ભારતીયોને સાંકળ બાંધી ડિપોર્ટ કરાતાં ભાજપના જ દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- આ માનવતા પર કલંક
Uma Bharti on US Deported Indians: અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને સાંકળો બાંધીને ભારત મોકલવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ શનિવારે યુએસ સરકારના આ કામને શરમજનક અને ક્રૂર ગણાવ્યું હતું.
ઉમા ભારતીના એક નિવેદનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેમણે અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયો સાથે કરવામાં આવેલા વ્યવહારની આલોચના કરતાં કહ્યું કે, 'ભારતીયોને હાથકડી અને સાંકળ પહેરાવીને પાછા મોકલવામાં આવ્યા, આ શરમજનક અને માનવતા પર કલંક છે. અમેરિકન સરકાર ક્રૂર અને અમાનવીય છે.'
ઉમા ભારતીએ અમેરિકા પર ભારતીય અને આફ્રિકન મૂળના લોકો સાથે ક્રૂર હોવાનો આરોપ મૂક્યો અને લખ્યું કે, 'અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો અને આફ્રિકન મૂળના લોકોના કિસ્સામાં આવું થાય છે. આ ક્રૂર અને હિંસક માનસિકતા અમેરિકન સરકારે ઘણી વખત દર્શાવી છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવો એ ગુનો છે. દરેક દેશમાં તેના પોતાના કાયદા અનુસાર સજાની જોગવાઈઓ છે. પરંતુ આવી ક્રૂરતા આ પૃથ્વી પરનું મહાપાપ છે.'
બીજી બેચ આજે આવશે
અમેરિકાથી 119 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરુ કર્યુ છે. તેમાં ભારતના લોકો પણ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લેન આજે રાત્રે દસ વાગે અમૃતસરમાં ઉતરાણ કરી શકે છે.
અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદે વસાહતીઓમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી, ઉત્તરપ્રદેશના 3, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરના એક-એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજું પ્લેન 16મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે.