ચંદ્રયાન-4, વિનસ ઓર્બિટર મિશન સહિત ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સને લીલીઝંડી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ચંદ્રયાન-4, વિનસ ઓર્બિટર મિશન સહિત ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સને લીલીઝંડી 1 - image


- ઇસરો હવે અફાટ અંતરિક્ષમાં મોટી છલાગ મારશે

- ચંદ્રયાન-4 પ્રોજેક્ટમાં જાપાન અને યુરાપિયન સ્પેસ એજન્સી પણ છે 

નવી દિલ્હી :  ભારત સરકારે આજે ૨૦૨૪ની ૧૮, સપ્ટેમ્બર, બુધવારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના ચંદ્રયાન --૪, વિનસ ઓર્બિટર, ભારતીય અંતરિક્ષ સ્ટેશન એમ ત્રણ  મહત્વના ભાવિ પ્રોજેક્ટ્સને મજુરી આપી દીધી  છે. સાથોસાથ આ ત્રણેય ભાવિ પ્રોજેક્ટ્સ માટે જરૂરી ફંડ  પણ મંજુર કર્યું છે. 

ભારતીય અંતરિક્ષ સ્ટેશન ૨૦૩૫માં તરતું મૂકાશે પણ તેના ફર્સ્ટ મોડયુલનો પ્રયોગ ૨૦૨૮માં થશે : અંતરિક્ષ સ્ટેશનની ડિઝાઇન તૈયાર  

આજે  વડા પ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં  ઇસરોના આ ત્રણેય ભાવિ પ્રોજેક્ટ્સને ગ્રીન સિગ્નલ્સ  આપવામાં આવ્યા છે.

 * ચંદ્રયાન -૪ પ્રોજેક્ટ  :  ચંદ્રયાન-૪ અવકાશયાન પ્રોજેક્ટ ખરેખર તો ચંદ્રયાન-૩ની ઉજળી સફળતાના પગલે એક  કદમ આગળ વધશે. એટલે કે ચંદ્રયાન-૪ અવકાશયાન પ્રોજેક્ટમાં ઇસરોના ખગોળશાસ્ત્રીઓની  અને  એન્જિનિયરોની   ટેકનિકલ કાબેલિયતની ખરી કસોટી થશે.આ મહત્વાકાંક્ષી યોજના મુજબ  ચંદ્રયાન-૪ અવકાશ યાનનું લેન્ડર  પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરશે. તે લેન્ડર ચંદ્રની ધરતીના ખડકો, પથ્થરો, માટીના નમૂના એકઠા  કરશે. ત્યારબાદ  તે  નમૂના લઇને  લેન્ડર પૃથ્વી પર સલામત રીતે પાછું આવશે. 

ચંદ્રયાન-૪ અવકાશયાનની સમગ્ર ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતીય હશે. 

 બીજીબાજુ ઇસરોનાં સૂત્રોએ   એવી સ્પષ્ટતા કરી છે કે  ચંદ્રયાન --૪ પ્રોજેક્ટમાં જાપાનની જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જે.એ.એક્સ.એ.) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.) પણ જોડાયેલાં છે. એટલે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટનું સાચું  નામ લ્યુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન (એલ.યુ.પી.ઇ.એક્સ.- લ્યુપેક્સ) છે. ભારતમાં ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ તરીકે જ ઓળખાશે. 

 પ્રધાનમંડળની બેઠકમાં  ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ માટે ૨,૧૦૪ કરોડ રૂપિયા જેટલું તગડું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. જોકે આ પ્રોજેક્ટ  આવતા ૩૬ મહિનામાં સંપૂર્ણપણે પૂરો થઇ જવાની અપેક્ષા પણ છે. 

ચંદ્રયાન-૪  અવકાશયાનની સફળતા   ભારતના ભાવિ    મેન મૂશન  માટે પણ માર્ગદર્શનરૂપ બની રહેશે. ૨૦૪૦ માં ભારતના ભાવિ અવકાશયાત્રીઓ  પહેલી જ વખત ચંદ્રની ધરતી પર પગ મૂકે એવી  તૈયારી થઇ રહી છે. 

*   વિનસ ઓર્બિટર મિશન(વી. ઓ.એમ.) : પ્રધાનમંડળની બેઠકમાં ઇસરોના ભાવિ વિનસ ઓર્બિટર મિશન(જેને શુક્રયાન પણ કહેવાય છે) ને પણ  મંજુરી આપવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ૧,૨૩૬ કરોડ રૂપિયા ફાળવવામાં  આવ્યા છે. 

 વિનસ ઓર્બિટર મિશન એટલે કે શુક્રયાન ૨૦૨૮ના માર્ચમાં રવાના થાય તેવી શક્યતા છે.

 ઇસરોનાં સૂત્રોના કહેવા મુજબ  વિનસ ઓર્બિટરનો હેતુ શુક્ર ગ્રહની ધરતી, પેટાળ, વાતાવરણ, તેના વાતાવરણમાં સૂર્યની અસર વગેરે પાસાંનો  સંશોધનાત્મક અભ્યાસ  કરવાનો  છે. શુક્રની ધરતી પર સરેરાશ ૪૫૩ થી ૪૭૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય તાપમાન ઉકળે છે.

શુક્ર ફરતે સલ્ફુરિક એસિડનાં અતિ ઘટ્ટ વાદળો હોવાથી સૂર્યનાં તેજસ્વી કિરણો પણ  તેને ભેદીને છેક શુક્રની ધરતી સુધી પહોંચી શકતાં નથી. આ જ કુદરતી પ્રક્રિયાથી શુક્ર આકાશમાં અતિ તેજસ્વી લાગે છે. 

વિશ્વના નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓ  તેમના બહોળા સંશોધન અને અભ્યાસના  આધારે એમ કહે છે કે આજથી કરોડો વર્ષ અગાઉ ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખાતા આ ગ્રહ પર  જીવસૃષ્ટિ હોવી જોઇએ. શુક્ર આપણો પડોશી ગ્રહ છે. 

 * ભારતીય અંતરિક્ષ સ્ટેશન :  ભારત સરકારે ભાવિ ભારતીય અંતરિક્ષ સ્ટેશન પ્રોજેક્ટને પણ મંજુરી  આપી છે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન આમ તો  ૨૦૩૫માં તરતું મૂકાય તેવી  તૈયારી  થઇ રહી છે. 

આજે પ્રધાનમંડળની બેઠકમાં જોકે ભારતીય  અંતરિક્ષ સ્ટેશનના ફર્સ્ટ મોડયુલને બનાવવાની મંજુરી આપી છે.આ ફર્સ્ટ મોડયુલ ૨૦૨૮માં પ્રયોગરૂપે તરતું મૂકાશે.

ઇસરોના  ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે  અગાઉ એવી માહિતી આપી છે કે ભારર્તીય અંતરિક્ષ સ્ટેશનની ડિઝાઇન લગભગ તૈયાર થઇ ગઇ છે. અમારા કુશળ વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરો અત્યાધુનિક ટેકનોલોજી સાથે ભવિષ્યની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન બનાવી રહ્યા છે.અમે આપણી સ્વદેશી બનાવટના ભારતીય અંતરિક્ષ સ્ટેશનના પહેલો તબક્કો ૨૦૨૮માં તરતો મુકવાની તૈયાર કરી રહ્યા છીએ. સાથોસાથ અંતરિક્ષ સ્ટેશનની સમગ્ર રચના એટલે કે તેનું માળખું ૨૦૩૫માં સંપૂર્ણ તૈયાર થઇ જશે.

એસ.સોમનાથે થોડા દિવસ પહેલાં એવી મહત્વની માહિતી પણ આપી છે કે ભારતીય અંતરિક્ષ સ્ટેશનના પહેલા તબક્કામાં સંપૂર્ણ સફળતા મળે ત્યારબાદ જ અંતરિક્ષ સ્ટેશનમાં ભારતના માનવીને (આપણા ભાવિ અંતરિક્ષયાત્રીઓને) અંતરિક્ષમાં મોકલી શકાય.ભારતીય અંતરિક્ષ સ્ટેશનનો હાર્ડવેર પ્રોગ્રામ ઇસરોના વિક્રમ સારાભાઇ સ્પેસ સ્ટેશન (વી.એસ.એસ.સી.-થુમ્બા)માં તૈયાર  થશે.જ્યારે ઇેલેક્ટ્રોનિક્સ હિસ્સા અને અન્ય મહત્વનાં ઉપકરણો યુ.આર. રાવ  સેટેલાઇટ સેન્ટર (બેંગલુરુ)માં તૈયાર થશે.


Google NewsGoogle News