Get The App

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને  સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ 1 - image


Supreme Court On Waqf amendment act 2025: સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વક્ફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરુ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સાત દિવસનો સમય માગ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે.

આજે, સુપ્રીમ કોર્ટ વક્ફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વક્ફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત સવાલો પર ચર્ચા થવાની હતી.

Supreme Court LIVE UPDATES 

પાંચ મુદ્દા પર જ સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 110થી 120 ફાઇલ્સને વાંચવી અસંભવ છે. એવામાં આપણે એવા પાંચ મુદ્દાઓ તૈયાર કરવા પડશે. જે આપત્તિજનક હોય અને તેના પર સુનાવણી હાથ ધરાશે. નોડલ કાઉન્સિલ મારફત આ મુદ્દાઓ નક્કી કરવામાં આવે. કેન્દ્રને જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય માગ્યો છે, ત્યાં સુધી વક્ફ બોર્ડ અને પરિષદમાં કોઈ નવી નિમણૂક ન કરવા પણ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્દેશ 

ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો છે. કેન્દ્રને એક અઠવાડિયામાં તેનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી વક્ફ મિલકતની સ્થિતિ નહીં બદલાય. સરકાર જવાબ ન આપે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. આ સાથે, આગામી આદેશો સુધી કોઈ નવી નિમણૂકો પણ નહીં થાય.

આગામી સુનાવણી સુધી કોઈ વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડી નોટિફાઇ નહીં કરી શકાય : સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપ્યો હતો કે આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડી નોટિફાઇ નહીં કરી શકાય. 

કેન્દ્ર સરકારનું મોટું આશ્વાસન 

સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલે કેન્દ્ર સરકાર તરફથી આશ્વાસન આપ્યું હતું કે જ્યાં સુધી વક્ફ બિલને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેશે ત્યાં સુધી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અથવા સ્ટેટ વક્ફ બોર્ડમાં કોઈ નવી નિમણૂક નહીં કરવામાં આવે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના 'ટેરિફ વૉર' થી ખુદ અમેરિકાની સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ચિંતિત, કહ્યું - 'સમજાતું નથી કેવી રીતે...'

સીજેઆઇનું વક્ફ બિલ પર સ્ટે મૂકવા અંગે મોટું નિવેદન... 

સુનાવણી શરુ કરતાં સીજેઆઇએ કહ્યું કે જો કાયદાની અમુક જોગવાઈઓ પર સ્ટે મૂકવામાં નહીં આવે તો ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક સ્થિતિમાં ઘણાં બધા ફેરફાર થઈ જવાની શક્યતા છે. 

સુનાવણી શરુ થતાં જ સોલિસીટર જનરલ બોલ્યા કે... 

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થતાં જ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું - સ્ટે મૂકવાનો કોઈ આધાર જ નથી. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો સ્ટે મૂકી દેવામાં આવશે તો આ એક કડક કાર્યવાહી ગણાશે. અમને એક અઠવાડિયાનો સમય આપો જેથી જવાબ આપી શકીએ. કોર્ટના આદેશની માઠી અસર થઈ શકે છે. 

બુધવારે કેસની સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે 'અમે સામાન્ય રીતે કોઈપણ કાયદા પર રોક મૂકી શકીએ નહીં, સિવાય કે અપવાદરૂપ સંજોગો હોય. પણ વક્ફ બાય યુઝરને ડી-નોટિફાઇ કરવાનો મુદ્દો એક અપવાદરૂપ છે. તેના માઠા પરિણામો આવી શકે છે.'

આ પણ વાંચોઃ કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ

દેશના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ વક્ફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સુનાવણી સાંભળી રહ્યા છે.  આ બેન્ચમાં તમામ હિન્દુ જજ હોવાથી મુસ્લિમ પક્ષકારોએ તેમનો વાંધો ઉઠાવ્યો છે. આજે ગુરુવારે બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ હતી.

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને  સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ 2 - image

Tags :