આતંકવાદી કસાબને પકડનારા સદાનંદ વસંતને મળી NIAનું સુકાન, જાણો આ IPS વિશે

26/11ના હુમલામાં સદાનંદ વસંતની સૂઝબૂઝના કારણે આતંકવાદી કસાબ જીવતો પકડાયો હતો

1990 બેચના IPS સદાનંદ દાતે 26/11ના હુમલામાં આતંકવાદીઓ દ્વારા ટારગેટ કરવામાં આવેલા સ્થળો પર પહેલા પહોંચ્યા હતા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
આતંકવાદી કસાબને પકડનારા સદાનંદ વસંતને મળી NIAનું સુકાન, જાણો આ IPS વિશે 1 - image
Image Twitter 

IPS Sadanand Vasant Date NIA DG : લોકસભા ચૂંટણી 2024 ના મતદાન પહેલા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. જેમાં કેન્દ્ર સરકારે 1990 મહારાષ્ટ્ર કેડરના જાણીતા IPS અધિકારી સદાનંદ વસંત દાતેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ડીજીના પદ પર નિયુક્ત કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દાતે સહિત અન્ય બે આઈપીએસ અધિકારીઓની અલગ અલગ એજન્સીઓમાં નિમણૂકનો આદેશ જારી કર્યા પછી સદાનંદ વસંત દાતે હાલમાં ચર્ચામાં છે. 

26/11ના હુમલા દરમિયાન તેમની બહાદુરી અને સૂઝબૂઝના કારણે તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. હવે દેશભરમાં આતંકવાદ, નક્સલવાદ, ઉગ્રવાદ, ઈન્ડિયન પોપ્યુલર ફ્રન્ટ જેવા પ્રતિબંધિત સંગઠનો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે દેશમાં તેમજ અમેરિકા, બ્રિટન, કેનેડામાં પણ તપાસ કરી રહેલી NIAનું સુકાન સોંપવામાં આવ્યું છે. હવે એવું મનાઈ રહ્યું છે કે, આંતરિક સુરક્ષા મામલે હવે NIA વધુ ઝડપી એક્શન લેશે. ચાલો આજે IPS સદાનંદ વસંત દાતે વિશે જાણીએ. 

26/11ના હુમલામાં સદાનંદ વસંતની સૂઝબૂઝના કારણે કસાબ જીવતો પકડાયો હતો

26 નવેમ્બર 2008 ની રાત્રે જ્યારે મુંબઈ શહેર પર 10 આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો, ત્યારે 1990 બેચના IPS અધિકારી સદાનંદ દાતે એવા કેટલાક અધિકારીઓમાંથી હતા કે, જેઓ આતંકવાદીઓ દ્વારા ટારગેટ કરવામાં આવેલા સ્થળો પર પહેલા પહોંચ્યા હતા અને છેલ્લે સુધી તેની જવાબી કાર્યવાહીમાં રોકાયેલા હતા. દાતેની બહાદુરી અને સમજણ દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં સૂઝબૂઝ દ્વારા અબુ ઈસ્માઈલ અને અજમલ કસાબના બંઘકમાંથી નિર્દોષ લોકોને બચાવી શકાયા હતા. એ પછી એક માત્ર આતંકવાદી કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. આખરે દાતેની બહાદુરી અને સૂઝબૂઝના કારણે આતંકવાદીઓ દ્વારા ઢાલ તરીકે ઉપયોગ કરાતાં બંધકોને બચાવી લેવામાં આવ્યા હતા. તે પછી આ વરિષ્ઠ પોલીસ અધિકારીની વીરતા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા. 

IPS સદાનંદ વસંતે 26/11ના હુમલા અંગે કહ્યું...

આ આતંકી હુમલા બાદ IPS ઓફિસરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, '26/11નો હુમલો મારી કારકિર્દીની સૌથી પડકારજનક ઘટના છે અને તે જીવનભર મારી સાથે રહેશે. મેં મારી ક્ષમતા મુજબ જે સર્વોત્તમ હતું તે કરવાનો પ્રયાસ કર્યો.

CRPF, IB, ATSમાં રહી ચૂક્યા છે મહત્ત્વના પદો પર

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર એટીએસના વર્તમાન વડા સદાનંદ વસંત (NIAના ડીજી તરીકે તેમની નિયુક્તિ સુધી) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનમાં ડીઆઈજી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં આઈજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ મુંબઈ નજીક મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેરોના પોલીસ કમિશનરનું પદ પણ સંભાળી ચૂક્યા છે.



Google NewsGoogle News