવસમાં રૂ. ૧૭૧ કરોડનું સીએમ આવાસ ખાલી કરશે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે સૂત્રોએ જણાવ્યું કે, કેજરીવાલ રાજીનામું આપ્યા પછી ૧૫ દિવસમાં સીએમ આવાસ ખાલી કરી નાંખશે. આ પ્રોટોકોલનો જ એક ભાગ છે કે વિદાય લઈ રહેલા મુખ્યમંત્રીએ ૧૫ દિવસમાં સીએમ આવાસ ખાલી કરવું પડે છે. દિલ્હીમાં કોઈ સત્તાવાર સીએમ આવાસ નથી. મુખ્યમંત્રીપદ પર રહેતી વ્યક્તિ જે ઘરમાં રહેતી હોય તેને જ સીએમ આવાસ બનાવી દેવાય છે. ભાજપ વૈભવી આવાસ મુદ્દે કેજરીવાલને નિશાન બનાવતો રહ્યો છે.  તેથી જ ભાજપ તેને 'શીશમહલ' તરીકે ઓળખાવે છે. પરંતુ કેજરીવાલ આ આવાસ છોડીને ભાજપ પાસેથી એક મુદ્દો આંચકી લેવા માગે છે. વધુમાં કેજરીવાલે ભાજપને નવેમ્બરમાં જ ચૂંટણી યોજવાનો પડકાર ફેંકીને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે તેના આ સત્તાવાર નિવાસના રીનોવેશન પાછળ રૂ.૧૭૧ કરોડ જેટલો ખર્ચો કર્યો હોવાના આરોપો થઇ રહ્યા છે.

- સુપ્રીમે હાથ બાંધી દેતા કેજરીવાલને રાજીનામાં સિવાય છૂટકો નહોતો

- અરવિંદ કેજરીવાલે અનેક નિશાન સાધ્યા

- સુપ્રીમની શરતો કેજરીવાલને સીએમ તરીકેની ફરજોનું પાલન કરવાની પૂરી સ્વતંત્રતા આપતી નહોતી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી છૂટયાના ૪૦ કલાક બાદ રવિવારે સવારે બે દિવસ પછી રાજનામું આપવાનો ધડાકો કરીને બધાને ચોંકાવી દીધા છે. આ જાહેરાત સાથે કેજરીવાલે અનેક નિશાન સાધતા માસ્ટર સ્ટ્રોક માર્ય હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજકીય નિરીક્ષકો મુજબ હકીકતમાં સુપ્રીમ કોર્ટની શરતોએ હાથ બાંધી દેતા કેજરીવાલે રાજીનામું આપવાની ફરજ પડી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું નહીં અને હવે તિહાર જેલમાંથી બહાર નીકળ્યાના ૪૦ કલાકમાં જ રાજનામું આપવાની જાહેરાત કરતાં બધાને આશ્ચર્ય થયું છે. જોકે, રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે કેજરીવાલે આટલો મોટો નિર્ણય કોઈ કારણ વગર જ નથી લીધો. કેજરીવાલ ૧૭૭ દિવસથી તિહાર જેલમાં કેદ હતા અને જેલમાંથી જ સરકાર ચલાવતા હતા. જોકે, શુક્રવારે મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.

રાજકીય નિષ્ણાતો મુજબ સુપ્રીમ કોર્ટની શરતો મુજબ કેજરીવાલ મોટા નિર્ણયો લઈ શકે તેમ નહોતા. સુપ્રીમમાંથી મળેલી જામીનની શરતો કેજરીવાલને મુખ્યમંત્રી તરીકેની ફરજોનું પાલન કરવાની પૂરી આઝાદી આપતી નહોતી. જેલમાંથી બહાર આવવા છતાં કેજરીવાલ સચિવાલય અથવા સીએમ ઓફિસ જઈ શકે તેમ નહોતા. વધુમાં ઉપરાજ્યપાલે મંજૂરી આપવાની હોય તેવી ફાઈલો સિવાય અન્ય કોઈ ફાઈલો પર તે હસ્તાક્ષર કરી શકે તેમ નહોતા. આ કારણે કેજરીવાલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ હતો. હવે કેજરીવાલ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપીને પ્રમાણિક નેતા તરીકેની પોતાની- સુપ્રીમની શરતો કેજરીવાલને સીએમ તરીકેની ફરજોનું પાલન કરવાની પૂરી સ્વતંત્રતા આપતી નહોતી



Google NewsGoogle News