ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો માટે 'ઓપરેશન અજય' હેઠળ વતન વાપસી ક્યારે? વિદેશ મંત્રાલયે મહત્વની માહિતી આપી
પ્રથમ ઉડાનમાં 230 મુસાફરોને ભારત પરત લવાશે
Israel Hamas Conflict: ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાંસંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. એવામાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. અરિંદમ બાગચીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં જવાબ આપવાની વૈશ્વિક જવાબદારી અમારી છે. અરિંદમ બાગચીએ કહ્યું કે, ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ઓપરેશન અજય (Operation Ajay) દ્વારા પરત લાવવામાં આવશે.
ઓપરેશન અજયની પ્રથમ ઉડાન આવતીકાલે!
વિદેશ મંત્રાલયે દ્વારા કહેવામાં આવ્યું કે, લગભગ 18,000 ભારતીયો ઈઝરાયેલમાં છે. વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને મિશન અજય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય નાગરિકોને પાછા લાવવા માટેની પહેલી ફ્લાઇટ આજે રાત્રે તેલ અવીવ પહોંચશે અને આવતીકાલે સવારે ફ્લાઇટ ભારત પરત ફરે તેવી શક્યતા છે. તે પ્રથમ ઉડાનમાં 230 મુસાફરોને ભારત લવાશે.
ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા કેટલી?
એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18,000 જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં ગયા છે. અહીં રહેતા ભારતીયોનો એક મોટો હિસ્સો દેખરેખ કરનારા તરીકે પણ કામ કરે છે પણ ત્યાં એક હજાર વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.