મેનકા ગાંધી લોકસભા ચૂંટણીમાં જીતશે તો બનાવશે ઐતિહાસિક રેકોર્ડ, સુલતાનપુર બેઠક પર ત્રિકોણીય જંગ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
મેનકા ગાંધી લોકસભા ચૂંટણીમાં જીતશે તો બનાવશે ઐતિહાસિક રેકોર્ડ, સુલતાનપુર બેઠક પર ત્રિકોણીય જંગ 1 - image


Uttar Pradesh Lok Sabha Elections 2024 : ઉત્તર પ્રદેશની સુલતાનપુર લોકસભા બેઠક પર છઠ્ઠા તબક્કામાં 25મી મેએ મતદાન થવાનું છે. આ બેઠક પર ભાજપ સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi) ચૂંટણી મેદાનમાં છે. પરંતુ સૌથી મહત્વની વાત એ કે, આ બેઠક માટે ભાજપના કોઈ મોટા નેતાએ તેમના સમર્થનમાં ચૂંટણી સભા ગજવી નથી, છતાં તેઓ પોતાના દમ પર જ ચૂંટણીની કમાન સંભાળી રહ્યા છે.

શું મેનકાને ભારે પડશે સુલતાનપુરમાં ત્રિકોણીય જંગ?

મેનકા ગાંધીનો સુલતાનપુર બેઠક પર વર્ષોથી દબદબો છે અને તેઓ 1996થી આઠ વખત ચૂંટણી જીતી સાંસદ બન્યા છે. જો તેઓ નવમી વખત જીતશે તો તેમનું નામ ટોચના સાંસદોની યાદીમાં સામેલ થઈ જશે. જોકે મેનકા માટે આ વખતની ચૂંટણી પડકારજનક છે, કારણ કે, સુલતાનપુરમાં નિષાદ સમુદાય બહુમતીમાં છે અને સમાજવાદી પાર્ટીએ જાતીય સમીકરણોને ધ્યાને રાખી મેનકા વિરુદ્ધ રામ ભુઆલ નિષાદને ટિકિટ આપી છે, તો બહુજન સમાજવાદી પાર્ટીએ ઉદરાજ વર્માને ઉમેદવાર બન્યા છે, તેથી આ બેઠક ત્રિકોણીય જંગ સમી બની ગઈ છે.

મેનકા ગાંધીનો એકલા હાથે ચૂંટણી પ્રચાર

મેનકા ગાંધી સુલતાનપુરમાં ઘણા દિવસથી દિવસ-રાત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ 1200 ગ્રામ પંચાયતોમાંથી 1100 ગ્રામપંચાયતો સાથે સંપર્કમાં રહી પોતે જ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ તમામ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે. તેમના સમર્થનમાં મુખ્યમંત્રી યાગી આદિત્યનાથ (Yogi Adityanath), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત કોઈપણ દિગ્ગજ નેતાઓએ જનસભા કરી નથી. તેમણે કોઈપણ દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચાર કરવા બોલાવ્યા નથી.

વરૂણ પણ માતા મેનકા માટે ચૂંટણી પ્રચાર કરવા ન આવ્યા

એવું કહેવાય છે કે, મેનકા ગાંધી તમામ સમુદાયના મત મેળવવાનો પ્રયાસ કરવાનો અને તમામ સમાજમાં દબદબો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બેઠક પર ધ્રુવીકરણનું રાજકારણ તેમનો ખેલ ન બગાડે, તેના પર પણ તેઓ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. મેનકા ગાંધી સુલ્તાનપુર બેઠક (Sultanpur Seat) પર બીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અગાઉ 2014ની ચૂંટણીમાં આ બેઠક પરથી તેમના પુત્ર વરુણ ગાંધી (Varun Gandhi) સાંસદ તરીકે ચૂંટાયા હતા. રસપ્રદ વાત એ છે કે, વરૂણ ગાંધી પણ પોતાની માતાના સમર્થનમાં ત્યાં આવ્યા નથી. વરૂણની પીલીભીત બેઠક (Pilibhit Seat) પરથી ટિકિટ કપાયા બાદ તેઓ ભાજપ (BJP)ના કોઈપણ મંચ પર જોવા મળ્યા નથી.


Google NewsGoogle News