શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા બદલ PM મોદીએ 'X' પર કરી પોસ્ટ, જુઓ શું લખ્યું...

પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા બદલ PM મોદીએ 'X' પર કરી પોસ્ટ, જુઓ શું લખ્યું... 1 - image


India-Pakistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટમાં લખ્યું, 'શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન.'

શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ વર્ષ 2022 પછી બીજી વખત દેશની બાગડોર સંભાળી રહ્યા છે. તે પાકિસ્તાનના 24માં વડાપ્રધાન છે. રસપ્રદ વાત એ છે કે, શાહબાઝ શરીફે પાકિસ્તાનની કમાન ત્યારે સંભાળી હતી જ્યારે તેમનો દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો

પાકિસ્તાનની સંસદ ભંગ થતા પહેલા શહેબાઝ શરીફે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તે PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા, જેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા હતા, જે ગૃહના નેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા કરતા 32 વધુ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે

ભારત અને પાકિસ્તાન પડોશી દેશો હોવા છતાં ઐતિહાસિક અને રાજકીય મુદ્દાઓને કારણે તેમના સંબંધો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. 1947માં પડેલા ભાગલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશનું કારણ માનવામાં આવે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન  વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે એક શરત મૂકી છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવામાં આવે, પરંતુ ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે કાયદો હવે ઈતિહાસ બની ગયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બાબતો મેળ ખાય છે

રસપ્રદ વાત એ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાષાકીય, સાંસ્કૃતિક, ભૌગોલિક અને આર્થિક જોડાણો મેળ ખાય છે, પરંતુ રાજકીય અને ઐતિહાસિક કારણોસર બંને વચ્ચેના સંબંધો ગૂચવાયેલા છે. હાલમાંથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર કરેલી પોસ્ટ પછી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ અને સવાલ ઉઠ્યો કે શું હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કડવાશ ઓછી થશે અને શું બંને દેશોના સંબંધોમાં કોઈ સુધારો થશે?


Google NewsGoogle News