ઉત્તરપ્રદેશ : ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, કારમાં આગ લાગતા ભાજપ અધ્યક્ષનું સળગી જતા મોત
ચંદ્રનગર મંડળના ભાજપા અધ્યક્ષ સરિતા સિંહ મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સર્જાયો અકસ્માત
અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવર ફરાર, અકસ્માત બાદ કારમાં આગ લાગી, જેમાં સરિતા સિંહ ફસાઈ જતા સંપૂર્ણ સળગી ગયા
મુરાદાબાદ, તા.25 ઓક્ટોબર-2023, બુધવાર
ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના ભાજપ નેતા સરિતા સિંહ (Sarita Singh)નું કાર-ટ્રક અકસ્માત (Truck-Car Accident) સળગી જતા મોત નિપજ્યું છે. અમરોહાના નૌગાંવા સાદાત વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરિતા સિંહ કારમાં એકલા હતા અને તેઓ નૂરપુરથી મુરાદાબાદ તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઝડપી ગતિએ આવી રહેલા ટ્રકે તેમની કારને ધડાકાભેર ટક્કર મારતા કારમાં આગ લાગી અને તેઓ કારમાં જીવતા સળગી જવાની દુઃખદ ઘટના બની છે.
સરિતા સિંહ મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સર્જાયો અકસ્માત
મળતા અહેવાલો મુજબ સરિતા સિંહ અમરોહા જનપદના નૌગાવા સાદાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુમખીયા ચોકી પાસે બિઝનૌર જિલ્લાના ચંદ્રનગર મંડળના BJP અધ્યક્ષ હતા. તેઓ સોમવારે મોડી રાત્રે નૂરપુરથી મુરાદાબાદ એકલા તેમના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન કુમખીયા પોલીસ સ્ટેશન પાસે સામેથી ધસમસતા આવી રહેલા ટ્રકે સરિતા સિંહની કારને ધડાકાભેર ટક્કર મારતા તેમની કારમાં આગ લાગી હતી. સરિતા સિંહ કારમાં જ ફસાઈ જતા તેમનું સળગી જતા મોત નિપજ્યું છે.
અકસ્માત સર્જનાર ડ્રાઈવર ફરાર
અકસ્માત અંગે સૂચના મળતા જ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સરિતા સિંહને હોસ્પિટલ લઈ ગયા. જોકે ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તેમના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને ટ્રક ચાલક વિરુદ્ધ FIR નોંધી છે. હાલ પોલીસ અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર કોણ હતો અને તે ટ્રક લઈને ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં જવાનો હતો, તે સમગ્ર બાબતની તપાસ કરી રહી છે.