આ સ્થિતિમાં ટીટીઈ પણ ચેક ના કરી શકે તમારી ટિકિટ, જાણી લો રેલવેનો આ મહત્ત્વનો નિયમ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
આ સ્થિતિમાં ટીટીઈ પણ ચેક ના કરી શકે તમારી ટિકિટ, જાણી લો રેલવેનો આ મહત્ત્વનો નિયમ 1 - image


Indian Railway Knowledge: ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે, ભારતભરમાં 13452 પેસેન્જર ટ્રેનો દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. દેશમાં દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા લગભગ ઓસ્ટ્રેલિયા જેવા દેશની વસ્તી જેટલી છે. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે ભારતમાં રેલવે નેટવર્ક કેટલું વિશાળ છે. ટ્રેનની મુસાફરી લોકો માટે સૌથી પહેલી પસંદ રહી છે. રેલવે દ્વારા મુસાફરીને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે, જે આપણે સૌએ જાણવા જરુરી છે.

રેલવેની મુસાફરી લોકોની પહેલી પસંદ

લોકો મોટાભાગે ટ્રેનની મુસાફરી પસંદ કરે છે, તેની પાછળનું મુખ્ય કારણ, ટ્રેનની મુસાફરી માત્ર સલામત નથી પણ આરામદાયક પણ છે. અને વધુમાં તે સામાન્ય માણસને પણ પોસાય તેવા ભાડા હોય છે. આવી સ્થિતિમાં દેશની વસ્તીનો મોટો ભાગ પરિવહનના અન્ય સાધનો ઉપલબ્ધ હોવા છતાં ટ્રેનનો ઉપયોગ કરે છે. એટલા માટે ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને યોગ્ય સુવિધા મળી રહે તે માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. 

મુસાફરી દરમિયાન નથી જગાડી શકતો TTE

રેલવેના નિયમો મુજબ, રાત્રે 10 વાગ્યાથી સવારના  6 વાગ્યાની વચ્ચે TTE તમને ટિકિટ ચેક કરવા માટે જગાડી શકતો નથી. રેલવે દ્વારા મુસાફરો માટે બનાવેલા કેટલાક નિયમો મુજબ સૂવાનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6 વાગ્યા પછી તમારે વચ્ચેની બર્થ ખોલી દેવી પડે છે. જેથી બાકીના મુસાફરો બેસીને મુસાફરી કરી શકે. રાત્રે મુસાફરી કરતી વખતે મુસાફરોને મોટા અવાજમાં સંગીત સાંભળવા અને જોર- જોરથી વાત કરવાની પણ મનાઈ છે. 

રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી નહીં થાય ટિકિટ ચેક

રેલવે દ્વારા એવી કેટલીક ટ્રેન ચલાવવામાં આવે છે, જે ઘણા લાંબા અંતરની ટ્રેનો હોય છે. એટલે આવા મુસાફરોને પણ ટ્રેનમાં રાત વિતાવવી પડે છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી ત્યારે  થાય છે, જ્યારે મુસાફરો રાત્રે સૂતા હોય અને TTE તેમની ટિકિટ ચેક કરવા આવે. પરંતુ તમને જણાવી દઈએ કે રેલવેના નિયમો પ્રમાણે TTE તમને રાત્રે 10 થી સવારે 6 વાગ્યાની વચ્ચે ટિકિટ ચેક કરવા માટે જગાડી શકે નહીં. જો કે, આ નિયમ એ લોકોને લાગુ પડતો નથી જે લોકોની મુસાફરી રાત્રે 10 વાગ્યે શરૂ થાય છે. TTE આવા મુસાફરોની ટિકિટ ચેક કરી શકે છે.

પ્લેટફોર્મ ટિકિટ લઈને પણ મુસાફરી કરી શકો છો

રેલવેના એક નિયમ પ્રમાણે, જો તમારી પાસે ટિકિટ ખરીદવાનો સમય નથી, તો તમે માત્ર પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને ટ્રેનમાં ચડી શકો છો. ત્યાર બાદ તમારા બોર્ડિંગ સ્ટેશનથી તમારા ડેસ્ટિનેસનના એડ્રેસ સુધી તમારી ટ્રેન ટિકિટના પૈસા આપી TTE પાસેથી ખરીદવી પડશે અને તે પછી તમે સરળતાથી આગળની મુસાફરી કરી શકશો.

ટ્રેનમાં બસ આટલો જ સામાન લઈ જઈ શકો છો

રેલવેના નિયમો મુજબ તમે પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માત્ર 40 થી 70 કિલો સામાન જ લઈ જઈ શકો છો. જો કોઈ વ્યક્તિ આના કરતાં વધારે સામાન સાથે મુસાફરી કરે છે, તો તેણે અલગથી ભાડું ચૂકવવાનું રહેશે. માત્ર TTE જ તેની પાસેથી ભાડું વસૂલ કરશે અને તેની રસીદ પણ આપશે.



Google NewsGoogle News