મહારાષ્ટ્રના 2 જિલ્લામાં 131 લોકોનાં મોતના જવાબદાર કોણ? સરકારને માનવાધિકાર પંચની નોટિસ
જવાબ રજૂ કરવા સરકારને 4 અઠવાડિયાનો સમય
નાંદેડ બાદ હવે નાગપુરમાં 4 દિવસમાં 80 દર્દીનાં મોત
Maharastra Nagpur Patients Death: મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. નાંદેડ (Nanded) બાદ હવે નાગપુર (Nagpur) માં માત્ર ચાર જ દિવસમાં 80 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન આ બે જિલ્લામાં દર્દીઓના મોતનો આંકડો જોવામાં આવે તો કુલ 131 લોકોના મોત થઇ ગયા છે. તેના માટે ખરેખર જવાબદાર કોણ છે? હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતાં હવે માનવાધિકાર પંચે મહારાષ્ટ્ર સરકારને નોટિસ (Human Rights Commission Notice to Maharastra Government) ફટકારી છે અને પૂછ્યું કે બે જિલ્લામાં 131 લોકોના મોતનો જવાબદાર કોણ? તેના માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.
નાગપુરની બે હોસ્પિટલમાં મૃત્યુનો આંકડો
નાગપુર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 80 દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. આ બંને હોસ્પિટલમાં 1 થી 3 ઓક્ટોબર સુધીમાં 59 દર્દીઓના શ્વાસ થંભી ચૂક્યા છે. જોકે 4 ઓક્ટોબરે NGMCH અને IGMCH માં વધુ 21 લોકો મૃત્યુ પામી ગયા હતા. એટલે કે માત્ર 4 દિવસમાં અહીં 2 હોસ્પિટલોમાં 80 દર્દીએ જીવ ગુમાવ્યાં.
કારણ શું છે આ વધી રહેલાં મૃત્યુની ઘટનાઓનો?
જ્યારે આ મામલે નાગપુરમાં જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યાં તેમને મૃત્યુનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે પણ એ જ કહ્યું જે નાંદેડ જિલ્લા હોસ્પિટલના લોકોએ કારણ આપ્યું હતું. એટલે કે સરકારી હોસ્પિટલમાં દવાની અછત, ગંભીર કેસમાં ઓપરેશનમાં વિલંબ અને દર્દીઓ માટે પર્યાપ્ત બેડનો અભાવ.
મેડિકલ કોલજના ડીને શું કહ્યું?
નાગપુરની સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. રાજ ગજભિયેનું કહેવું છે કે દર્દીઓના મૃત્યુ દવાઓની અછતને લીધે થયા નથી. હોસ્પિટલમાં તો બધું બરાબર જ છે. દવાઓ પણ છે અને વ્યવસ્થા પણ. આવો જ જવાબ નાંદેડની શંકર રાવ ચવ્હાણ મેડિકલ કોલેજના ડીને પણ આપ્યો. અહીં માત્ર 2 દિવસમાં 31 દર્દી મૃત્યુ પામી ગયા. તેમણે પણ હોસ્પિટલની બેદરકારીના અહેવાલો નકારી કાઢ્યા હતા. જોકે હવે નાંદેડમાં મૃત્યુઆંકડ વધીને 31થી 51 થઈ ચૂક્યો છે.