ચીનનાં 3 'વિજ્ઞાન-સંશોધન' જહાજો હિન્દ મહાસાગરમાં શું 'સંશોધન' કરે છે ?

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
ચીનનાં 3 'વિજ્ઞાન-સંશોધન' જહાજો હિન્દ મહાસાગરમાં શું 'સંશોધન' કરે છે ? 1 - image


- પૂર્વ ગોળાર્ધ પર અબાધિત સત્તાની ચીનની નેમ

- દક્ષિણ ચીન સમુદ્રમાં 'આસીયાન' દેશોને દબડાવ્યા પછી ચીને ભારતને દબડાવવા મિથ્યા પ્રયત્નો શરૂ કરી દીધા છે

નવી દિલ્હી : દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રીય શક્તિનાં બળે દક્ષિણ-પૂર્વ-એશિયાન 'આસીયન' દેશોને દબડાવ્યા પછી 'વૈજ્ઞાનિક સંશોધન'ના નામે હિન્દ મહાસાગરમાં ઘૂસી ચીને તેના ત્રણ જહાજો દ્વારા ભારતને દબડાવવાના મિથ્યા પ્રયત્નો શરૂ કરી દીધા છે.

એક ઉક્તિ છે કે અસત્ય એટલું નિર્બળ છે કે તેને 'સત્ય'નો આંચળો ઓઢવો પડે છે. તેવી જ રીતે દગાબાજને દગલ કરવા માટે 'સુંદર' બહાનું શોધવું પડે છે. તે રીતે ચીને વૈજ્ઞાનિક સંશોધનના નામે ચીને ૩ જાસૂસી જહાજો ઈંડીયન-ઓશન-રીજીયન (આઈઓઆર)માં વહેતાં મુક્યાં છે. પરંતુ કહે તેમ છે કે, ૨૦૨૫ સુધીમાં અમારા સંશોધન જહાજો હિન્દ મહાસાગરનાં તળિયા વિષે સંશોધન કરવા મોકલાયાં છે.

આ પૈકીનું એક સંશોધન જહાજ શીયાંગ-યેંગ-હોંગ-૦૫ જે મૂળભૂત રીતે જાસૂસી જહાજ છે તે બંગાળના ઉપસાગરમાં આંદામાન નિકોબાર દ્વિપ-સમુહથી ૬૦૦ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં ઘૂસી ગયું છે. તેમાંથી તેણે 'અન્ડર વોટર વ્હીકલ્સ' જે આશરે ૧૨ કિ.મી.ની ઉંડાઈએ રહી ૩ મહિના સુધી પાણીમાં નીચે રહી સબમરીન માટેના ડેટા એકત્રિત કરી રહ્યું છે. આ  XY H-01 માર્ચની ૭-૮ની રાત્રીએ બંગાળના ઉપસાગરમાં ઘૂસ્યું હતું. ત્યારથી 'સંશોધનો' કરે છે.

બીજુ જહાજ શીયાંગ યાંગ હોંગ-૩ માલદીવથી ૩૫૦ માઈલ રહી 'ઓશન-ઓબ્ઝર્વેશન' કરી રહ્યું છે, તે અન-મેન્ડ-સીસ્ટીમ્સનો ઉપયોગ કરે છે.

આ તરફ ઈંડીયન નેવી પણ પૂરેપૂરૃં સતર્ક છે. તે આ 'ચીની શાહુકારો'ના જહાજોની ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહ્યું છે. તેનું એક જહાજ તેનાં 'મિત્ર' મોઈજ્જુથી શાસિત માલદીવ પાસે રહી સંશોધનો કરે છે. ત્રીજું જાસૂસી જહાજ 'દા-યાંગ-હાઓ' મોરેસિયસનાં પાટનગર પોર્ટ-લૂઈથી ૧૨૦૦ માઇલ દક્ષિણે રહી જાસૂસી કરી રહ્યું છે. તેની સાથે પી.એલ.એ.નું  45th એન્ટી-પાયરસી એસ્કોર્ટ પોર્ટ લૂઈથી ૫૫૦ માઇલ દક્ષિણ પશ્ચિમે 'ગેડા' મારી રહ્યું છે. જ્યારે તેનું કહેવાતું ૪૬ નંબરનું જહાજ તેણે સોમાલી ચાંચીયાઓ સામે લડવા ગલ્ફ ઓફ એડનમાં મોકલ્યું છે. પરંતુ હજી સુધી તેણે કોઈ ચાંચીયાઓ સામે યુદ્ધ કર્યું હોય તેવા અહેવાલો નથી કે હુથી મિસાઈલ્સ તેણે તોડી પાડયા હોય તેવા અહેવાલો પણ નથી.

મૂળભૂત મુદ્દો તે છે કે, આ જહાજો આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમામાં હોવાથી તેમની વિરૂદ્ધ કોઈ પગલા પણ લેવાઈ ન શકે કે આંતરરાષ્ટ્રીય અદાલત (ધી-હેગ)માં ફરિયાદ પણ ન થઈ શકે.

તે સર્વવિદિત છે કે ચીને 'આફ્રિકાના હાર્ન'ની ઉત્તરે આવેલાં જીબુટીમાં નૌકા મથક અને લશ્કરી મથક સ્થાપી દીધું છે. તેમજ પશ્ચિમ આફ્રિકામાં કેમેરોનમાં પણ નૌકા મથક અને લશ્કરી મથક સ્થાપી દીધા છે. વાત સીધી છે તે દ્વારા તે એટલાંટિક મહાસાગરમાં અમેરિકન નેવી ઉપર 'નજર' રાખવા માંગે છે.

પાકિસ્તાન તો તેનું પાલતું રાષ્ટ્ર છે, ત્યાં તેણે કરાંચીમાં તેમજ મકરામ કોસ્ટને છેડે આવેલાં ગ્વાડરમાં પણ નૌકા મથકો સ્થાપી દીધા છે. જ્યારે તાન્ઝાનિયામાં તે મથક સ્થાપવાની તજવીજમાં છે. અહીંથી તે ઈંડીયન ઓશન ઉપર તો નજર રાખી શકે છે. જ્યારે કરાચી અને ગ્વાડરનાં મથકો ઉપરથી ઈંડીયન-ઓશનના ઉત્તરી વિસ્તાર અરબી સમુદ્ર પર કાબુ જમાવવા માંગે છે.

તેને તકલીફ ત્યાં પડી છે કે આ વિસ્તારમાં ભારતીય નેવીનું પ્રભુત્વ અબાધિત છે.


Google NewsGoogle News