કોલકાતા, બદલાપુર... હવે અહીં 8 નરાધમોએ આદિવાસી મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
કોલકાતા, બદલાપુર... હવે અહીં 8 નરાધમોએ આદિવાસી મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ 1 - image


Gang Rape In Chhattisgarh: કોલકાતા, બદલાપુર બાદ હવે છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક આદિવાસી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે બુધવારે જણાવ્યું કે, રાયગઢ જિલ્લામાં 27 વર્ષીય એક આદિવાસી મહિલા સાથે 8 નરાધમોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એ સમયે બની જ્યારે પીડિતા રક્ષાબંધનનો તહેવાર મનાવ્યા બાદ એક સ્થાનિક મેળામાં ફરવા જઈ રહી હતી. 

પોલીસે FIR નોંધી કાર્યવાહી હાથ ધરી

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ મંગળવારે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે FIR નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદ પ્રમાણે કેટલાક લોકોએ કથિત રીતે તેને રોકી અને બળજબરીથી નજીકના તળાવ કિનારે લઈ ગયા. તેને ત્યાં લઈ જઈને બધાએ એક પછી એક તેના પર દુષ્કર્મ આચર્યું. અધિકારીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

8 નરાધમોએ આદિવાસી મહિલા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ 

બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે સાંજે બની હતી. મહિલા સોમવારે એક સ્થાનિક મેળામાં ગઈ હતી. તે આરોપીઓમાંથી એક ને જાણતી હતી અને બંનેએ સ્થાનિક બજાર પાસે મળવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી તેને મળ્યો ત્યારે તે અન્ય આરોપીઓ સાથે હતો. મહિલાના જણાવ્યા પ્રમાણે, મુખ્ય આરોપી સાથે આવેલા આઠ શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપીઓએ મહિલાને ધમકી પણ આપી હતી. ત્યાર બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

6 લોકોની ધરપકડ કરાઈ

આઈજીએ જણાવ્યું કે મંગળવાર રાત સુધીમાં અમે છ લોકોની ધરપકડ કરી લીધી હતી. બે આરોપીઓ ફરાર છે. રાયગઢના પોલીસ અધિક્ષક દિવ્યાગ પટેલે જણાવ્યું કે, અમે આ દુષ્કર્મમાં સામેલ અન્ય લોકો વિશે જાણવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છીએ અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટનાને ગંભીર ગણાવી

એસપીએ કહ્યું કે, પુસૌર પોલીસે આ મામલે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. અમે આરોપીની ઓળખ જાહેર નથી કરી રહ્યા કારણ કે તેનાથી તપાસમાં અવરોધ આવી શકે છે. મામલો ગંભીર છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટનાને ગંભીર ગણાવી અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને સજાની માંગ કરી છે.


Google NewsGoogle News