અયોધ્યામાં કેમ ભાજપની હાર થઈ? રામ મંદિર તો મળ્યું પણ આ કારણથી નારાજ હતા લોકો

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં કેમ ભાજપની હાર થઈ? રામ મંદિર તો મળ્યું પણ આ કારણથી નારાજ હતા લોકો 1 - image


Lok Sabha Election Results 2024: '400 પાર'નો નારો લઈને સતત ત્રીજી વખત જંગી બહુમતીથી 2024ની લોકસભા ચૂંટણી જીતવા નીકળેલા ભાજપ માટે મંગળવારે આવેલા ચૂંટણી પરિણામો આઘાતજનક રહ્યા છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા રહ્યા છે. આ પરિણામો માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં પરંતુ રાજકીય પંડિતો માટે પણ હેરાન કરનારા હતા. જો કે, સૌથી અલગ પરિણામો ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા બેઠક પરથી આવ્યા છે. જ્યાં ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ 50 હજાર મતોથી હારી ગયા છે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે, જ્યાં ભાજપે રામ મંદિર બનાવ્યું અને ધામધૂમથી તેનું ઉદ્ઘાટન કર્યું તે બેઠક પર ભાજપ કેવી રીતે હારી શકે? પરંતુ હવે પરિણામો સામે આવી ગયા છે ત્યારે તેને સ્વીકારવું જ પડશે.

રામ મંદિરને મતમાં ન બદલી શક્યા

ભાજપના કાઉન્ટિંગ એજન્ટ તિવારીએ કહ્યું કે, અમે ખૂબ મહેનત કરી, અમે તેના માટે લડાઈ લડી પરંતુ રામ મંદિરનું નિર્માણ મતમાં પરિવર્તિત ન થયું. મતગણતરી કેન્દ્રથી લગભગ એક કિલોમીટર દૂર ભાજપ કાર્યાલયમાં પરિણામોની તસવીર જેમ-જેમ સ્પષ્ટ થઈ રહી હતી તેમ-તેમ સન્નાટો નજર આવી રહ્યો હતો. ફૈઝાબાદ લોકસભા સીટના મતગણતરી કેન્દ્ર તરીકે કામ કરતી અયોધ્યામાં સરકારી ઈન્ટર કોલેજથી લગભગ એક કિલોમીટર દૂર લક્ષ્મીકાંત તિવારી અયોધ્યામાં લગભગ નિર્જન ભાજપના ચૂંટણી કાર્યાલયમાં બેઠા હતા.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના માત્ર ચાર મહિના બાદ જ ભાજપ ફૈઝાબાદમાં લોકસભા ચૂંટણી હારી ગયું, જેમાં અયોધ્યા પણ એક ભાગ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુપીના પરિણામોએ તમામ એક્ઝિટ પોલને પણ ફગાવી દીધા જેમાં NDAને 71-73 બેઠકો મળતી જોવા મળી હતી. આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં તેના 370 બેઠકોના લક્ષ્યાંકથી ઘણી પાછળ રહી ગઈ છે. અયોધ્યામાં હાર વિશેષ રૂપે ગંભીર છે.

જમીન અધિગ્રહણથી સ્થાનિકો નારાજ

લક્ષ્મીકાંત તિવારીએ જણાવ્યું કે, સ્થાનિક મુદ્દાઓ હતા, જે કેન્દ્રમાં હતા. અયોધ્યાના ઘણા ગામોના લોકો મંદિર અને એરપોર્ટની આસપાસ થઈ રહેલા જમીન અધિગ્રહણથી નારાજ હતા. આ સાથે જ બસપાના મતો સમાજવાદી પાર્ટી તરફ ખેંચાઈ ગયા કારણ કે, અવધેશ પ્રસાદ એક દલિત નેતા છે. નવ વખતના ધારાસભ્ય અને સપાના અગ્રણી દલિત ચહેરાઓમાંના એક અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને 54,567 મતોના માર્જિનથી હરાવ્યા હતા, જેએ  ત્રીજી વખત ફરીથી ચૂંટાવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

પ્રસાદે પોતાની જીત બાદ કહ્યું કે, આ એક ઐતિહાસિક જીત છે કારણ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મને સામાન્ય બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો હતો. લોકોએ જ્ઞાતિ અને સમુદાયની પરવા કર્યા વિના મને સમર્થન આપ્યું. ભાજપની અસાધારણ હારમાં બેરોજગારી, મોંઘવારી, ભૂમિ અધિગ્રહણ અને 'બંધારણમાં બદલાવ'ની વાતો ગુંજી રહી છે. 

બંધારણ બદલવા માટે 400 બેઠકોની જરૂર

ચૂંટણી પહેલા લલ્લુ સિંહ એ ભાજપના નેતાઓમાં હતા જેમણે કહ્યું હતું કે પાર્ટીને 'બંધારણ બદલવા' માટે 400 સીટોની જરૂર છે. મતગણતરી કેન્દ્રની બહાર રાહ જોઈ રહેલા મિત્રસેનપુર ગામના રહેવાસી 27 વર્ષીય વિજય યાદવે કહ્યું કે, સાંસદે આવું નહોતું કહેવું જોઈતું હતું. બંધારણ એ મુખ્ય મુદ્દાઓમાંનો એક હતો જે અવધેશ પ્રસાદ (વિજેતા એસપી ઉમેદવાર) એ ઉઠાવ્યો અને પોતાની રેલીઓમાં લઈ ગયા. 

લોકોએ પરિવર્તન માટે કર્યું મતદાન

વિજય યાદવે કહ્યું કે, પેપર લીક બીજું એક મોટું કારણ હતું. હું પણ આનો શિકાર છું. કારણ કે, મારી પાસે નોકરી ન હોવાથી મેં મારા પિતા સાથે અમારા ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. લોકોએ અહીં પરિવર્તન માટે મત આપ્યો કારણ કે અમારા સાંસદે રામ મંદિર અને રામ પથ (અયોધ્યા તરફ જતા ચાર રસ્તાઓમાંથી એક) પર પોતાની નિષ્ફળતા છુપાવવા સિવાય અહીં કોઈ કામ નથી કર્યું. 

સરકારના વાયદાથી લોકો નારાજ હતા

એક ભાજપ સમર્થકે જણાવ્યું કે રામ મંદિરની ભવ્યતા કદાચ બહારના લોકોને પ્રભાવિત કર્યા હશે પરંતુ શહેરના રહેવાસીઓ અસુવિધાથી નાખુશ હતા. તેમણે કહ્યું, સત્ય એ છે કે ઘણા ઓછા અયોધ્યાવાસીઓ મંદિરમાં જાય છે, અહીં મોટા ભાગના ભક્તો બહારના છે. રામ અમારા આરાધ્ય છે પરંતુ જો તમે અમારી આજીવિકા છીનવી લેશો તો અમે કેવી ગુજરાન ચલાવીશું? રામ પથના નિર્માણ દરમિયાન સ્થાનિક લોકોને વચન આપવામાં આવ્યું હતું કે તેમને દુકાનો ફાળવવામાં આવશે પરંતુ એવું ન થયું. 

સપા ઉમેદવારે લોકોના પુનર્વસનની કહી વાત

અયોધ્યા માટેની પોતાની યોજના પર સપાના વિજેતા ઉમેદવારે કહ્યું કે, ભાજપ સરકારે (મંદિર તરફ જતા રસ્તાઓને પહોળા કરવાના કામ દરમિયાન) ઘણાં લોકોને ઉખેડી ફેંક્યા છે. હું તેમના પુનર્વસન માટે કામ કરીશ.' હું એ લોકોને યોગ્ય વળતર અપાવવા માટે કામ કરીશ જેમની જમીન છીનવી લેવામાં આવી છે. 



Google NewsGoogle News