રાષ્ટ્રવિરોધીઓ કહી રહ્યા છે કે ભારતમાં બાંગ્લાદેશ જેવા હાલ થશે: ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Jagdeep Dhankhar



Jagdeep Dhankhar on Bangladesh: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે (10 ઓગસ્ટ) રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારોહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશની પરિસ્થિતિ અને દેશમાં 1975માં લાગુ કરાયેલી કટોકટીની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાષ્ટ્રવિરોધી નેરેટિવ ચલાવતાં લોકોની ટીકા કરી હતી અને દેશની મજબૂત ન્યાયિક વ્યવસ્થાની પ્રશંસા પણ કરી હતી.

રાષ્ટ્ર વિરોધી લોકો ખોટી વાર્તા ફેલાવી રહ્યા છેઃ ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ બાંગ્લાદેશની સ્થિતિ પર વાત કરતાં કહ્યું કે, કેટલાક રાષ્ટ્રવિરોધી લોકો કાવતરું ઘડી ખોટી વાર્તા ફેલાવી રહ્યા છે કે ભારતમાં પણ પાડોશી દેશ (બાંગ્લાદેશ) જેવી ઘટનાઓનું પુનરાવર્તન થશે. તેમણે કહ્યું, આ લોકો જવાબદાર હોદ્દા પર રહી ચૂક્યા છે, તો પછી તેઓ આવા બેજવાબદાર નિવેદન કેવી રીતે આપી શકે? આવી રાષ્ટ્રવિરોધી શક્તિઓ દેશને તોડવા માટે દરેક પળે તૈયાર રહે છે અને દેશના વિકાસને પાટા પરથી ઉતારવા માંગે છે. જો કે, રાષ્ટ્રીય હિત સર્વોપરી છે અને તેની સાથે સમાધાન કરી શકાય નહીં.

આ પણ વાંચોઃ ભારતે ગુમાવ્યા વીર સપૂત : કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, ત્રણ ઈજાગ્રસ્ત

દેશના ન્યાયિક વ્યવસ્થાની પ્રશંસા કરી

રાજસ્થાન હાઇકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારોહ દરમિયાન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશના ન્યાયિક વ્યવસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે, ન્યાય પ્રણાલીમાં હાઈકોર્ટ અને રાજ્યોના ચીફ જસ્ટિસની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. લોકશાહીમાં સત્તાના વિભાજનનું સન્માન કરવું જોઈએ. સંસદ ન્યાયિક નિર્ણયો આપી શકતી નથી, તેવી જ રીતે અદાલતો પણ કાયદો બનાવી શકતી નથી.

આ પણ વાંચોઃ આશ્વાસનથી કામ નહીં ચાલે...: SC / ST અનામતમાં ક્રિમી લેયર મુદ્દે માયાવતીનો મોદી સરકાર પર પ્રહાર

કટોકટીને દેશનું કાળો યુગ ગણાવ્યો

આ દરમિયાન તેમણે વર્ષ 1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કટોકટીને આઝાદી પછીનું દેશનો સૌથી કાળો યુગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, કટોકટી સિવાય, ન્યાયતંત્રનો લોકશાહીને મજબૂત બનાવવામાં યોગદાન પ્રશંસનીય છે. કટોકટી દરમિયાન લોકશાહીની મૂળ ભાવનાને કચડી નાખવામાં આવી હતી." ઉપરાષ્ટ્રપતિએ 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, યુવા પેઢીને કટોકટીના અંધકારમય સમયગાળાથી વાકેફ કરવું જરૂરી છે. આપણું ન્યાયતંત્ર ઈન્દિરા ગાંધીની સરમુખત્યારશાહીને વશ થઈ ગયું હતું અને આઝાદી એક વ્યક્તિની બાનમાં રહી ગઈ હતી. જો કટોકટી ન હોત તો ભારત દાયકાઓ પહેલા વિકાસની નવી ઊંચાઈએ પહોંચી ગયું હોત. 


Google NewsGoogle News