ઉત્તરકાશી : મજૂરોના રેસ્ક્યૂ ઓપરેશન સામે બેવડું સંકટ, હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા ઓપરેશનનો આજે 15મો દિવસ

હજૂ પણ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ઉત્તરકાશી : મજૂરોના રેસ્ક્યૂ ઓપરેશન સામે બેવડું સંકટ, હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા 1 - image


Uttarkashi Rescue Operation :  ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે આ ઓપરેશનમાં એક તરફ ડ્રિલિંગ મશીનમાં સમસ્યા આવી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ (IMD)એ ઉત્તરાખંડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની સાથે હિમવર્ષાની પણ ચેતવણી આપી છે જેના પગલે બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલી ઉભી થઈ શકે છે. 

હવામાન વિભાગે ઉતરાંખડમાં યલો એલર્ટ જાહેર કર્યું 

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાની કામગીરી માટે ઓપરેશન ચાલી રહ્યું છે  જેનો આજે 15મો દિવસ છે ત્યારે ઓવરેશનમાં ડ્રિલિંગ માટે ઉપયોગમાં લેવાતા ઓગર મશીનમાં વારંવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે વધુ એક મુશ્કેલીનો ખતરો મંડરાઈ રહ્યો છે જેમાં ભારતીય હવામાન વિભાગે ઉતરાંખડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં ભારે વરસાદની સાથે હિમવર્ષાની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી 80 સે.મી.ના વ્યાસની છેલ્લી 10 મીટરની પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવી નથી. હજૂ પણ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ભારે વરસાદથી ભૂસ્ખલન થવાની પણ ભીતિ

સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ઓગર મશીનની બ્લેડ કાટમાળમાં ફસાઈ ગઈ હોવાથી બચાવ કાર્યનું કામ ખોરવાઈ ગયું  છે અને હવે અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા શુક્રવારે લગભગ આખો દિવસ ડ્રિલિંગનું કામ ખોરવાયું હતું, અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે ઓગર મશીન ખરાબ થઈ ગઈ હોવાથી કામગારી બંધ કરવામાં આવી છે. આ તરફ જ્યારે એક બાજુ બચાવ કાર્યમાં સતત સમસ્યા આવી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરતા ચિંતામાં વધારો કર્યો છે. હિમવર્ષાને કારણે વીજળી ખોરવાઈ જવાની શક્યતા વધી જશે તેમજ ભારે વરસાદથી ભૂસ્ખલન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

ઓપરેશનમાં હજૂ પણ ઘણો સમય લાગી શકે : સૈયદ અતા હસનૈ

ગઈકાલે અધિકારીઓએ બચાવ ઓપરેશન પર કાટમાળના શેષ 10 અથવા 12 મીટરમાં હાથ વડે ડ્રિલિંગ અથવા તો ઉપરથી 86 મીટર નીચે ડ્રિલિંગ એમ બે વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો બીજી તરફ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે આ બચાવ ઓપરેશનમાં હજૂ પણ ઘણો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે ચારધામ યાત્રા રૂટ પર નિર્માણધિન ટનલનો એક ભાગ તૂડી પડ્યો હતો જેમાં 41 મજૂરો છેલ્લા 15 દિવસથી ફસાયા છે જેને બહાર કાઢવા માટે સતત યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.


Google NewsGoogle News