પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ખલેલ પહોંચાડે તે પહેલા જ ત્રણ આરોપીને દબોચી લેવાયા, નકશો લેવા આવ્યા હતા અયોધ્યા
- આ કાર્યવાહીને ATSએ અંજામ આપ્યો છે
Image Source: Twitter
જયપુર, તા. 20 જાન્યુઆરી, 2024, શનિવાર
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. ત્યારે આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીએ રાજસ્થાનના ત્રણ યુવકોની અયોધ્યામાં ધરપકડ કરી છે.ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને રાજસ્થાનના ત્રણ બદમાશોએ અયોધ્યામાં ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર રચ્યુ હતું. પરંતુ આ બદમાશો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ખલેલ પહોંચાડે તે પહેલા જ તેમને દબોચી લેવામાં આવ્યા છે. આ બદમાશો અયોધ્યામાં ખલેલ પહોંચાડવાના ષડયંત્ર હેઠળ નકશો લેવા આવ્યા હતા.
રાજસ્થાનના ત્રણ યુવકોની ધરપકડ
માત્ર અયોધ્યા જ નહીં પરંતુ આખો દેશ અને વિશ્વના દરેક ખૂણે રહેતા સનાતનીઓ હાલમાં જશ્ન મનાવી રહ્યા છે. આ જશ્ન 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો છે. પરંતુ તે પહેલા એક મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીએ રાજસ્થાનના ત્રણ યુવકોની અયોધ્યામાં ધરપકડ કરી છે.
ATSની મોટી કાર્યવાહી
આ કાર્યવાહીને ATSએ અંજામ આપ્યો છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી છે જે બસ દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેઓ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર ખુલાસો થયો. આ ત્રણેય આરોપીઓ કોઈ નકશો લેવા માટે અયોધ્યા પહોંચ્યા હતા.
ખાલિસ્તાની સાથે મળીને રચ્યુ હતું કાવતરું
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, સીકરનો રહેવાસી શંકર લાલ કેનેડામાં રહેલો ખાલિસ્તાની સમર્થક હરમિંદરના સંપર્કમાં હતા. હરમિંદરે જ તેને અયોધ્યામાં રેકી કરવાનું કહ્યું હતું. આ સાથે જ એ સામે આવ્યુ છે કે, આ સમગ્ર કામ આતંકવાદી ગુરુપતવંતના ઈશારે કરવામાં આવ્યું છે.
શંકર પર અનેક કેસ નોંધાયેલા છે
આ ત્રણેય આરોપીઓમાં સામેલ શંકર મૂળ સીકરના ખંડેલા વિસ્તારનો રહેવાસી છે. તેના પર પૂર્વમાં લગભગ એક ડર્ઝનથી વધુ કેસ નોંધાયેલા છે. છેલ્લા દિવસોમાં જ તેને એક ફાયરિંગના મામલે કોર્ટમાંથી રાહત મળી હતી.