વડાપ્રધાન મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, પીડિતોને પણ મળ્યા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News

Pm Modi Wayanad Visit

Pm Modi Wayanad Visit: કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની અને અસરગ્રસ્ત લોકો માટે વળતર વધારવાની વિપક્ષની માંગ વચ્ચે પીએમ મોદી આજે સ્થળ નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોનું નિરિક્ષણ કરવા અને ઈજાગ્રસ્તોને મળવા માટે પીએમ મોદી આજે કેરળના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કેરળ પહોંચ્યા હતા અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ રાહત અને પુનર્વસનના પ્રયાસોની સમીક્ષા કરી હતી. આ સિવાય પીએમ ઘાયલોની ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પણ ગયા હતા.

હવાઈ સર્વેક્ષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર હતા. આ પછી વડાપ્રધાન ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો હાલમાં જ્યાં રહે છે તે રાહત શિબિરોમાં પણ ગયા હતા અને અસરગ્રસ્ત લોકો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ જાણી છે. પીએમ મોદી બપોરે ભૂસ્ખલનથી પ્રભાવિત ગામોની ગ્રાઉન્ડ વિઝિટ પણ કરવાના છે. અહીં તેઓ બચાવ દળ પાસેથી ચાલી રહેલા ઈવેક્યુએશન ઓપરેશન અંગે માહિતી મેળવશે.

ત્યારબાદ વડાપ્રધાન સમગ્ર ઘટનાક્રમના કારણ અને ત્યારબાદથી અત્યાર સુધી તંત્રએ લીધેલા પગલાની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કુદરતી આપત્તિ અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. અગાઉ, લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ભયાનક ભૂસ્ખલન બાદ મુલાકાત લેવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તેમની મુલાકાત પછી વડાપ્રધાન વાયનાડ ભૂસ્ખલનને 'રાષ્ટ્રીય આપત્તિ' તરીકે જાહેર કરશે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની વાયનાડની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકાર આ આપદાને રાષ્ટ્રીય અને ગંભીર આપદા જાહેર કરવાની આશા વ્યકત કરી હતી. 

વાયનાડ ભૂસ્ખલન :

30 જુલાઈના રોજ વાયનાડમાં ચુરામાલા અને મુંડક્કાઈમાં મોટાપાયે ભૂસ્ખલન થયું હતું. પહાડી વિસ્તારોમાં આ ભૂસ્ખલને વ્યાપક વિનાશ વેર્યો હતો. ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 150 લોકો હજુ પણ ગુમ છે. સીએમએ કહ્યું કે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ બાદ મૃત્યુના અંતિમ આંકડાની પુષ્ટિ થશે.

આ પણ વાંચો: ઘોસ્ટ વિલેજ બન્યું વાયનાડનું આ ગામ, 170 લોકો હજી ગુમ, નદી-કાટમાળમાં શોધવા 1200 લોકો તહેનાત


Google NewsGoogle News