હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, જાણો શું થયો વિવાદ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Siddhivinayak Mandir


Mumbai Siddhivinayak Mandir News : આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં લાડુની શુદ્ધતાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે, ત્યારે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને વહેંચવામાં આવતા 'મહાપ્રસાદ લાડુ'ના પેકેટમાં ઉંદરના બચ્ચા જોવા મળ્યા હોવાનો વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે કે, પ્રસાદ તૈયાર કરીને સ્વચ્છ જગ્યાએ રાખવામાં આવતો નથી અને અશુદ્ધ છે. 

સીસીટીવી ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો જોવા મળ્યો?

મીડિયા અહેવાલ પ્રમાણે, સીસીટીવી ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો જોવા મળી રહ્યો છે. જેને લઈને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે ફૂટેજ મંગદીર ટ્રસ્ટ અંદરના ન હોવાનો દાવો કર્યો છે. જો કે, તેમણે કહ્યું કે, 'તેઓ આ ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજની તપાસ કરશે.'

આ પણ વાંચો : જાણો, તિરુપતિમાં ભેળસેળિયા લાડુ પ્રસાદ બદલ કોને માંગી માફી ? 4 કલાક સુધી ચાલી શુધ્ધિકરણ પૂજા

રોજના 50 હજારની આસપાસ લાડુ બને છે

આ મંદિરમાં રોજના 50 હજારની આસપાસ લાડુ બને છે. જેમાં 50-50 ગ્રામના બે લાડુ એક પેકેટમાં હોય છે. જ્યારે તહેવારના સમયે પ્રસાદની માંગ વધી જાય છે. મળતી માહિતી પ્રમાણે, શ્રદ્ધાળુઓમાં પ્રસાદ વહેંચતા પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ નિયમિતપણે આ લાડુમાં વપરાતા વસ્તુઓની તપાસ કરે છે અને તેને સર્ટિફાયડ કરે છે.

સાત-આઠ દિવસ સુધી સ્ટોર રખાય છે લાડુ

લેબ ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે, આ લાડુઓને સાત-આઠ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, તે બગડતા નથી. પરંતુ લાડુમાં ઉંદરના બચ્ચાઓ જોવા મળ્યા બાદ મંદિરની અંદરના પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : 'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં ફેરફાર જરૂરી', UNથી દુનિયાને પીએમ મોદીનો સંદેશ

તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ

બીજી તરફ, તિરુપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબીના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદ માટે ઘી સપ્લાય કરતી કંપનીને નોટિસ ફટકારી છે. મળતી માહિતી પ્રમાણે, મંત્રાલયે મંદિરમાં ઘી સપ્લાય કરતી ચાર કંપનીઓ પાસેથી પ્રોડક્ટના સેમ્પલ મંગાવીને તેનું પરીક્ષણ કર્યું હતું. જેમાંથી એક કંપનીના ઉત્પાદનના નમૂના ધારાધોરણોને અનુરૂપ ન હોવાનું જણાયું છે.


Google NewsGoogle News