ઉજ્જૈન જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, સુરંગથી પહોંચી શકાશે મંદિર સુધી, રોજ 8 લાખ લોકો કરી શકશે દર્શન
Image Source: Twitter
- શ્રી મહાકાલ મહાલોક કોરિડોરના લોકાર્પણ બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે
ઈન્દોર, તા. 03 ઓક્ટોબર 2023, મંગળવાર
ઉજ્જૈનમાં મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે મહાકાલ મંદિરના વહીવટી તંત્ર સામે રોજ નવા પડકારો આવી રહ્યા છે. હવે આ પડકારોનો સામનો કરવા માટે મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ખાસ સુરંગ બનાવવામાં આવી રહી છે. આ સુરંગ દ્વારા દરરોજ લગભગ 8 લાખ શ્રદ્ધાળુઓ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સામેલ મહાકાલેશ્વર મંદિરમાં સરળતાથી દર્શન કરી શકશે. શ્રી મહાકાલ મહાલોક કોરિડોરના લોકાર્પણ બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે.
હાલમાં દરરોજ 2 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે
ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર પુરુષૌત્તમે જણાવ્યું કે, હાલમાં મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ બે લાખ શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે છે. જોકે, ઉત્સવ-તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની દૈનિક સંખ્યા જ્યારે 3 લાખની આસપાસ પહોંચી જાય છે ત્યારે અમારા માટે ભીડને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. તેથી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકાલેશ્વર મંદિરમાં ખાસ સુરંગ બનાવવામાં આવી રહી છે. પુરુષૌત્તમના જણાવ્યા પ્રમાણે આ સુરંગના નિર્માણ બાદ દરરોજ લગભગ 8 લાખ શ્રદ્ધાળુઓ મહાકાલેશ્વર મંદિરમાં સરળતાથી દર્શન કરી શકશે.
42.35 કરોડના ખર્ચે બીજા તબક્કાનું કાર્ય થશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 5 ઓક્ટોબરના રોજ શ્રી મહાકાલ મહાલોક કોરિડોર ના બીજા તબક્કા હેઠળ 242.35 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમાં નીલકંઠ વિસ્તાર, શક્તિપથ, અન્ન ક્ષેત્ર, મહારાજવાડા સંકુલ અને છોટા રુદ્રસાગરના વિકાસ કાર્યો સામેલ છે. જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરિડોર પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં એક વિશેષ સ્થળ પણ વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં હજારો ભક્તો આ મંદિરના શિખરનાં દર્શન કરી શકશે.
AIથી લેસ 700 કેમેરા લગાવવામાં આવશે
મહાકાલેશ્વર મંદિર સમિતિના સંચાલક સંદીપ કુમાર સોનીએ જણાવ્યું કે, કોરિડોર પરિયોજના હેઠળ આ ધાર્મિક પરિસરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેસ લગભગ 700 કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ કેમેરા આ કેમેરા અત્યાધુનિક નિયંત્રણ રૂમ સાથે જોડાયેલા છે જેના દ્વારા મહાકાલેશ્વર મંદિર અને મહાકાલ મહાલોકનું સતત મોનિટરિંગ અને ભીડ વ્યવસ્થાપન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ મહાલોક કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું 11 ઓક્ટોબર 2022ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.