I.N.D.I.A. ગઠબંધનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ...?', રાહુલ ગાંધીએ કરી દીધો ખુલાસો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A. ગઠબંધનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ...?', રાહુલ ગાંધીએ કરી દીધો ખુલાસો 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી શરૂ થવાની તારીખ નજીક આવી ગઈ છે. ભાજપ-કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ ઘણી બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ત્યારે I.N.D.I.A. ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ? તે અંગે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

પીએમ પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટણી બાદ લેવાશે : રાહુલ

કોંગ્રેસે (Congress) લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આજે ચૂંટણી ઢંઢેરો (Congress Manifesto) જાહેર કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પૂછવામાં આવ્યું કે, વિપક્ષી ગઠબંધન તરફથી વડાપ્રધાનનો ચહેરો કોણ છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’એ નિર્ણય લીધો છે કે, અમે વિચારધારાના આધારે ચૂંટણી લડી રહ્યા છે, તેથી વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.’

આ નિષ્પક્ષ નહીં, પરંતુ ધાંધલીવાળી મેચ છે : રાહુલ ગાંધી

રાહુલે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ‘આ નિષ્પક્ષ નહીં, પરંતુ ધાંધલીવાળી મેચ છે. લોકોએ સમજવું જરૂરી છે કે, આ ચૂંટણી લોકશાહીને બચાવવા માટે છે. આ ચૂંટણી બંધારણ અને લોકશાહીને નષ્ટ કરવાના પ્રયાસો કરનારાઓ અને તેની રક્ષા કરવાનો પ્રયાસ કરનારાઓ વચ્ચે છે. અમારા વચ્ચે એકદમ નજીકનો મુકાબલો છે. અમે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. વર્ષ 2004માં ‘ઈન્ડિયા શાઈનિંગ’નો પ્રચાર કરાયો હતો, તે જ રીતે હજુ પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એ યાદ રાખજો કે તે ચૂંટણી કોણે જીતી હતી.’

કોંગ્રેસે આજે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, જેમાં જાતિ આધારીત વસ્તીગણતરી કરવા, અનામત મર્યાદા 50 ટકાથી વધુ કરવા, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી આપવા અને નવી શિક્ષણ નીતિમાં સુધારા સહિતના અનેક વચનો અપાયા છે. પાર્ટીએ પોતાના ઢંઢેરાનું નામ ‘ન્યાય પત્ર’ રાખ્યું છે, જેમાં પાંચ ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’નો ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું કે, આ મેનિફેસ્ટો ભવિષ્યના ઉજ્જવળ ભારતની તસવીર દર્શાવે છે.


Google NewsGoogle News