લદ્દાખમાં કલમ 371 ચર્ચામાં કેમ, સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર, સમજો સંપૂર્ણ મામલો

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
લદ્દાખમાં કલમ 371 ચર્ચામાં કેમ, સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર, સમજો સંપૂર્ણ મામલો 1 - image


Article 371: લદ્દાખના લોકો કેન્દ્ર સરકારથી નારાજ છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ હવે લદ્દાખના લોકો વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ માંગણીઓની અવગણના કરવા બદલ 21 દિવસની ભૂખ હડતાળ પર બેઠા છે. આ બાબતે લદ્દાખના લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. 

લદ્દાખના લોકોની માંગ શું છે?

લદ્દાખના લોકો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને તેને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવામાં આવે જેથી લદ્દાખને બંધારણીય રક્ષણ મળી શકે. આ સાથે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. 

આ સિવાય ABL અને KDAએ લદ્દાખમાં પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની રચનાની પણ માંગ કરી છે, જેથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરી શકાય. પહેલા અહીંના લોકો જમ્મુ-કાશ્મીર PSCમાં અરજી કરતા હતા.

એક કારગીલમાં અને એક લેહમાં એમ લદ્દાખમાં લોકસભાની બે સીટોની પણ માંગ છે. લદ્દાખ દેશની સૌથી મોટી સંસદીય બેઠક છે. તેનો કુલ વિસ્તાર 1.73 લાખ ચોરસ કિલોમીટરથી વધુ છે. આ માંગણીઓને લઈને બુધવારે લદ્દાખ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

આ હડતાલ પર સરકારનું નિવેદન 

વડાપ્રધાન મોદી કાશ્મીર પ્રવાસે ગયા તે પહેલા જ આ ચર્ચાને વેગ મળ્યો છે કે લદ્દાખમાં આર્ટિકલ 371 લાગુ કરવામાં આવી શકે છે. આ બાબતે લેહ અને લદ્દાખના નેતાઓની ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે બેઠક થઇ ચૂકી છે. જેમાં તેમણે આર્ટિકલ 371 અંતર્ગત આ કેન્દ્રશાષિત પ્રદેશના સ્થાનિક લોકોની વિશેષ દરજ્જો મળી રહે તેવું આશ્વાસન આપ્યું છે. 

બંધારણની છઠ્ઠી સૂચિ શું છે?

કલમ 371 દ્વારા દેશના 11 અલગ-અલગ રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ઉત્તર-પૂર્વના છ રાજ્યોનો સમાવેશ થાય છે. તે જ સમયે, બંધારણના અનુચ્છેદ 244ની છઠ્ઠી અનુસૂચિ અનુસાર, એક રાજ્યમાં સ્વાયત્ત વહીવટની સ્થાપના કરી શકાય છે, જેમાં કાયદાકીય, ન્યાયિક અને વહીવટી સ્વતંત્રતા હોય. લદ્દાખના લોકો આની માંગ કરી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકાર કલમ ​​371 હેઠળ કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓની તર્જ પર અન્ય રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ કરી શકે છે.

છઠ્ઠી અનુસૂચિમાં બંધારણની કલમ 244(2) અને કલમ 275(1) હેઠળ વિશેષ જોગવાઈઓ છે. જેના કારણે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોમાં વહીવટ કાર્ય થાય છે. આ ઉપરાંત છઠ્ઠી સૂચિ સ્વાયત્ત જિલ્લા પરિષદોની રચના માટે જોગવાઈ કરે છે. જિલ્લા પરિષદોમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી 4ની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. જીલ્લા કાઉન્સીલની પરવાનગીથી જ ઉદ્યોગો સ્થાપી શકાશે.

સ્વાયત્ત જિલ્લા પરિષદ ગામડાઓમાં કાઉન્સિલ અને કોર્ટ પણ બનાવી શકે છે, જે અનુસૂચિત જનજાતિ સંબંધિત વિવાદોનું સમાધાન કરે છે. જો કોઈ ગુનામાં મૃત્યુદંડ અથવા 5 વર્ષથી વધુ કેદની જોગવાઈ હોય, તો રાજ્યપાલ પણ આ પરિષદોને આવા કેસ ચલાવવાની પરવાનગી આપી શકે છે.

છઠ્ઠી સૂચિ આ સ્વાયત્ત જિલ્લા પરિષદોને જમીન મહેસૂલ એકત્રિત કરવાનો, કર લાદવાનો, વ્યવસાયનું નિયમન કરવા, ખનિજોના ખાણકામ માટે લાયસન્સ અથવા લીઝ આપવાનો તેમજ શાળાઓ, બજારો અને રસ્તાઓ બનાવવાનો અધિકાર આપે છે.

આ રાજ્યો માટે કરવામાં આવી છે વિશેષ જોગવાઈ 

કલમ 371 (A) નાગાલેન્ડ માટે વિશેષ જોગવાઈઓ ધરાવે છે કે સંસદ ધાર્મિક, સામાજિક પરંપરાઓ, રૂઢિગત કાયદો, સિવિલ-ક્રિમિનલ કેસ અનુસાર જમીન અને અન્ય સંસાધનોની માલિકી અને ટ્રાન્સફર સંબંધિત નિર્ણયો લઈ શકે છે. કોઈ કાર્યવાહી લાગુ પડતી નથી. રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયા પછી તે ચોક્કસપણે લાગુ થઈ શકે છે. આ કલમ અનુસાર, નાગાલેન્ડમાં જમીન અને સંસાધનો સરકારની નથી પરંતુ સ્થાનિક લોકોની છે.

એ જ રીતે, કલમ 371 (G)માં મિઝોરમ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તે એમ પણ કહે છે કે મિઝો લોકોની પરંપરાઓ અને કાયદાકીય નિર્ણયો પર સંસદની કોઈપણ કાર્યવાહી જ્યાં સુધી રાજ્ય વિધાનસભામાં તેનો ઠરાવ પસાર કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં મૂકવામાં આવશે નહીં. કલમ 371 (B) આસામ માટે વિશેષ જોગવાઈઓ બનાવે છે અને કલમ 371 (C) મણિપુર માટે વિશેષ જોગવાઈઓ બનાવે છે.

એ જ રીતે, કલમ 371 (F) અને 371 (H) સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ માટે વિશેષ જોગવાઈઓ બનાવે કરે છે. આ કલમ દ્વારા આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવા માટે પણ વિવિધ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. કલમ 371 પોતે રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારો તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની રચના કરવાની સત્તા આપે છે.

આ કલમ લાગુ થાય તો લદ્દાખના લોકોના મળશે રક્ષણ 

એકંદરે, આ કલમ દ્વારા કેન્દ્ર સરકાર રાજ્યની વિશેષ જરૂરિયાતો પૂરી કરે છે અને ત્યાંના લોકોના હિતોનું રક્ષણ કરે છે. જો લદ્દાખમાં કલમ 371 લાગુ કરવામાં આવે છે, તો દેખીતી રીતે સ્થાનિક હિતોને પ્રોત્સાહન મળશે. જેના લીધે સ્થાનિક નોકરીઓમાં સ્થાનિક લોકોને 80 ટકા સુધી અનામત આપવાની જોગવાઈ કરી શકાય છે. કેન્દ્ર સરકાર વિસ્તારના વિકાસ માટે અલગથી બજેટમાં જોગવાઈ કરી શકશે. આના દ્વારા કેન્દ્ર સરકાર લદ્દાખની સંસ્કૃતિ, ભાષા અને જમીન તેમજ સ્થાનિક પરંપરાઓનું રક્ષણ કરી શકશે.

લદ્દાખમાં કલમ 371 ચર્ચામાં કેમ, સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર, સમજો સંપૂર્ણ મામલો 2 - image


Google NewsGoogle News