VIDEO: લોકસભામાં મનરેગા મુદ્દે જોરદાર હોબાળો, વિપક્ષોએ કેન્દ્રના જવાબનો કર્યો વિરોધ, પ્રિયંકાએ કહ્યું, ‘શ્રમિકોનું વેતન વધારો’
Parliament News : લોકસભામાં આજે મનરેગાના પ્રશ્ન સામે અસંતોષજનક જવાબ મળતા ત્રણ રાજ્યોના સાંસદોએ સૂત્રોચ્ચાર સાથે જોરદાર હોબાળો કર્યો છે. આ મુદ્દે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને અન્ય વિપક્ષોએ હોબાળો કરતા લોકસભા અધ્યક્ષ પણ નારાજ થયા છે. અધ્યક્ષે કહ્યું છે કે, ‘રાજ્યના રાજકીય એજન્ડાઓ ગૃહમાં ન લાવવા જોઈએ. વિપક્ષના હોબાળાના કારણે અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે.
વિપક્ષો અધ્યક્ષની ખુરશી પાસે આવી ગયા
વાસ્તવમાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી સાંસદોએ મનરેખા હેઠળ કેરળ, પશ્ચિમ બંગા અને તમિલનાડુના બાકી નાણાં અંગે પ્રશ્ન પૂછ્યો હતો, તેના જવાબમાં કેન્દ્રીય ગ્રામીણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાની અસંતોષજનક જવાબ આપતા વિપક્ષો નારાજ થઈ ગયા અને તેઓ અધ્યક્ષની ખુરશી પાસે આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
શિવરાજ સિંહ ચૌહાણે શું કહ્યું?
શિવરાજ સિંહે (Shivraj Singh Chouhan) ગૃહમાં કહ્યું હતું કે, ‘મનરેગા હેઠળ તમિલનાડુને 85 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ જારી કરાયું છે, જ્યારે બાકીનું ભંડોળ ટૂંક સમયમાં જારી કરાશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળને 54,515 કરોડ રૂપિયાનું ભંડોળ જારી કરાયું હતું.’ જોકે તેમણે એમ પણ કહ્યું કે, ‘જ્યારે પાલન પૂર્ણ થશે ત્યારે બાકી ભંડોળ બહાર પાડવામાં આવશે.’
આ પણ વાંચો : 'તું બેસી જા, કશું આવડતું નથી...', રાબડી દેવી સાથે તુ તડાક પર ઉતરી આવ્યા નીતિશ કુમાર
‘મનરેગા હેઠળ નાણાંનો દુરુપયોગ’
ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાની (Chandra Pemmasani)એ કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં મનરેગા હેઠળ નાણાંનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે, તેથી જ્યાં સુધી ગેરરીતિઓ દૂર ન થાય ત્યાં સુધી ભંડોળ અપાશે નહીં.’ તેમણે એમ પણ કહ્યું કે, મનરેખા હેઠળ અપાતી રોજગારીમાં 43 ટકા વધારો થયો છે.
વિપક્ષના હોબાળા બાદ લોકસભા સ્થગિત
શિવરાજ અને પેમ્માસાનીનો ઉત્તર સાંભળતા જ વિપક્ષોએ હોબાળો શરૂ કરી દીધો હતો અને લોકસભાની ખુરશી પાસે આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ‘પ્રશ્નકાળમાં રાજ્યોના રાજકીય એજન્ડા ન લાવવા જોઈએ અને આ મુદ્દે અવરોધ ઉભો કરવો સંસદની મર્યાદા વિરુદ્ધ છે. તમામને ગૃહમાં સવાલ પૂછવાનો અધિકાર છે, જોકે રાજકીય એજન્ડા લાવવો અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવો યોગ્ય નથી.’ ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી.
સરકારે મનરેગા શ્રમિકોના વેતનમાં વધારો કરવો જોઈએ : પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)એ પણ કેન્દ્ર સરકારના જવાબનો વિરોધ કર્યો છે અને ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘કેરળના વિરોધ પક્ષના સાંસદોએ આજે મનરેગા શ્રમિકોની ભયાનક ઉપેક્ષા સામે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું. સરકારની નિષ્ક્રિયતાને કારણે લાખો પરિવારો આજીવિકાથી વંચિત રહી ગયા છે, જેના કારણે ગરીબીમાં વધારો થયો છે. અમે આ બાબત પર તાત્કાલિક ધ્યાન આપવાની અને લાંબા સમયથી બાકી રહેલા નાણાં અભાવે ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહેલા અસરગ્રસ્ત શ્રમિકોને ન્યાય આપવાની માંગ કરીએ છીએ. સરકારે ખાતરી કરવી જોઈએ કે, પેન્ડિંગ વેતન તાત્કાલિક મુક્ત કરવામાં આવે, વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે વેતનમાં વધારો કરવો જોઈએ, કામના દિવસોમાં 150 દિવસનો વધારો કરવો જોઈએ.’
તમિલનાડુને પાંચ મહિનાથી ભંડોળ જારી કરાયું નથી : કનિમોઝી
મનરેગા વેતનના મુદ્દે સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા INDIA ગઠબંધનના સભ્યોમાંથી DMK સાંસદ કનિમોઝી (Kanimozhi Karunanidhi)એ કહ્યું કે, ‘ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન DMKએ મનરેગા હેઠળ તમિલનાડુના બાકી રહેલા રૂ.4,034 કરોડથી વધુના ભંડોળનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ રકમ છેલ્લા પાંચ મહિનાથી જારી કરવામાં આવી નથી અને ગૃહમાં અમને યોગ્ય જવાબ પણ મળ્યો નથી.’