ભારતના આ શહેરો સદીના અંત સુધીમાં ત્રણ ફૂટ સુધી ડૂબી જશે! ક્લાઈમેટ ચેન્જ અંગે ચોકાવનારો અહેવાલ

ચેન્નઈમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર ગોઠણસમાં પાણી ભરાયા

મિચોંગ ચક્રવાતે ચેન્નઈ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા વિસ્તારને ઘમરોળ્યું

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
ભારતના આ શહેરો સદીના અંત સુધીમાં ત્રણ ફૂટ સુધી ડૂબી જશે! ક્લાઈમેટ ચેન્જ અંગે ચોકાવનારો અહેવાલ 1 - image


Climate Change Impact : ચક્રવાત મિચોંગને કારણે ચેન્નઈમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરમાં ઠેર-ઠેર ગોઠણસમાં પાણી ભરાયા હતા. લગભગ છ દિવસથી આખું શહેર પાણીમાં ગરકાવ છે ત્યારે હવે ફરી એકવાર ક્લાઈમેટ ચેન્જને કારણે થઈ રહેલી આફતો માટે ભારતીય શહેરોની નબળાને પ્રકાશિત કરી છે ચેન્નઈ શહેરની હાલત ભારત સામે વધી રહેલી આબોહવા સંકટના સંકેતો આપી રહી છે. 

રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી

પોટ્સડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચ એન્ડ ક્લાઈમેટ એનાલિટિક્સ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિષુવવૃત્તની નજીક હોવાથી ઊંચા અક્ષાંશોની તુલનામાં સમુદ્રની સપાટીમાં વધારો અનુભવશે. ભારતના દરિયાકાંઠના શહેરોમાં સમુદ્રનું ખારુ પાણી ઘુસવાને કારણે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે અને આની અસર ખેતી પર પણ પડી શકે છે, ભૂગર્ભજળની ગુણવત્તામાં ઘટાડો આવે છે અને સંભવિત પાણીજન્ય રોગોમાં વધારો થાય છે.

ભારે વરસાદને કારણે 18 લોકોએ જીવ ગુમાવ્યા

ચક્રવાત મિચોંગે ચેન્નઈને ઘમરોળ્યુ હતું અને ભારે વરસાદને પગલે શહેરમાં તારાજી સર્જાઈ છે જેના કારણે લગભગ દોઢ ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં વિનાશના ડરામણાં નિશાન છોડ્યા છે. સતત પડેલા વરસાદના પગલે રહેણાંક મકાનો ડૂબી ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક કાર તણાઈ ગઈ હતી. ચેન્નઈમાં આ વખતે ચક્રવાતના કારણે ભારે વરસાદ પડતા આવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ચેન્નઈમાં આ પહેલીવાર નથી બન્યું, આ પહેલા વર્ષ 2015માં પણ ભારે વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. ઘણા દિવસો સુધી શહેર પાણીમાં ગરકાવ રહ્યું હતું. આ ઘટના એક ચેતવણી હતા અને હવે ફરી એકવાર એવું જ બન્યું છે જે ભારતીય શહેરો માટે પણ એક સંકેત છે. 

ભારતના અન્ય શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે

ભારતમાં ચેન્નઈ સિવાય કોલકાતા અને મુંબઈની દરિયાઈ સપાટીમાં વધારો, ચક્રવાત અને નદીના પૂરનો સામનો કરવો પડે છે. આ ગીચ વસ્તીવાળા શહેરો પહેલેથી જ પહેલેથી જ આબોહવા પરિવર્તનની અસરોના પકડમાં છે. આ મહાનગરોમાં વરસાદ અને પૂરમાં વધાવાની સાથે દુષ્કાળનું જોખમ પણ વધી ગયું છે. આ પહેલા ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના 2021ના અહેવાલમાં ભારત માટે ગંભીર ચેતવણી આપી છે જેમાં કહેવાયું હતું કે સૌથી ખતરનાક જોખમી પરિબળ સમુદ્રનું સ્તર વધી રહ્યું છે જે આ સદીના અંત સુધીમાં દેશના 12 દરિયાકાંઠાના શહેરો ડૂબી જવાનો ભય છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે સદીના અંત સુધીમાં મુંબઈ, ચેન્નઈ, કોચી અને વિશાખાપટ્ટનમ સહિત ભારતના 12 શહેરો લગભગ ત્રણ ફૂટ પાણીમાં ડૂબી જશે

દરિયાની હદ વધી રહી છે

આ ફક્ત અંદાજો નથી પણ 70 લાખથી વધુ દરિયાકાંઠે ખેતી અને માછીમારના પરિવારો પહેલેથી જ આની અસર અનુભવી રહ્યા છે. એક અંદાજ છે કે વધતા દરિયાને કારણે 2050 સુધીમાં લગભગ 1500 ચોરસ કિલોમીટર જમીન દરિયામાં ડૂબી જશે. આ ધોવાણથી કૃષિ વિસ્તારોને નષ્ટ કરે છે અને દરિયાકાંઠાના સમુદાયોના અસ્તિત્વને જોખમમાં મુકે છે. આબોહવા પરિવર્તનને કારણે માત્ર દરિયાકાંઠાના શહેરો જ નહીં પણ અન્ય શહેરોમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. બિહાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના શહેરો વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. આ સિવાય આ વર્ષની શરુઆતમાં જ દેશની રાજધાની દિલ્હી પણ પૂરની ઝપેટમાં આવી હતી. યમુનાનું જળસ્તરમાં વધારો થતાં જ દિલ્હીના કાંઠાની નજીકના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા. ઉલ્લેખનીય છે કે યમુનાએ તેનો અગાઉનો 1978નો રેકોર્ડ તોડી નાખ્યો હતો, જે વધતા જોખમની નિશાની છે.

ભારતના આ શહેરો સદીના અંત સુધીમાં ત્રણ ફૂટ સુધી ડૂબી જશે! ક્લાઈમેટ ચેન્જ અંગે ચોકાવનારો અહેવાલ 2 - image


Google NewsGoogle News