એ વડાપ્રધાન જેમની ખુરશી ગઈ તો ભાડાંના મકાનમાં રહ્યા, CMની બંગલૉની ઑફર પણ ઠુકરાવી દીધી

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
એ વડાપ્રધાન જેમની ખુરશી ગઈ તો ભાડાંના મકાનમાં રહ્યા, CMની બંગલૉની ઑફર પણ ઠુકરાવી દીધી 1 - image
Image Twitter 

Prime Minister Morarjibhai desai:  મોરારજી દેસાઈ પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા. 24 માર્ચ, 1977ના રોજ દેશના છઠ્ઠા વડાપ્રધાન બનેલા દેસાઈ પાક્કા ગાંધીવાદી અને પોતાની સાદગી અને સિદ્ધાંતો પર અટલ રહેનારા વ્યક્તિ હતા. જુલાઈ 1979માં જ્યારે તેઓ વડાપ્રધાન પદ પરથી હટી ગયા ત્યારે તેમણે મુંબઈમાં ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. જ્યારે શરદ પવારને આ વાતની ખબર તો તેમને રાજ્ય સરકારના ક્વોટામાંથી સરકારી મકાન આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ દેસાઈ મક્કમ હતા. એનસીપી નેતા શરદ પવારે રાજકમલ પ્રકાશન દ્વારા પ્રકાશિત તેમની આત્મકથા ‘ઓન માય ઓન ટર્મ્સઃ ફ્રોમ ગ્રાઉન્ડ રિયાલિટી ટુ ધ કોરિડોર્સ ઓફ પાવર’માં આ ઘટના વિશે વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની ઓફર પર અડગ હતા દેસાઈ 

પવાર લખે છે કે કેન્દ્રમાં થોડા સમય માટે જ મોરારજીભાઈની સરકાર સત્તામાં હતી. સરકાર પડી ગયા બાદ જ્યારે મને ખબર પડી કે મોરારજીભાઈએ  મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હું તેમને મળવા ગયો. મને ખબર હતી કે તે સાદું જીવન જીવે છે અને મુંબઈમાં તેનું કોઈ ઘર નથી. એટલે મેં તેમને રાજ્ય સરકારના ક્વોટામાંથી દક્ષિણ મુંબઈમાં ઓસિના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં તેમને એક ફ્લેટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ તેમણે મારા પ્રસ્તાવને ફગાવી દીધો અને કહ્યું, 'હું હાલમાં સરકારી કર્મચારી નથી, તેથી હું આ મકાનનો હકદાર નથી. મેં ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ તેઓ અડગ રહ્યા. 

અરબી સમુદ્રમાં કૂદી જવાની ધમકી આપી હતી

મેં ઘણીવાર સમજાવવા માટે વાતચીત કરી પરંતુ તેઓ સંમત ન થતા મને ગુસ્સો આવ્યો. મેં ગુસ્સામાં કહ્યું, 'શું તમે ભાડાના મકાનમાં રહેશો? એક વ્યક્તિ કે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હોય અને દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે, તે ભાડાના મકાનમાં રહેશે, કેવું લાગે? 'બિલકુલ નહીં, હું અરબ સાગરમાં ડૂબીને મરી જઈશ...'

કઈ શરતે ઘર લીધું?

શરદ પવાર લખે છે કે મેં ધમકી આપી છતાં દેસાઈએ જવાબ આપ્યો - 'ના, હું સરકારી મકાનમાં રહીશ નહીં. આ નાગરિકોની પ્રોપર્ટી પર કબજો કરવા જેવુ કહેવાય, અને હું આવું ક્યારેય નહીં કરીશ...'ઘણી રકઝટ બાદ એક એપાર્ટમેન્ટ હાઉસમાં એક શરત પર રહેવા સંમત થયા કે, મારા મૃત્યુ પછી તરત સરકાર એ મકાનનો કબજો લઈ લેશે અને તેના કોઈ વારસદાર તેના પર હક નહીં કરે, કે તેના પર તેનો કોઈ અધિકાર છે. મોરારજી દેસાઈનું 10 એપ્રિલ, 1995ના રોજ 99 વર્ષની વયે અવસાન થયું હતું. આ પછી તેમની ઈચ્છા મુજબ મહારાષ્ટ્ર સરકારે તે ઘરનો કબજો લીધો.



Google NewsGoogle News