કેજરીવાલ કયા કેસમાં ફસાયા, તેમાં જામીન મળે કે ન મળે? જાણો PMLA કાયદો શું કહે છે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કેજરીવાલ કયા કેસમાં ફસાયા, તેમાં જામીન મળે કે ન મળે? જાણો PMLA કાયદો શું કહે છે 1 - image


Arvind Kejriwal arrested under PMLA case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે PMLA હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ બાબતે ધરપકડ કરી હતી. કેજરીવાલને આજે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ED પૂછપરછ માટે તેમની કસ્ટડી માંગશે. કેજરીવાલે ગુરુવારે મોડી રાત્રે પોતાની ધરપકડને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ પણ આજે આ મામલે સુનાવણી કરશે. એ પહેલા જાણીએ કે 

મની લોન્ડરિંગ એટલે શું?

મની લોન્ડરિંગનો અર્થ છે ગેરકાયદેસર રીતે કમાયેલી આવક અથવા પૈસા છુપાવવા અથવા કાયદેસર કરવા. ગુનેગારો આવું એટલા માટે કરે છે કે તેઓ ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં કાયદેસરના સ્ત્રોતોમાંથી આવ્યા હોવાનું જણાય છે.

PMLA કાયદા હેઠળ કરી કેજરીવાલની ધરપકડ 

અરવિંદ કેજરીવાલની ધરપકડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. આથી તેને જામીન મળવા ખૂબ જ મુશ્કેલ છે. આ કાયદો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો હતો અને 1 જુલાઈ, 2005 ના રોજ અમલમાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ અટકાવવાનો છે. વર્ષ 2012માં PMLAમાં સુધારો કરીને બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓને પણ તેના દાયરામાં લાવવામાં આવી હતી.

કાયદા હેઠળ વોરંટ વગર પણ થઇ શકે છે સ્થળની તપાસ

આ કાયદાની કલમ 45માં આરોપીના જામીન માટે બે કડક શરતો છે. PMLA હેઠળના તમામ ગુનાઓ કોગ્નિજેબલ અને બિનજામીનપાત્ર હશે. આ કાયદામાં આગોતરા જામીનની જોગવાઈ નથી. ED પાસે PMLA એક્ટ હેઠળ વોરંટ વગર આરોપીના સ્થળની તપાસ કરવાની અને તેની ધરપકડ કરવાની, અમુક શરતોને આધીન મિલકત જપ્ત કરવાની સત્તા પણ છે. PMLA હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિએ કોર્ટમાં સાબિત કરવું પડશે કે તેની સામેના આરોપો પાયાવિહોણા છે.જેલમાં રહીને આરોપી માટે પોતાને નિર્દોષ સાબિત કરવું સરળ નથી. 

PMLA હેઠળ જામીનની કડક શરતો

વર્તમાન સરકારે દ્વારા વર્ષ 2018માં PMLAમાં વધુ એક સુધારો કરવામાં આવ્યો હતો અને તેની કલમ 45 માં આરોપીના જામીન માટે બે કડક શરતો ઉમેરી હતી. આ બે શરતો એવી છે કે જામીન અરજી સામે સરકારી વકીલની સુનાવણી પહેલાં અદાલત પાસે એવું માનવા માટે વાજબી આધાર હોવા જોઈએ કે આરોપી ગુનામાં દોષિત નથી અને જામીન પર હોય ત્યારે તેણે કોઈ ગુનો કર્યો હોવાની કોઈ શક્યતા નથી. PMLAમાં આ સુધારાને લઈને સુપ્રીમ કોર્ટમાં લગભગ 100 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં EDને PMLA એક્ટ હેઠળ ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાની સત્તા અને જામીનની બેવડી શરતો પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

મની લોન્ડરિંગ એ જઘન્ય અપરાધ

અરજીઓમાં, EDને આપવામાં આવેલી આ સત્તાઓ CrPCથી બહાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને PMLA એક્ટને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 27 જુલાઈ 2022ના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો અને EDના અધિકારોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે PMLAમાં 2018ના સુધારાને પણ માન્ય રાખ્યો હતો. જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે કહ્યું હતું કે મની લોન્ડરિંગ એ જઘન્ય અપરાધ છે, જે માત્ર રાષ્ટ્રના સામાજિક અને આર્થિક માળખાને જ અસર કરતું નથી પરંતુ અન્ય જઘન્ય અપરાધોને પણ પ્રોત્સાહન આપે છે. આ બેન્ચના અન્ય બે જજ જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર હતા.

કેજરીવાલ કયા કેસમાં ફસાયા, તેમાં જામીન મળે કે ન મળે? જાણો PMLA કાયદો શું કહે છે 2 - image



Google NewsGoogle News