પશ્ચિમ બંગાળ: OBC પ્રમાણપત્રોને રદ કરવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું - મમતા બેનર્જી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળ: OBC પ્રમાણપત્રોને રદ કરવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું - મમતા બેનર્જી 1 - image


Image: Facebook

Mamata Banerjee: કોલકાતા હાઈકોર્ટે તાજેતરમાં જ વર્ષ 2010થી રાજ્યમાં જારી તમામ ઓબીસી પ્રમાણપત્રોને રદ કરી દીધા હતા. આ નિર્ણયથી નારાજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની સરકાર હાઈકોર્ટના આદેશને પડકાર આપશે.

ગરમીની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટ જશે

દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના સાગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા બેનર્જીએ કહ્યું કે રાજ્ય સરકાર ગરમીની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. તેમણે કહ્યું. 'અમે ઓબીસી પ્રમાણપત્રોને રદ કરવાના આદેશનો સ્વીકાર કરતા નથી. અમે ગરમીની રજાઓ બાદ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું'.

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં 2010થી ઘણા વર્ગોને આપવામાં આવેલો ઓબીસીનો દરજ્જો બુધવારે રદ કરી દીધો હતો. તેનાથી લોકસભા ચૂંટણીની વચ્ચે રાજકીય વિવાદ છેડાઈ ગયો. કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમોના 77 વર્ગોને પછાત વર્ગ શ્રેણીની યાદીમાં સામેલ કરવા તેમની સાથે વોટ બેન્કની જેમ વર્તન કરવા જેવું છે. બેનર્જીએ ચૂંટણી રેલીમાં પોતાના સંબોધનમાં મતદાતાઓને આગ્રહ કર્યો કે તે તૃણમુલ કોંગ્રેસ સિવાય ભાજપ કે કોઈ અન્ય પાર્ટીને એક પણ વોટ આપે નહીં.

પાંચ લાખ ઓબીસી પ્રમાણપત્ર અમાન્ય થઈ જશે

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણયના દિવસથી જ રદ પ્રમાણપત્રોનો કોઈ પણ રોજગાર પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાશે નહીં. તેનાથી લગભગ પાંચ લાખ ઓબીસી પ્રમાણપત્ર અમાન્ય થઈ જશે. જસ્ટિસ તપોન્નત ચક્રવર્તી અને જસ્ટિસ રાજશેખર મંથાની બેન્ચે જોકે એ પણ કહ્યું હતું કે આ પ્રમાણપત્રોથી જે ઉમેદવારોને પહેલા તક મળી ચૂકી છે. તેની પર નિર્ણયની અસર થશે નહીં. 

નિર્ણયમાં તૃણમુલ સરકારનો ઉલ્લેખ નહીં

બેન્ચે નિર્ણયમાં તૃણમુલ સરકારનો ઉલ્લેખ કર્યો નથી. સંયોગથી તૃણમુલ 2011થી રાજ્યની સત્તામાં છે. તેથી કોર્ટનો આદેશ માત્ર તૃણમુલ સરકારમાં જારી ઓબીસી પ્રમાણપત્રો પર પ્રભાવી થશે. હાઈકોર્ટનો આદેશ 2012ના મામલે આવ્યો. બેન્ચે કહ્યું હતું કે 2010 બાદ જેટલા પણ ઓબીસી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા તે કાયદેસર નથી. વિધાનસભાએ નક્કી કરવાનું છે કે અન્ય પછાત વર્ગમાં કોણ હશે. પશ્ચિમ બંગાળ પછાત વર્ગ કલ્યાણ આયોગ ઓબીસીની યાદી નક્કી કરશે. યાદીને વિધાનમંડળને મોકલવી જોઈએ. જેના નામ વિધાનસભાથી મંજૂર કરવામાં આવશે તેમને ભવિષ્યમાં ઓબીસી માનવામાં આવશે.


Google NewsGoogle News