વિશેષ રાજ્યની માગથી પીછેહઠ કેમ? નીતિશ કુમારને છે ધરપકડનો ડર! વિપક્ષે લગાવ્યાં ગંભીર આરોપ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Budget 2024


Union Budget 2024: કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે રજૂ થયેલા બજેટમાં મોદી સરકારની સૌથી વધુ મહેરબાની આંધ્ર પ્રદેશ અને બિહાર રાજ્ય પર જોવા મળી છે. બંને રાજ્યો માટે મોટી રકમ ફાળવવામાં આવી છે. જેને વિપક્ષ ખુરશી બચાવો બજેટ ગણાવી ટીખળ કરી રહી છે, તો બીજી બાજુ ટીડીપી અને જેડીયુ સહિત એનડીએ તેને ક્રાંતિકારી બજેટ ગણાવી રહી છે. વિપક્ષે નીતિશ કુમાર પર આરોપ મૂક્યો છે કે, નીતિશ કુમાર વિશેષ રાજ્યનો દરજ્જો મેળવવા માટે આંદોલન કરવા તૈયાર હતા, તો તેઓ આ પેકેજથી જ સંતુષ્ટ કેમ છે. તેઓ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે, તેમજ તેમને જેલ જવાનો ભય પણ સતાવી રહ્યો છે. 

શું નીતિશ કુમારને કોઈ કાર્યવાહીનો ભય છે?

RJG, કોંગ્રેસ અને ડાબેરી પક્ષના નેતાઓએ દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના અંગત અધિકારી પર ઈડીના દરોડા બાદ દબાણમાં છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે, નીતિશ કુમારના નજીકના અધિકારીઓ પર તપાસ એજન્સીએ સકંજો કસ્યો હોવાના કારણે તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. જેથી વિશેષ રાજ્યનો દરજ્જોની માગમાં પીછેહટ કરી છે. વિપક્ષના નેતાઓએ આરોપ મૂક્યો છે કે, તપાસના ભયના કારણે નીતિશે વિશેષ રાજ્યની માગ પર મૌન ધારણ કર્યું છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે, નીતિશના અંગત અધિકારીઓ ઈડીની રડાર પર આવતાં નીતિશ સરેન્ડર કરી રહ્યા છે. ઈડીની ટીમે બિહારમાં ઉર્જા વિભાગના ચીફ સેક્રેટરી સંજીવ હંસને ત્યાં દરોડા પાડ્યા હતા. અન્ય ઘણા અધિકારીઓની પણ ઈડી તપાસ કરી રહી છે. જેથી નીતિશ કુમાર દબાણમાં હોવાનો આરોપ વિપક્ષ મૂકી રહી છે.

આ પણ વાંચોઃ કંગના સહિત ભાજપના બે સાંસદો સંકટમાં! સાંસદ પદ ગુમાવવાનો ડર, હાઈકોર્ટ પહોંચી ગયો મામલો

આરજેડી ધારાસભ્યે પણ મૂક્યા હતાં આરોપ

આરજેડી ધારાસભ્ય મુકેશ રૌશને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર નીતિશ પર દબાણ કરી રહી છે. નીતિશને ડરાવવા-ધમકાવવા માટે સંજીવ હંસ જેવા અધિકારીને ટાર્ગેટ બનાવી રહી છે. જેના પર અનેક આરોપ મૂકાયા છે. ભાજપ સારી રીતે જાણે છે કે, નીતિશ કુમાર દિલ્હીમાં મુશ્કેલી સર્જી શકે છે. જેથી સંજીવ હંસને ઈડીએ રડાર પર લીધા છે. નીતિશ જે દિવસે માગ પર જોર આપ્યું, તે દિવસે ભાજપ તેને જેલમાં નાખી દેશે. તેથી તેઓ પીછેહટ કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય સંજય તિવારીએ કહ્યું કે, ભાજપ નીતિશ કુમારને બ્લેકમેલ કરી રહી છે. ક્યારેક સંજીવ હંસના નામે તો ક્યારેક બીજે ક્યાંક. ઈડીની તપાસના ભય સાથે દબાણ બનાવવા માગે છે.

2009થી 2022 વચ્ચે નીતિશ કુમારના ભાજપ સાથે લગભગ 6 વખત મતભેદ થઈ ચૂક્યા છે. ચંદ્રબાબુ નાયડુના પક્ષે માર્ચ 2018માં એનડીએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મૂક્યો હતો.  આંધ્રમાં તે સમયે ચંદ્રાબાબુ નાયડુની સરકાર હતી અને નાયડુએ તેમના રાજ્ય માટે વિશેષ દરજ્જો અને પેકેજની માંગણી કરીને કેન્દ્ર સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો હતો.

આ બજેટથી નીતિશ અને નાયડુ ખુશ

બિહારને વિશેષ દરજ્જો આપવાની નીતિશ કુમારની માંગને કેન્દ્રએ ફગાવી દીધી હશે. પરંતુ બિહારને મળેલા વિશેષ પેકેજ બાદ નીતિશ કુમાર ખુશ દેખાતા હતા. તેમણે કહ્યું કે બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આશા છે કે બાકીની બાબતો ભવિષ્યમાં પૂર્ણ થઈ જશે આ સાથે જ ચંદ્રાબાબુ નાયડુએ એમ પણ કહ્યું કે આજે ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છે અને તેનું નામ નરેન્દ્ર મોદી છે.


  વિશેષ રાજ્યની માગથી પીછેહઠ કેમ? નીતિશ કુમારને છે ધરપકડનો ડર! વિપક્ષે લગાવ્યાં ગંભીર આરોપ 2 - image


Google NewsGoogle News