લેટરલ એન્ટ્રી મુદ્દે NDAમાં તિરાડ: ભાજપના ત્રણ સાથી પક્ષોએ રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Chirag Paswan

 

Lateral Entry Row : કેન્દ્ર સરકારમાં ટોચના સરકારી પદો પર પરીક્ષા વગર જ સીધી લેટરલ એન્ટ્રીથી પસંદગીને લઇને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં જ યુપીએસસીએ આવા કેટલાક પદો ભરવાની જાહેરાત કરી હતી. જેને પગલે હવે અનામતને બાયપાસ કરવામાં આવી રહી હોવાનો આરોપ થઇ રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે લેટરલ એન્ટ્રીથી સરકારી પદો આપી દેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય દેશના દલિતો, આદિવાસી અને ઓબીસી પર સીધો હુમલો છે. 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપનું તોડી મરોડીને તૈયાર કરાયેલુ રામ રાજ્ય બહુજનો પાસેથી અનામત છીનવી લેશે અને બંધારણનો નાશ વાળી દેશે. કેન્દ્ર સરકારે જ્યારથી લેટરલ એન્ટ્રીથી સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી છે ત્યારથી વિવાદ વધી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારનું આ પગલુ રાષ્ટ્ર વિરોધી છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પગલા બાદ હવે ટોચના સરકારી પદો પર દલિત, આદિવાસી, ઓબીસી કે ઇડબલ્યુએસના લોકો નહીં પણ આરએસએસના લોકોની ભરતી કરવામાં આવશે. આ પગલુ અનામત છીનવીને બંધારણ બદલવાનું ભાજપાઇ ચક્રવ્યૂહ છે. 

અનામત વગર સીધી ભરતીનો આરોપ કેમ? 

જ્યારે રાહુલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સંઘ લોક સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવામાં આવી રહી છે. યુપીએસસીએ 17મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના 45 પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં 10 પદ જોઇન્ટ સેક્રેટરી જ્યારે 25 પદ ડાયરેક્ટર, ડે. ડાયરેક્ટરના છે, આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી દ્વારા પસંદ કરાશે. જેને કારણે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે સરકાર હવે અનામત વગર જ સીધી સરકારી ભરતી કરી રહી છે. 

NDAના સાથી પક્ષોએ જ કર્યો વિરોધ

કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવવા લાગ્યા છે. કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી. જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ જદ(યુ)એ પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો, પક્ષના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પગલુ ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે. આટલું જ નહીં હમ પાર્ટીના નેતા તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ. 


Google NewsGoogle News