VIP કલ્ચર, રાજપૂતોની નારાજગી, પેપરલીક: સમીક્ષા બાદ ભાજપને મળ્યા યુપીમાં હારના કારણો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
VIP કલ્ચર, રાજપૂતોની નારાજગી, પેપરલીક: સમીક્ષા બાદ ભાજપને મળ્યા યુપીમાં હારના કારણો 1 - image


Uttar Pradesh Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024માં યુપીએ ભાજપને તગડો ઝટકો આપ્યો છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભરતી પરીક્ષાઓનું પેપર લીક થવું, રાજ્યમાં અધિકારીઓને મળેલી ખુલ્લી છૂટ અને વિપક્ષ દ્વારા બંધારણઅને રિઝર્વેશનના મુદ્દા ઉઠાવતા OBC અને દલિત મતદારોના મતોનું વિભાજન. આ એ કારણો છે જેને ભાજપે યુપીમાં પોતાના નબળા પ્રદર્શનના રૂપમાં ચિહ્નિત કર્યા છે. લોકસભા ચૂંટણી 2024માં યુપીમાં ભાજપનો વોટ શેર 41.37% પર પહોંચી ગયો હતો જ્યારે છેલ્લી લોકસભા ચૂંટણીમાં તે 49.98% હતો.

ભાજપે 19 જૂનથી 25 જૂન વચ્ચે યુપીની 78 લોકસભા બેઠકો પર પોતાના પ્રદર્શનની સમીક્ષા કરી હતી. આ બેઠકોમાં પીએમ નરેન્દ્ર મોદીની વારાણસી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની લખનઉ લોકસભા બેઠક સામેલ નથી. ભાજપે દરેક બેઠક પર પોતાના પ્રદર્શનની સમીક્ષા માટે 24 સવાલોનો સેટ તૈયાર કર્યો હતો. 

આ સવાલો સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની ટીમે સ્થાનિક નેતાઓ અને જનપ્રતિનિધિઓને મળીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેને કેમ હારનો સામનો કરવો પડ્યો અને એવા કયા કારણો રહ્યા કે, જે બેઠકોને તેમણે રિટેન કરી, ત્યાં જીતનું માર્જિન ઘટી ગયું. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચૂંટણી પરિણામ પર યુપી ભાજપના અધિકારીઓ અને RSS અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. ભાજપની યુપી યુનિટે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને માનવામાં આવી રહ્યું છે કે, આ રિપોર્ટ આ અઠવાડિયે સેન્ટ્રલ લીડરશિપને સોંપવામાં આવી શકે છે. 

સમીક્ષા બેઠકોમાં સામેલ ભાજપના સીનિયર કાર્યકર્તાએ જણાવ્યું કે વિપક્ષ દ્વારા બંધારણ અને અનામતને લઈને ચલાવવામાં આવેલ કેમ્પેઈન, પેપર લીક અને બેરોજગારીના કારણે નિરાશા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અવગણના અને અપમાનને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશાએ પાર્ટીને ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યુ છે. 

તેમણે જણાવ્યું કે, અંતે જવાબદારી સંગઠન પર જ છે કારણ કે ચૂંટણી રાજકીય પક્ષો લડે છે, સરકાર નહીં. પરંતુ વોટર સરકારના પ્રદર્શનના આધારે વોટ આપે છે, રાજકીય પક્ષના આધાર પર નહીં.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સમીક્ષા બેઠકમાં કામદારોની નિરાશાનું કારણ શું આવ્યું તો તેમણે કહ્યું કે, કામદારો નિરાશ હતા. લાંબા સમયથી સ્થાનિક પોલીસ સ્ટેશન અને તહેસીલ કાર્યાલયોમાં અધિકારીઓ દ્વારા તેમનું અપમાન કરવામાં આવી રહ્યું હતું. આ જ કારણોસર આ વખતે તેઓએ પોતાના મતદાન મથકો પર ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે ઉત્સાહ ન દર્શાવ્યો. રાજ્ય સરકારે 'VIP કલ્ચર' પર સકંજો કસવાના રાજ્ય સરકારના નિર્ણયએ પોલીસકર્મીઓને ભાજપના કાર્યકર્તાઓને પરેશાન કરવાની મંજૂરી આપી. ભાજપના કાર્યકર્તાઓના વાહનો પરથી પાર્ટીના ઝંડા ઉતારવામાં આવ્યા હતા, તેમના વાહનોની તપાસ કરવામાં આવી હતી અને ટ્રાફિક નિયમોના કથિત ઉલ્લંઘન બદલ ચલણ કાપવામાં આવ્યું હતું.

પેપર લીકથી ગુસ્સામાં યુવા વર્ગ

ભાજપની સમીક્ષા બેઠકોમાં એ પણ સામે આવ્યું કે, ભરતીની પરીક્ષાઓના પેપર લીક થવાના કારણે માત્ર યુવાનો જ નારાજ નહતા પરંતુ ભાજપને તેમના પરિવારના સભ્યોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો. યોગી સરકારે ગત મહિને જ પેપર લીક સંબંધિત નવો કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ જો કેસમાં દોષી સાબિત થાય તો બે વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે અને 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે જો આ પગલું અગાઉ લેવામાં આવ્યું હોત તો ભાજપને યુવા મતોનું નુકસાન ન થયું હોત.

કન્નૌજમાં અખિલેશ યાદવ સામે હારેલા સુબ્રત પાઠકે તો ખુલ્લેઆમ પેપર લીકને પાર્ટીના ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે યુપીમાં ભાજપની હારના ઘણા કારણો છે પરંતુ પેપર લીક એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારે શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. તેમણે શિક્ષણ પ્રણાલીમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે યુપી અને કેન્દ્ર સરકારના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. 

જાતિગત સમીકરણ

ભાજપની સમીક્ષામાં એ પણ સામે આવ્યું કે વિવિધ જાતિઓ અને સમુદાયોના મતો અંગેની તેની ગણતરીઓ ખોટી સાબિત થઈ છે. તેમાં ખાસ કરીને દલિતો અને OBC સામેલ છે. બીજેપીના એક નેતાએ જણાવ્યું કે, અનામત અને બંધારણ પર વિપક્ષના અભિયાનના કારણે દલિતો અને OBCના લગભગ 8% વોટ કપાયા.

પાર્ટીએ જણાવ્યું કે, બસપાના વોટ બેઝમાંથી સારી સંખ્યામાં જાટવ મતદારો સપા અને કોંગ્રેસમાં શિફ્ટ થઈ ગયા. ભાજપના એક નેતાએ કહ્યું કે અનામત અને બંધારણ પરના અભિયાનના કારણે લગભગ 6% જાટવ મતદારો સપા અને કોંગ્રેસ પર શિફ્ટ થઈ ગયા કારણ કે તેઓ માનતા હતા કે બસપા ભાજપને હરાવવા માટે ચૂંટણી નથી લડી રહી. ભાજપને આશા હતી કે બસપા કેટલાક મુસ્લિમ મતો મેળવવામાં સફળ થશે પરંતુ તેમ ન થયું.

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, લગભગ 70% OBC કુર્મી વોટ સપા-કોંગ્રેસ પર શિફ્ટ થઈ ગયા છે. તેમણે કહ્યું કે મતદારો એ વાતથી સંતુષ્ટ નથી થયા કે ભાજપ આરક્ષણ ખતમ નહીં કરશે. અમે લાચાર હતા. તેમણે કહ્યું કે સેન્ટ્રલ અને પૂર્વી યુપીમાં કુર્મી મતદારોને પૂરતી ટિકિટ ન આપવાનું નુકસાન પાર્ટીને વેઠવું પડ્યું. આ ઉપરાંત સેન્ટ્રલ યુપી અને બુંદેલખંડમાં OBC શાક્ય મતદારોએ પાર્ટીને સમર્થન ન આપ્યુ. આ ઉપરાંત તેને OBC મૌર્ય અને સૈની મતોનું પણ નુકસાન ઉઠાવવું પડ્યું. 

ચોથા તબક્કા સુધી રાજપૂતોની નારાજગીનું નુકસાન ઉઠાવવું પડ્યું

પાર્ટીના એક નેતાએ કહ્યું કે સમીક્ષામાં એ પણ જાણવા મળ્યું છે કે પ્રથમ તબક્કામાં યુપી પશ્ચિમમાં રાજપૂતોની નારાજગીને કારણે ભાજપને નુકસાન થયું છે. રાજપૂતોને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને ચોથા તબક્કા સુધી ભાજપને નુકસાન સહન કરવું પડ્યું.

ભાજપની અંદરની માહિતી ધરાવતા લોકોએ જણાવ્યું કે, સમીક્ષા રિપોર્ટમાં સરધનાના ધારાસભ્ય સંગીત સોમ પર રાજપૂતોને ભડકાવવાનો આરોપ છે. જેના કારણે મુઝફ્ફરનગરમાં સંગીત સોમને નુકસાન થયું હતું. એક નેતાએ જણાવ્યું કે આનાથી રાજપૂતોમાં ભાજપ વિરોધી ભાવના પેદા થઈ. ભાજપે માત્ર મુઝફ્ફરનગર જ નહીં પરંતુ સહારનપુર અને કૈરાના બેઠક પણ ગુમાવવી પડી. મેરઠ તે ખૂબ જ સામાન્ય માર્જિનથી જીતવામાં સફળ રહી હતી. રાજપૂતોએ ભાજપને તમામ સાત તબક્કામાં નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ લીડરશિપ એ નક્કી કરશે કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે. 


Google NewsGoogle News