VIDEO: પ.બંગાળમાં હિંસાનો વિરોધ કરનારા લોકો પર લાઠીચાર્જ, ભાજપ અધ્યક્ષ ઢળી પડ્યા

સંદેશખાલી હિંસા મુદ્દે બશીરહાટના એસપી ઓફિસ બહાર ભાજપ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા

કાર્યકર્તાઓએ ધરણા દરમિયાન બેરીકેડ તોડવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ-લાઠીચાર્જ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
VIDEO: પ.બંગાળમાં હિંસાનો વિરોધ કરનારા લોકો પર લાઠીચાર્જ, ભાજપ અધ્યક્ષ ઢળી પડ્યા 1 - image

Sandeshkhali Violence : પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બશીરહાટ (Basirhat)માં સંદેશખાલી હિંસાનો વિરોધ કરી રહેલા ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે લાઠીચાર્જ કરતા પશ્ચિમ બંગાળના BJP અધ્યક્ષ સુકાંત મજૂમદાર (Sukanta Majumdar) ઈજાગ્રસ્ત થયા છે. તેમને બેભાન અવસ્થામાં ઑક્સિજન માસ્ક લગાવી હોસ્પિટલ ખસેડાયા છે. કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, પોલીસે લાઠીચાર્જ કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે.

કાર્યકર્તાઓએ બેરીકેડ તોડવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ

બશીરહાટના એસપી ઓફિસ બહાર ધરણા કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ બેરીકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા સામ-સામે ધક્કા-મુક્કી શરૂ થઈ હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા મજૂમદાર ઈજાગ્રસ્ત થયા હતા.

મને બશીરહાટ જતા અટકાવાયો, મજૂમદારનો આક્ષેપ

આ અગાઉ મજૂમદારે બંગાળ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, ‘મને ઉત્તર 24 પરગણા જિલ્લાની અશાંત સંદેશખાલી જતા અટકાવવા મારા લૉજની ઘેરાબંધી કરાઈ’ આ અગાઉ તેમણે કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બશીરહાટ જવાની જાહેરાત કરી હતી. હાલ ભાજપ નેતાઓને અટકવવા ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવાયો છે. સંદેશખાલીમાં શાંતી જળવાઈ રહે તે માટે કેટલાક ભાગોમાં કલમ 144 લગાવી દેવાઈ છે.


Google NewsGoogle News